Chapter : કુરબાની
(Page : 508 to 521)
સવાલ :– આજકાલ દીનનું પ્રકાશન (પેપરો) એટલા વધી ગયા છે કે સામાન્ય મુસલમાન પણ દીની અભ્યાસ કરી શકે છે, જેની હાલમાં જ અમારા સમક્ષ ઈખ્તિલાફી મસાઈલની બહષ થઈ, જેમાં કુરબાની કરવાના દિવસોમાં ઉમ્મતે મુસ્લિમહમાં ઈખ્તિલાફ છે.
એક મસ્લક કહે છે કે દસ દિવસ કુરબાની, બીજો કહે છે કે છ દિવસ કુરબાની, ત્રીજો કહે છે કે પ્રથમ એક દિવસ કુરબાની, ચોથો કહે છે કે ત્રણ દિવસ કુરબાની, અને પાંચમો કહે છે કે ચાર દિવસ કુરબાની છે. આમ, જાનવર ઝબહ કરવાના દિવસોમાં ઈખ્તિલાફ છે.
એહલે હદીષ ભાઈઓ ચાર દિવસ કુરબાની કરવાનું કહે છે, એમાં એ લોકો સહાબા અબૂ સઈદ ખુદરી (રદિ.)થી મરવી થયેલ હદીષ ઉપરાંત બીજી પાંચ હદીષો મુસ્લિમો સમક્ષ રજૂ કરી છે.
(૧) હઝરત અબૂ સઈદ ખૂદરી (રદિ.)થી મરવી છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે અય્યામે તશ્રીક અય્યામે ઝબહના દિવસો છે, એમ ચાર દિવસની હદીષ મૂકે છે.
(ર) એ લોકો કહે છે કે અબૂ દાઉદ અને તિરમીઝી શરીફની હદીષની કિતાબોમાં વર્ષમાં પાંચ રોઝહ હરામ છે, તેમાં ચાર રોઝહ બકરી ઈદના તેમજ એક રોઝો ઈદુલ ફિત્રનો, માટે કુરબાની ચાર દિવસ હોય તો જ ચાર રોઝહ બકરી ઈદના હરામ કર્યા હદીષ કહે છે.
(૩) ઈમામ શાફઈ (રહ.) પણ ચાર દિવસ અય્યામે ઝબહમાં માને છે,
(૪) હનફી ભાઈઓ ફકત સહાબએ કિરામ જનાબ હઝરત અનસ (રદિ.)ના કૌલ ઉપર ત્રણ દિવસ કુરબાની કરવાના ઉપર અમલ કરે છે.
(પ) હનફી ભાઈઓ કહે છે કે ત્રણ દિવસ કુરબાની કરવા ઉપર સહાબએ કિરામ (રદિ.)નો ઈજમાઅ છે, તો નઉઝૂબિલ્લાહ ઈજમાઅને તોડનાર પ્રથમ ઈમામ શાફઈ (રહ.) ગણાય, કારણકે તેઓ ચાર દિવસના કાઈલ છે.
માટે આપનાથી અમારી નમ્ર અરજ એ છે કે જયારે અલ્લાહે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને મદીનામાં કુરબાની કરવાનો હુકમ આપ્યો ત્યારે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની હાજરીના જમાનામાં બકરી ઈદના જાનવરો ત્રણ દિવસ કે ચાર દિવસમાં ઝબહ થતા હતા તેની ખુલાસાવાર સહીહ હદીષથી સાબિતિ આપશો કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની હાજરીના જમાનામાં બકરીઈદના આટલા દિવસોમા જાનવરો ઝબહ થતા હતા. જેથી ઉમ્મતને સહીહ રસ્તો મળી શકે.
જવાબ :– હનફી ફિકહની અરબી, ઉર્દૂ અને ગુજરાતી કિતાબોમાં કુરબાનીના ત્રણ દિવસો સાફ શબ્દોમાં લખેલા છે. અને અરબીની ઘણી કિતાબોમાં એની દલીલોનું પણ વર્ણન છે. તો શું આ કિતાબોમાં લખેલી વિગત ઉમ્મતને સહીહ રસ્તો બતાવવા માટે અને ઉમ્મતને સહીહ રસ્તો મળવા માટે પુરતી નથી ?
