Chapter : ઝકાત
(Page : 188-189-190)
સવાલ :– ઘણી ખરી દીની સંસ્થાઓ રમઝાન મહિનામાં લિલ્લાહ ઝકાત, સદકા વગેરેની ઉઘરાણી માટે દૂર દૂર ગામડાઓમાં, શહેરોમાં કે નજીકના સ્થળોમાં માણસોને મોકલે છે, ઉઘરાણી લેવા જનાર વ્યકિતના ઓળખીતા પાસે અમૂક વખતે ઝકાતના નાણાં તેના ખરેખરા હકદારો પૂરતાં હોય છે, પરંતુ ઝકાત આપનાર અને ઉઘરાણી કરનારની એકબીજાની ઓળખાણના કારણે (શેહ શરમમાં)ના છૂટકે પણ અમૂક નાણાં આપવા પડે છે, આમ ઝકાતના ખરેખરા હકદારને પ્રમાણમાં ઓછી રકમ અપાય છે, આવાં સંજોગો શેહ શરમનો લાભ લઈ ઉઘરાણી કરનારને આપવાથી આપનારની ઝકાત અદા થશે?
જવાબ :– ચાહે કોઈ વ્યકિત દીની સંસ્થા માટે ઉઘરાણી કરે કે જે પોતાના માટે નહિ, પરંતુ દીની ઈલ્મ શીખતા ગરીબ તાલિબે ઈલ્મોની ઝરૂરતો માટે ઉઘરાણી કરે છે અથવા કોઈ પોતાના માટે વ્યકિતગત ઉઘરાણી કરે કોઈ પણ સૂરતમાં દબાણ અને આગ્રહ કરીને શેહ શરમમાં નાખીને લિલ્લાહ, ઝકાત કે સદકએ ફિત્ર અથવા અન્ય ફંડ ફાળો દેવા ઉઘરાણી કરવી નાજાઈઝ છે. હદીષ શરીફમાં છે કે કોઈ મુસલમાનનો માલ તેની રાજીખુશી અને તેની ઈચ્છાથી આપ્યા સિવાય હલાલ નથી. જો કે ઝકાતની નિય્યતથી આપનાર ભાઈની ઝકાત તો અદા થઈ જશે, પરંતુ આ પ્રમાણે ઓળખાણના આધારે દબાણ અને શેહ શરમ પૂર્વક ઉઘરાણી નાજાઈઝ છે. (ઈ.ફતાવા – ર/પ૭)
બાકી જે દીની સંસ્થામાં ગરીબ તલબા પડતા હોય તે સંસ્થામાં લિલ્લાહ ઝકાત અને સદકાની રકમ આપવી પણ ખરા હકદારોને જ આપવી ગણાશે. ખરા હકદારોને અન્યાય કરી ગેર હકદારને આપેલી નહિ ગણાય.
કુર્આન શરીફમાં સૂરએ બકરહની ર૭૩મી આયત : લીલ્ફુકરાઈલ્ લઝીન ઉહસિરૂ ફી સબીલિલ્લાહિ લા યસ્તતીઉન દરબન ફીલ્ અરદિ……… નો ભાવર્થ બયાન કરતા હઝરત કાઝી ષનાઉલ્લાહ ઉષ્માની (રહ.) તફસીરે મઝહરીમાં અને હઝરત મવલાના થાનવી (રહ.) બયાનુલ કુર્આનમાં લખે છે કે ”તમારા સદકાતનો અસલ હકક તે ગરીબોનો છે જે અલ્લાહની રાહમાં ઈલ્મે દીન હાસિલ કરવા માટે અથવા જિહાદ માટે ઘેરાય અને પરોવાય ગયા છે અને તેઓ પોતાની ઇલ્મપ્રાપ્તિ અને જિહાદની મશ્ગૂલિયતના કારણે આર્થિક આવક અને વેપાર ધંધા અર્થે જમીનમાં હરીફરી સકતા નથી.”
(તફસીરે મઝહરી–૧/૩૬ર, મઆરિફુલ કુર્આન –૧/૬૩૮)
અને દુર્રે મુખ્તારમાં છે કે ગરીબ જાહિલ કરતા ગરીબ આલિમને સદકો આપવો વધુ બેહતર અને વધુ અફઝલ છે. (શામી – ર/૬૯)
Log in or Register to save this content for later.