Chapter : કુરબાની
(Page : 492-493-494)
સવાલઃ – સાત માણસો ભેગા થઈને આઠમી વ્યકિતને વકીલ બનાવી કુરબાનીનું કામ સોંપે છે, આઠમી વ્યકિત જાનવરનો વેપાર કરે છે, હવે મોટા જાનવરના સાત ભાગીદારો પૈકી એક પણ ભાગીદાર આઠમી વ્યકિત સાથે જાનવરની કિંમત નકકી કરતો નથી. આઠમી વ્યકિત જે કિંમત નકકી કરે, તે સાતેય ભાગીદારો મંજુર રાખે છે. બીજી વાત આ છે કે આઠમી વ્યકિત સાત ભાગીદારો પાસેથી કુરબાનીનું ચામડું હદિયા તરીકે લઈ લે છે અને તેને વેચીને કિંમત પોતાના કામમાં ઉપયોગ કરે છે.
હવે ખુલાસો એ કરવાનો કે આ રીતે સાત ભાગીદારો મોટા જાનવરની કુરબાની કરાવે તો તેમની કુરબાનીમાં વાંધો આવે ખરો? અને કુરબાની કરનાર આઠમી વ્યકિત આ પ્રમાણે ચામડું પોતે હદિયો લઈને તેની કિંમત પોતાના કામમાં ઉપયોગ કરે એ શરઈ દ્રષ્ટિએ કેવું છે ? (અ. કાદિર ભાવનગરી, મુ.કડી,– ઉ.ગુ.)
જવાબઃ– આઠમી વ્યકિત જે જાનવરોનો વેપારી છે, જેને સાત માણસો ભેગા મળી એક મોટું જાનવર ખરીદ કરી તેની કુરબાની કરવાનો વકીલ બનાવે છે, તે વેપારી માણસ જો પોતાના વેપારના જાનવરોમાંથી કોઈ મોટું જાનવર નકકી કરે કે હું આ એક જાનવર મજકૂર સાત ભાગીદારોને આટલી કિંમતમાં વેચું છું અને પછી તે ભાગીદારો તરફથી તેની કુરબાની કરે તો આ પ્રમાણે કુરબાની કરાવવી દુરસ્ત નથી. કારણ કે આ સૂરતમાં કુરબાનીનું જાનવર ખરીદવાનો વકીલ પોતાનું જ જાનવર વેચે છે અને એક જ માણસ વેચનાર અને તેજ માણસ વકીલ તરીકે ખરીદનાર બને એ શરઈ દ્રષ્ટિએ જાઈઝ નથી. કારણ કે ખરીદ – વેચાણના સોદાના દુરસ્ત થવા માટે ખરીદનાર અને વેચનાર એમ બે પક્ષોનું અલગ અલગ હોવું જરૂરી છે. (બદાઈઅ–પ/૧૩પ)
પૂછેલી સૂરતમાં કુરબાનીના વકીલ બનાવવાનો સહીહ તરીકો આ છે કે આઠમા માણસને એમ કહેવામાં આવે કે તમે અમો સાત ભાગીદારો માટે લગભગ આટલી કિંમતમાં એક મોટું જાનવર ખરીદ કરશો અને અમારા તરફથી તે જાનવરની કુરબાની કરી આપશો. અને આ સૂરતમાં વકીલે ખરીદ કિંમત પર પોતાનો કોઈ નફો ચઢાવવો જાઇઝ નથી, જેટલી કિંમતમાં તે જાનવર ખરીદે તેટલી જ કિંમત તે સાત ભાગીદારો પાસેથી લઈ શકે છે, બાકી જાનવરના ઘાસચારા અને કુરબાની કરવામાં જે કંઈ ખર્ચ થાય તે ખર્ચ સાત ભાગીદારો પાસેથી લઈ શકે છે.
એવી જ રીતે જો આઠમી વ્યકિત જો તેને વકીલ બનાવનાર સાત ભાગીદારો સાથે પહેલેથી જાનવર ખરીદવાનું અને કુરબાની કરવાનુ મહેનતાણુ પોતાના માટે નકકી કરી લે તો તેના માટે પહેલેથી નકકી કરેલું મહેનતાણું લેવું પણ જાઈઝ છે અને તેને જાનવરની ખરીદ કિંમત પર ચઢાવેલો નફો નહિ ગણાય, બલ્કે કુરબાનીની વ્યવસ્થા કરવાનુ મહેનતાણું ગણાશે, પરંતુ કુરબાનીની વ્યવસ્થા કરવા બદલ મહેનતાણું લેવાની અને મહેનતાણા વિષે પહેલેથી ચોખવટ કરી લેવી જરૂરી છે, નહિ તો વગર ચોખવટે આઠમી વ્યકિતએ પોતે પોતાના તરફથી મહેનતાણું નકકી કરી લેવું જાઈઝ નથી.
જો આઠમી વ્યકિત જાનવરોનો વેપારી હોવાથી તેની પાસે જાનવરો હોય અને સાત ભાગીદારો તેમાંથી કોઈ જાનવર પસંદ કરી વેપારી સાથે કિંમત નકકી કરી તે જાનવર ખરીદી લે અને પછી તે જ વ્યકિતને તે જાનવરની કુરબાની કરવાનો વકીલ બનાવી આપે તો આ સૂરત પણ જાઈઝ છે અને આ સૂરતમાં આઠમી વેપારી વ્યકિત પોતાનું જાનવર નફો ચઢાવીને સાત ભાગીદારોને વેચી શકે છે અને આ સૂરતમાં પણ જાનવર વેચ્યા પછી જાનવર પોતાની પાસે રાખવાથી ઘાસચારાનો અને કુરબાની કરવાનો જે ખર્ચ થાય તે સાત ભાગીદારો પાસેથી ભાગે આવતો લઈ શકે છે અને કુરબાની કરવાનું મહેનતાણુ પણ પહેલેથી નકકી કરી લઈ શકે છે.
જો બધા જ ભાગીદારો કુરબાનીનું ચામડું આઠમી વ્યકિતને પોતાની રાજીખૂશીથી હદિયા પેટે આપે તો તે જાઈઝ છે, પરંતુ શર્ત એ છે કે બધા જ ભાગીદારોની કુરબાની માલદારીની વાજિબ કુરબાની હોવી જોઈએ અથવા નફલ કુરબાની હોવી જોઈએ, જો કોઈ ભાગીદાર તરફથી મન્નતની વાજિબ કુરબાનીનો ભાગ હોય અને આઠમી વ્યકિત માલદાર હોય તો આઠમી વ્યકિતને કુરબાનીના પૂરા ચામડાનો હદિયો આપવો જાઈઝ નથી, બલ્કે તે ચામડું અથવા તે ચામડાની કિંમત ગરીબ મુસલમાનને સદકહરૂપે આપવી જરૂરી છે અને જે સૂરતમાં આઠમી વ્યકિતને હદિયા રૂપે ચામડું આપવું જાઇઝ છે, તે સૂરતમાં તેના માટે તે ચામડું વેચવું અને તેની કિંમત પોતાના કામમાં વાપરવી પણ જાઈઝ છે. (શામી–પ)
Log in or Register to save this content for later.