[૧પ૧] વિદેશી કરંસીની ઝકાત

Chapter : ઝકાત

(Page : 186-187)

સવાલ :– એક માણસ ઝામ્બિયાનો રહેવાસી છે અને ત્યાં કવાચાનું ચલણ છે એ માણસ પોતાના માલની ઝકાત આપવા ચાહે છે અને એ માણસ ઝકાત ઈન્ડિયા મોકલવા ચાહે છે. હવે દા.ત, એ માણસ ઉપર એક હજાર કવાચા ઝકાત લાગુ પડે છે, હવે બેંકથી સીધી રીતે મોકલવામાં આવે તો એક હજાર કવાચાના દસ હજાર રૂપિયા થાય છે, દા.ત, એક હજાર કવાચાના પાઉન્ડ પાંચસો એંસી બેંકથી સીધી રીતે થાય છે એટલે ઈન્ડિયા લગભગ દસ હજાર રૂપિયા ઉપર થાય છે એ સંજોગોમાં ઝકાત અદા થઈ જાય છે, પણ હવે આપને ખબર હશે કે ઝામ્બિયામાં ફોરૈન એક્ષચેન્જ નથી એટલે લોકો કાળા બજારથી પૈસા બહાર મોકલે છે એટલે કે હવે એક હજારની ઝકાત તો તે માણસે બરાબર કાઢી છે, પણ જયારે બહાર મોકલે છે ત્યારે કાળા બજારથી ઘણાં જ ઓછા પૈસા મળે છે દા.ત, એક હજાર કવાચાના કાળા બજાર ભાવના છ થી સાત હજાર રૂપિયા મળે છે તેમજ પાઉન્ડ ફકત ત્રણસો પચાસ મળે છે, હવે આવા સંજોગોમાં ઝકાત કાઢવાથી ઝકાત અદા થઈ કે નહિ? તેમજ બહાર ઝકાત મોકલવાનું કારણ એ છે કે ઈન્ડિયામાં બીચારા ઘણા ગરીબ લોકો છે, તેમજ હકદાર લોકો પણ છે. અહીં ગરીબાઈનું પ્રમાણ ઓછું છે માટે સવાલનો જવાબ તાત્કાલિક આપશો.

               નોટ : –  આ માણસ જેટલી ઝકાત લાગુ પડે છે તે અહીંના કવાચામાં બરાબર કાઢે છે પણ બહાર મોકલવામાં ઓછા પૈસા મળે છે તેમજ ઝામ્બિયાના પૈસા બહાર જતા નથી. હવે હમારે શું કરવું ?

જવાબ :– માહે શાબાન ૧૪૦ર હિજરીના દારૂલ ઉલૂમ માસિક અંક ૧ર માં કવાચાની ઝકાત વિષે જે શરઈ કાયદાઓ લખવામાં આવ્યા છે તેનાથી આપના લખેલ સવાલનો જવાબ પણ સાબિત થઈ જાય છે કે જયારે કવાચા તમારે ત્યાં બે ભાવથી વેચાય છે તો જો ઝકાત આપનાર ઝકાતમાં પાઉન્ડ કે ઈન્ડિયન રૂપિયા આપવા ચાહે તો બેંકના ભાવ પ્રમાણે એટલે કે તમારા લખવા મુજબ દા.ત, એક હજાર કવાચાના બદલામાં દસ હજાર રૂપિયા અથવા પાંચસો એંસી પાઉન્ડ આપવા પડશે કારણ કે બેંક અને પ્રાઈવેટ બે ભાવોમાંથી  બેંકના ભાવોમાં ગરીબોનો ફાયદો વધારે છે.            (શામી – ર/રર,૩૧)

               હા, હાલ હિન્દુસ્તાની રૂપિયાની નોટોના હુકમ મુજબ (કે તે માલ જ છે માલની હવાલા રસીદ નથી જેમકે પ્રચલિત ચેક અથવા ડ્રાફટ) કવાચાનું સોનું કે ચાંદી હુકૂમત (સરકાર)થી ચાહવા છતાં ન મળી શકતું હોવાથી કવાચાને માલ જ ગણવામાં આવે, માલની રસીદ ન માનવામાં આવે અને પોતાને ત્યાં કવાચા હિંદી રૂપિયા કે પાઉન્ડથી વટાવ્યા વિના કવાચા જ કોઈ ગરીબ ને ઝકાત રૂપે મોકલી આપવામાં આવે તો જેટલા કવાચા મોકલશે અને ગરીબને મળશે એટલા કવાચા ઝકાતમાં પૂરા અદા થઈ જાય એમ માનવાની ગુંજાઈશ છે, ચાહે ગરીબ માણસ કવાચાને પ્રાઈવેટ ભાવથી વેચી આપે. પણ આ બાબત બીજા મુફતીયાને કિરામથી પણ ખુલાસો લઈ પછી અમલ કરવો જોઈએ. ફકત અહકરના લખાણના આધારે અમલ કરી લેવો એહતિયાતથી વિરૂધ્ધ છે.                                       (ફ.દારૂલ ઉલૂમ–૬/૮૩)

Log in or Register to save this content for later.