તમારા સવાલના લખાણથી એવું સમજાય છે કે આ કિતાબોમાં લખેલા કુરબાનીના ત્રણ દિવસ હોવાનો મસ્અલો અને અન્ય મસાઈલ આપની દ્રષ્ટિએ હદીસના મુતાબિક અને હદીસથી સાબિત નથી અને આ કિતાબોના મસાઈલ ઉમ્મતને સહીહ રસ્તો મળવાનું સહીહ અને ભરોસાપાત્ર માધ્યમ નથી. હાલાંકે આ કિતાબોમાં જે મસાઈલ લખવામાં આવ્યા છે, તે કુર્આન મજીદ, હદીસ શરીફ, ઈજમાએ ઉમ્મત અને ઈજતિહાદો કયાસની દલીલોના આધારે જ લખવામાં આવ્યા છે, માટે કુરબાનીના દિવસોના મસ્અલામાં ઉમ્મતને સહીહ માર્ગદર્શન મળવા માટે સહીહ હદીસનો મુતાલબો (તકાઝો) આશ્ચર્યજનક છે.
વળી આપે આ મસ્અલાનો સહીહ હદીષથી સબૂત માંગ્યો છે, જેનાથી એવો મતલબ સમજાય છે કે આપના નઝદીક મસ્અલાના સબૂત માટે દલીલ રૂપે ફકત સહીહ હદીષ જ ઝરૂરી અને પૂરતી છે. જો કોઈ મસ્અલો સહીહ હદીષથી સાબિત ન હોય, બલ્કે હદીષે હસન સહીહથી સાબિત હોય અથવા હદીષે હસનથી સાબિત હોય અથવા કોઈ ખાસ પ્રકારની હદીષે ઝઈફથી સાબિત હોય તો તે મસ્અલો અને તેની દલીલરૂપે હદીસે હસન અથવા ખાસ પ્રકારની ઝઈફ હદીષ મોઅતબર અને દુરસ્ત નહિ ગણાય, હાલાંકે મુહદ્દિષીન હઝરાત (અહલે હદીષ) અને ફુકહાએ કિરામે હદીષની ઘણી કિસમો (પ્રકાર) બયાન કરી છે : હદીષે મુતવાતિર, મશહૂર, ખબરે વાહિદ, સહીહ, હસન સહીહ, હસન, ઝઈફ, મુનકતિઅ, મવઝૂઅ, મરફૂઅ, મવકૂફ, મરસલ અને મુઅઝલ વગેરે.
હદીષની અનેક કિસમોમાંથી જેવી રીતે હદીષે મુતવાતિર, મશહૂર, ખબરે વાહિદ સહીહને કોઈ મસ્અલાની દલીલ બનાવવી જાઈઝ અને મોઅતબર છે, એવી જ રીતે હદીષે હસન સહીહ, હદીષે હસન અને ખાસ પ્રકારની હદીષે ઝઈફને પણ કોઈ ફિકહી મસ્અલાની દલીલ બનાવવાને મુહદ્દિષીન અને ફુકહાએ કિરામે જાઈઝ અને મોઅતબર ઠરાવેલ છે.
