[૪૪૯] કુરબાની માટે ત્રણ વર્ષનો ઈજારો આપવો

Chapter : કુરબાની

(Page : 501-502)

સવાલ :– અમારે ત્યાં જયપૂર મરકઝે દઅવતુલ ઈમાન વ બયતુલ માલ નામના મદ્રસાનો સફીર દર વર્ષે બકરા ઈદ પહેલાં ચંદો કરવા આવે છે. મદ્રસાના ચંદા સાથે એ સફીર કહે છે કે મદ્રસામાં બહાર ગામના લોકોની કુરબાનીનો પણ બંદોબસ્ત કરવામાં આવે છે. બકરાની કુરબાની કરાવવી હોય તો એક કુરબાનીના રૂપિયા ૬૦૦/– (છસો) અને મોટાની કુરબાની રૂા ૭૦૦/– (સાતસો). આ પ્રમાણે મોટાની કુરબાનીમાં જેટલા પણ ભાગ લખાવવા હોય તેટલા લખાવી શકો છો. (એક ભાગના રૂા ૧૦૦/– પ્રમાણે). સફીરનું એમ પણ કહેવું છે કે મદ્રસા તરફથી દર ત્રણ વર્ષનો કસાઈને કોન્ટ્રાકટ આપવામાં આવે છે. આ માટે ટેન્ડર સિસ્ટમ રાખવામાં આવે છે, ટેન્ડર તેનું મંજુર થાય છે જે ઓછી કિંમતમાં આપે અને સાથે જાનવરની ખાલ કાઢીને ગોશ્તના ટુકડા પણ કરી આપવામાં આવે, તો પૂછવાનું એ કે આવી રીતે મદ્રસા તરફથી આયોજિત કરેલ યોજનામાં ભાગ થઈ કુરબાની કરાવી શકાય? આવી રીતે કરાવવામાં આવેલ કુરબાની અદા થશે? વગેરેનો ખુલાસો આપવો.

જવાબ :– પૂછેલી સૂરત શરઈ દ્રષ્ટિએ વાંધાજનક જણાય છે, કારણ કે ત્રણ વર્ષોના કોન્ટ્રાકટમાં કુરબાનીના જાનવરો કસાઈ પાસે મવજૂદ નથી. નાના મોટા જાનવરોની સંખ્યા નકકી નથી અને કસાઈ પાસેથી જાનવરો ખરીદવાની સાથે સાથે એવી શર્ત નકકી કરવી કે ઝબહ કરીને, ચામડું ઉતારીને તમારે ટુકડા કરી આપવાના એ જાઈઝ નથી અને આવી શર્તથી કોન્ટ્રાકટ ફાસિદ થઈ જાય છે, માટે જયાં સુધી આવી ફિકહી ઉણપો દૂર ન થાય એવી જગ્યાએ કુરબાનીની રકમ સોંપવી ન જોઈએ.      (શામી–૪)

Log in or Register to save this content for later.