Chapter : અકીકહ
(Page : 532-533)
સવાલઃ– હમારા ગામમાં અકીકહ વિષે આ મુજબના રિવાજો છે. અવામનું કહેવું છે કે જે માણસનો અકીકો ન થયો હોય તે હજ માટે નથી જઈ શકતો, અકીકો ન થયો હોય તો શાદી પહેલાં થવો જરૂરી છે, નહિ તો શાદીમાં નુકસાન થાય. અવામ શાદી પછી પોતાનો અકીકો જરૂરી સમજી કરે છે, અવામ પોતાના બાળકોનો અકીકો જરૂરી સમજે છે, ગરીબ હોય કે માલદાર હોય અકીકા માટે અવામને તેમજ રિશ્તેદારને કંકોત્રી લખી દઅવત આપે છે, અકીકાના જાનવરને ઝબહ કરવા સાથે જ બાળકના માથાના બાલની ફકત લટ કાપવી જરૂરી સમજે છે, પછી અકીકહનું તેડુ કરે છે, પછી મર્દ–ઓરત ભેગા થાય છે પછી બધા રિશ્તેદારો ગામના લોકો સામે અકીકાવાળા બાળકના માથાંના બાલ હજામ ઉતારે છે અને તે બાલ બાળકની ફોઈ પોતાના ખોળામાં ઝીલે છે, પછી રિશ્તેદારો – ગામ લોકો તે બાળકના નામના વાસણો આપે છે, અને તે જરૂરી સમજે છે અને બેન્ડ બાઝા સાથે તે બાળકનો વરઘોડો કાઢે છે, અને સાંજે આ બધા લોકો અકીકહનું ખાણું ખાય છે, શું બાલિગ થયા પછી કે શાદી પહેલાં કે પછી માણસ પોતાના બાળકનો અકીકો કરે તો બાળકના માથાના બધા બાલ મૂંડાવે કે પછી ફકત લટ કાપી લેવી? શું મર્હૂમ અવલાદ કે મરેલી પૈદા થએલી અવલાદનો અકીકો કરવો જરૂરી છે? કરે તો જાઈઝ કે નહિ? અકીકાના જાનવરના ચામડાનો શું હુકમ છે?
જવાબઃ– પૈદા થનાર બાળકનો અકીકો કરવો સુન્નત છે, તેના ઘણા ફાયદાઓ છે અને તે બાળકના પૈદા થયા પછી સાતમા દિવસે કરવો મુસ્તહબ છે અને તેના માથાના બધા વાળ મૂંડાવી તે વાળ બરાબર ચાંદીનો અથવા ચાંદીના ચાલુ ભાવ મુજબ તેટલી ચાંદીની નકદ કિંમતનો ગરીબોને સદકો કરવો એ પણ મુસ્તહબ છે, જો બાલિગ થયા પછી અકીકો કરવામાં આવે અને તે છોકરો હોય તો તેના બધા વાળ મૂંડાવી શકાય છે, જો છોકરી હોય તો હવે તેના વાળ ન મૂંડાવવા જોઈએ, બલ્કે તેના વાળના વજનનો અંદાજો કાઢીને તેટલી ચાંદીનો કે ચાંદીની કિંમતનો ગરીબોને સદકો કરી આપવો જોઈએ. (રિસાલએ અકીકહ / ઈ.ફતાવા ભાઃ૪)
હજ પહેલાં હજમાં જનારે અથવા નિકાહથી પહેલાં અકીકો કરવો જરૂરી અને વાજિબ નથી. જરૂરી હોવાની માન્યતા તદ્દન ખોટી છે, બાકી સવાલમાં લખેલી અકીકહ સાથે સંકળાયેલી રસમો એ ગલત અને શરીઅત વિરૂધ્ધ છે, ભય છે કે આવી ગલત રસ્મો અકીકહની બરકતો માટે આડરૂપ બની જાય, માટે તેનાથી બચવું અત્યંત જરૂરી છે. (શર્હે મુહઝઝબ–૭ / શર્હે મિન્હાજ–૮) અને ઈઆનતુત્તાલિબીન ભાગ ર થી મન્કુલ છે, મરહૂમ અવલાદનો અકીકો પણ કરી શકાય છે, પરંતુ બાળક મુર્દા પૈદા થયું હોય, તેના અકીકાની જરૂરત નથી. (મુસ્લિમ ગુજરાત ફતાવા સંગ્રહ–ર/૩૭) અકીકાના ચામડાનો હુકમ કુરબાનીના ચામડા જેવો જ છે, પોતે પણ ઉપયોગ કરી શકે છે કોઈ ગરીબને સદકા રૂપે અને કોઈ માલદારને ભેટ રૂપે પણ આપી શકાય છે. (રિસાલએ અકીકહ)
Log in or Register to save this content for later.