અલ્લામા ખત્તાબી (રહ.) હદીષે હસનના મોઅતબર હોવા વિષે લખે છે કે હસન તે હદીષ કહેવાય છે કે તે જે કિતાબમાં હોય તેની જાણ હોય અને રાવીઓ મશ્હૂર હોય અને તેના ઉપર મોટા ભાગની હદીષનો આધાર હોય અને આવી હદીષને મોટા ભાગના ઉલમાઅ સ્વીકારતા હોય છે અને સામાન્ય રીતે ફુકહાએ કિરામ તેની ઉપર અમલ કરતા હોય. (મઆલિમુસ્ સુનન. ૧–૧૧)
હદીષના માહિર શેખ અલ્લામા ઈબ્નુલ જવઝી (રહ.) હદીષે હસનની વ્યાખ્યા કરતાં લખે છે કે જે હદીષમાં થોડી કમઝોરી હોય અને તેના સહીહ હોવાનો એહતેમાલ હોય તેને હદીષે હસન કહે છે અને તે મસ્અલાની દલીલ બનાવવા અને અમલ કરવાને લાયક હોય. (ફત્હુલ મુલહિમ–૧/ર૮)
અલ્લામા જઝાઈરી ફરમાવે છે કે મુહદ્દિસીન હઝરાતે હદીષે હસનને સહીહમાં શામેલ ફરમાવી છે, કારણ કે હસન મસ્અલાની દલીલ બનવામાં સહીહ સમાન છે. (ફ.મુલહિમ–૧/ર૭)
ખરેખર જેઓ એહલે હદીષ છે અને હદીષોની ઓળખ અને બહસમાં માહિર છે, તેઓ કોઈકવાર જયારે મસ્અલા માટે કોઈ સહીહ કે હસન હદીષ મવજૂદ ન હોય ત્યારે મસ્અલાની દલીલરૂપે અમુક શર્તો સાથે હદીસે ઝઈફને પણ બયાન કરે છે, માટે દરેક હદીસે ઝઈફને ગેર મોઅતબર અને દલીલ માટે અપુરતી ઠરાવવી દુરસ્ત નથી.
જયારે કોઈ હદીષ ઝઈફ એવી હોય કે ઉલમાએ હદીષ – વ– ફિકહ સામાન્ય રીતે તેને નકલ કરતા હોય અથવા એ હદીષ મુજબ ઉમ્મતનો અમલ હોય અને તે મુજબ ફતવો પણ આપવામાં આવતો હોય તો તેવી હદીષે ઝઈફ પણ મસ્અલાની દલીલ બની શકે છે.
અલ્લામા ઈબ્ને તયમિય્યહ (રહ.) જેમને ગેર મુકલ્લિદીન પણ પોતાના ઈમામ માને છે તેઓ ઝઈફ હદીષ બાબત ફરમાવે છે કે જે હદીષને સહીહ માનીને અને તેના ઉપર અમલ કરીને ઉમ્મત તેને કબૂલ કરી લે તો મોટા ભાગના આગલા અને પાછલા જમહૂરે ઉલમાના મત અનુસાર તે હદીષથી મસ્અલાની જાણકારીનો ફાયદો થઈ શકે છે અને જમહૂર લેખકો ઉસૂલે ફિકહમાં આ જ મત દર્શાવે છે. (અન્નુકત–૩૭૪)
અલ્લામા સખાવી (રહ.) જે હદીષ વિષયના નિષ્ણાત આલિમ છે, તેઓ ઝઈફ હદીષના અમલ પાત્ર હોવા બાબત લખે છે કે જયારે ઝઈફ હદીષને ઉમ્મત કબૂલ કરી લે તો સહીહ મત મુજબ તેના ઉપર અમલ કરવામાં આવશે, અહિંયા સુધી કે તેને હદીષે મુતવાતિરનો દરજો આપીને તેનાથી દલીલે કત્ઈને પણ મનસૂખ માનવામાં આવે છે અને એટલા જ માટે ઈમામ શાફઈ (રહ.)એ ફરમાવ્યું છે કે વારિસ માટે વસિય્યત મોઅતબર ન હોવાની હદીષને અહલે હદીષ હઝરાત સહીહ સાબિત નથી માનતા તે છતાં ઉમ્મતના ખવાસ અને અવામે તે હદીષને અમલી રીતે કબૂલ કરી લીધી છે અને તે હદીષના આધારે વસિય્યતની આયતને મનસૂખ ઠરાવેલ છે. (ફત્હૂલ મુગીસ–ર૮પ)
