Chapter : અકીકહ
(Page : 522-523)
સવાલઃ– અકીકો કરવો ફરજિયાત છે કે મરજિયાત, વિગતવાર જવાબ આપશો.
જવાબઃ– હનફી મઝહબમાં અકીકો વાજિબ કે સુન્નતે મુઅક્કદહ નથી. હા, મુસ્તહબ છે એટલે કે આપના લખવા મુજબ મરજિયાત છે, પણ અકીકાની હદીસ શરીફમાં તરગીબ દેવામાં આવેલી છે અને એના ફાયદા પણ બતાવવામાં આવ્યા છે, માટે જો કોઈની આર્થિક હાલત સારી હોય તો આ મુસ્તહબ અદા કરી તેની બરકતો હાસિલ કરવી જોઈએ.(રિસાલએ અકીકહ, માલાબુદ્દ મિન્હ–૧૭૧)
હજરત સમુરહ (રદિ.) ફરમાવે છે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ ફરમાવ્યું કે બચ્ચું એના અકીકાના બદલામાં ગિરો છે, એના તરફથી સાતમા દિવસે જાનવર ઝબહ કરવામાં આવે અને નામ નક્કી કરવામાં આવે અને એનું માથું મૂંડાવી નાખવામાં આવે. (રવાહુ અહમદ, તિરમિઝી, અબૂ દાઉદ, નસાઈ, મિશ્કાત–૩ર૬)
છોકરો હોય તો બે બકરા સાતમા અથવા ચૌદમા અથવા એકવીસમાં દિવસે એવી જ રીતે તે પછી પેદાઈશથી સાતમાં દિવસનો હિસાબ કરી ઝબહ કરવામાં આવે અને છોકરી હોય તો એક બકરો અથવા એક બકરી અને માથું મુડાવી તેના વજનના બરાબર ચાંદીનો સદકો કરવો અને તેના માથા પર ઝઅફરાન લગાડવું આ બધું મુસ્તહબ છે. ગિરો હોવાનો મતલબ એ છે કે આફતોથી મુકિત અકીકાની બરકતથી મળશે અથવા અકીકાની બરકતથી બચ્ચાથી પૂરો ફાયદો પ્રાપ્ત થશે. કારણ કે અવલાદ વાલિદૈન માટે એક નેઅમત છે, અકીકાથી આ નેઅમતનો શુક્રિયહ અદા થઈ જશે. ઈમામ અહમદ (રહ.) ફરમાવે છે કે હદીસનો મતલબ એ છે કે જો બચ્ચાનો અકીકો ન કરવામાં આવ્યો અને બચ્ચું નાનપણમાં જ વફાત પામ્યું તો વાલિદૈન માટે શિફારિસ નહિ કરે. (મિર્કાત ૧પ૬ ભાઃ૮)
Log in or Register to save this content for later.