એવી જ રીતે જો હદીષે ઝઈફ અનેક સનદોથી નકલ હોય તો પણ તે કોઈ ફિકહી મસ્અલાની દલીલ બની શકે છે, અલ્લામા ઝફર અહમદ ઉસ્માની (રહ.) નકલ કરે છે કે અને હદીષ ઝઈફ જયારે અનેક સનદોથી નકલ હોય, ચાહે બીજી એક જ સનદ હોય તો તે હદીષે હસનનો દરજો લઈ લે છે અને દલીલ બનવાના લાયક બની જાય છે.(કવાઈદ ફી ઉલૂમિલ હદીષ–૭૮)
અલ્લામા શઅરાની (રહ.) ફરમાવે છે મોટા ભાગના મુહદ્દિસીને કિરામે હદીષે ઝઈફને મસ્અલાની દલીલરૂપે રજુ કરેલ છે, જયારે તેની અનેક સનદો હોય અને એવી ઝઈફ હદીષને કદી સહીહનો મરતબો આપે છે અને કદી તેને હસનનો મરતબો આપે છે.(કવાઈદ ફી ઉલૂમિલ હદીષ–૮ર)
અલ્લામા ઈબ્ને હઝમ (રહ.) હનફી ફુકહાએ કિરામનું મંતવ્ય નકલ કરે છે કે બધા જ હનફીઓ એ બાબત સર્વસંમત છે કે ઈમામ અબૂ હનીફા (રહ.)ના મત મુજબ ઝઈફ હદીષ કયાસ અને ઈજતિહાદ કરતાં અમલ કરવામાં બેહતર છે. (કવાઈદ– ૯પ/૯૬)
ઉપરોકત વિગતથી માલૂમ પડયું કે જયારે કોઈ મસ્અલાના સબૂત માટે કોઈ સહીહ હદીષ અથવા હસન હદીષ મવજૂદ ન હોય અને માત્ર કોઈ ઝઈફ હદીષ જ તે મસ્અલા બાબત ઉપ્લબ્ધ હોય તો તે મસ્અલાનો હુકમ ઈજતિહાદ અને કયાસથી સાબિત કરવા કરતાં હદીષ ઝઈફથી સાબિત કરવાને ફુકહાએ અહનાફ અગ્રીમતા આપે છે અને કયાસ કરતાં હદીષ ઝઈફ પર અમલ કરવાને બેહતર માને છે અને આ મંતવ્યથી આ હકીકત પણ છતી થાય છે કે હનફી ભાઈઓ દરેક મસ્અલામાં બને ત્યાં સુધી હદીષ પર અમલ કરવાને અહમિય્યત આપે છે.
અલ્લામા સખાવી (રહ.) લખે છે જયારે મસ્અલા બાબત હદીષે ઝઈફ સિવાય બીજી કોઈ હદીષ ન હોય તો ઈમામ અહમદ (રહ.) તે મસ્અલામાં હદીષે ઝઈફને દલીલ બનાવે છે અને ઈમામ અબૂ દાઉદ (રહ.)નું પણ આ જ મંતવ્ય છે અને આ બન્નવ મુહદ્દિસો હદીષ ઝઈફને કયાસથી અગ્રીમતા આપે છે અને ઈમામ અબૂ હનીફા (રહ.)નું પણ આ જ મંતવ્ય છે અને ઈમામ શાફઈ (રહ.) પણ તેને દલીલ માને છે. ફત્હુલ મુલહિમ – ૧/પ૮)
હાફિઝ ઈબ્ને કય્યિમ (રહ.) ફરમાવે છે કે ઈમામ અબૂ હનીફા (રહ.) અને ઈમામ અહમદ (રહ.)ના મંતવ્ય મુજબ હદીષ ઝઈફ અને હઝરાતે સહાબા (રદિ.)ના મંતવ્યોને કયાસ અને ઈજતિહાદ ઉપર અગ્રીમતા આપવામાં આવશે. (અસ્સુન્નતુ વ મકાનતુહા – ૪૭૦)
એવી જ રીતે ફઝાઈલે આ’માલ અને વઅઝો નસીહત અને નેક આ’માલની તરગીબ માટે અને આ’માલે બદથી તરહીબ માટે ઝઈફ હદીષો બયાન કરવી જાઈઝ છે.
શેખ ઈબ્ને સલાહ (રહ.) લખે છે કે અલ્લાહ તઆલાની સિફાત અને અકાઈદ સિવાયમાં જેવી રીતે કે વઅઝો નસીહત, કિસ્સાઓ, ફઝાઈલે આ’માલ અને તરગીબ – તરહીબ માટે હદીષે મવઝૂઅ સિવાય ઝઈફ પ્રકારની હદીષો તેમાંની કમઝોરીને બયાન કર્યા વગર બયાન કરવી અને સનદોમાં છાનબીન ન કરવી જાઈઝ છે.(મુકદ્દમતુ ઈબ્નિસ્સલાહ – ૪૦)
આ જ વાત આ જ શબ્દોમાં અલ્લામા સુયૂતી (રહ.)એ પોતાની કિતાબ તદરીબુ ર્રાવીમાં લખી છે. આજ પ્રમાણે જો હદીષે ઝઈફથી કોઈ કામમાં એહતિયાત સાબિત થતો હોય તો હદીષે ઝઈફ પર અમલ કરી લેવો જાઈઝ અને બેહતર છે.
મશ્હૂર ગેર મુકલ્લિદ આલિમ નવાબ સિદ્દીક હસનખાન ભોપાલી (રહ.) લખે છે કે, પરંતુ જયારે કે કોઈ વસ્તુમાં હદીષે ઝઈફથી એહતિયાત સાબિત થતો હોય જેમકે ખરીદ વેચાણની અમુક સુરતોના મકરૂહ હોવા વિષે અથવા અમુક નિકાહોના મકરૂહ હોવા વિષે માત્ર કોઈ ઝઈફ હદીષ હોય તો મુસ્તહબ છે કે એવા ખરીદ વેચાણ અને નિકાહથી બચે, પરંતુ બચવુ વાજિબ નથી. (અલ્હિત્તહ ફી ઝિકરિસ્સિહાહિસ્સિત્તહ–૧રપ)
ઉપરોકત વિગતથી માલૂમ પડયું કે કોઈ પણ મસ્અલાના સબૂત માટે માત્ર સહીહ હદીષ હોવી ઝરૂરી નથી, ઘણા મસાઈલમાં મુહદ્દિષીન અને ફુકહાએ કિરામે હદીષે હસન અને ઝઈફને પણ દલીલરૂપે જાઈઝ અને પુરતી માની છે. એટલે આ મસ્અલામાં હમારે પણ મજકૂર એહલે હદીષ મુહદ્દિસીનની પેરવી કરવી જોઈએ.
વધુમાં આપે લખ્યુ છે કે ”કુરબાનીના દિવસો બાબતે ઉમ્મતે મુસ્લિમહમાં મતભેદ છે. તો સહીહ હદીષથી સબૂત આપશો જેથી ઉમ્મતને સહીહ રસ્તો મળી શકે.” અલ્પજ્ઞ આપનાથી જાણવા ચાહે છે કે શું ઉમ્મતમાં ફકત આ એક કુરબાનીના દિવસોના મસ્અલામાં જ મતભેદ છે? કે પછી ઈબાદતો અને મુઆમલાતને લગતા બીજા ઘણા મસાઈલમાં ઉમ્મતનો મતભેદ છે? નિઃશંક ઘણા ફિકહી મસ્અલાઓમાં ઉમ્મતમાં મતભેદ જોવા મળે છે, બલ્કે ઘણા ખરા ઈખ્તિલાફી મસાઈલને લગતી ઘણી હદીષોમાં પણ મતભેદ જોવા મળે છે. તો આપે તે મસાઈલમાં શું તરીકો નકકી કર્યો છે અને ઉમ્મતને તે મસાઈલમાં કેવી રીતે સીધો રસ્તો પ્રાપ્ત છે?
આપના સવાલથી એવું જાહેર થાય છે કે અહનાફના કુરબાનીના ત્રણ દિવસોના કોલ અને અમલની બુનિયાદ ફકત હઝરત અનસ (રદિ.)નો કોલ છે તે સિવાય આ મસ્અલાની અન્ય કોઈ દલીલ નથી, હાલાંકે એમ સમજવું તદ્દન ખોટુ અને હકીકતથી વિરૂદ્ય છે, કારણ કે આ હનફી મસ્અલો હદીષોથી સાબિત છે, જે નીચે રજુ કરવામાં આવે છે.
હઝરત સલમહ બિન અલ્ અકવઅ (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે તમારામાંથી જે કોઈ કુરબાની કરે તો (કુરબાનીની) ત્રીજી રાત પછી એ હાલતમાં તેની સુબ્હ ન થવી જવી જોઈએ કે તેના ઘરમાં તેના ગોશ્તથી કંઈક બચ્યો હોય, (આ મુમાનઅત પછી) જયારે બીજુ વર્ષ આવ્યું તો સહાબએ કિરામ (રદિ.)એ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને પુછયું કે શું આ વરસે પણ ગયા વરસની જેમ (કુરબાનીના ત્રણ દિવસથી વધુ ગોશ્ત રાખવાથી) બચવાનું છે? તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ જવાબ આપ્યો કે (આ વરસે તો) તમો (ત્રણ દિવસથી વધુ મુદ્દત સુધી)ખાઓ અને બીજાઓને ખવડાઓ અને સંગ્રહ પણ કરો, કારણકે ગયા વર્ષે તો લોકોને ખાવાની તકલીફ હતી જેથી મેં વિચાયુર્ં કે તમે લોકો આ તકલીફમાં લોકોને મદદ કરો. (બુખારી શરીફ – ર/૮૩પ)
હઝરત આઈશહ (રદિ.) ફરમાવે છે કે મદીનહ મુનવ્વરહમાં અમે લોકો કુરબાનીના ગોશ્તમાં મીઠુ ભેળવતા હતા અને હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ખિદમતમાં રજુ કરતા હતા તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કુરબાનીનો ગોશ્ત ફકત ત્રણ દિવસ ખાઓ અને આપનું આ ફરમાન લાઝમી (ઝરૂરી) અને વુજૂબી (વાજિબ કરનાર) ન હતું, પરંતુ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એવુ ઈચ્છતા હતા કે તે લોકોને ખવડાવવામાં આવે. (બુખારી શરીફ – ર/૮૩પ)
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે કુરબાનીનો ગોશ્ત ફકત ત્રણ દિવસ સુધી ખાઓ (અને આ હદીષના કારણે) હઝરત ઈબ્ને ઉમર (રદિ.) જયારે મિનાથી પાછા ફરતા તો હદીના જાનવરોનો ગોશ્ત હોવાના કારણે ઝયતૂનના તેલ સાથે રોટી ખાતા હતા.(બુખારી શરીફ – ર/૮૩પ)
હઝરત અબૂ સઈદ ખુદરી (રદિ.) બયાન કરે છે કે તેઓ સફરથી પાછા ફર્યા અને તેમની સમક્ષ ગોશ્ત રજુ કરવામાં આવ્યો અને કહયું કે આ અમારી કુરબાનીઓનો ગોશ્ત છે તો હઝરત અબૂ સઈદ ખુદરી (રદિ.)એ ફરમાવ્યુ કે તેને મારી આગળથી હટાવી દો, હુ તેને નહીં ચાખું. (બુખારી શરીફ – ર/૮૩પ)
મુસનદે અહમદની એક રિવાયતમાં છે કે આપે એમ ફરમાવ્યું કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ અમોને અમારી કુરબાનીઓનો ગોશ્ત ત્રણ દિવસથી વધુ ખાવાથી મનાઈ ફરમાવી છે. સુનને નસાઈ, તબરાની, મુસનદે અહમદ અને તહાવી શરીફમાં છે કે અબૂ સઈદ ત્યાર પછી પોતાના ભાઈ કતાદહ બિન નુઅમાન (રદિ.) પાસે આવ્યા તો તેમણે કહયું કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ હજના વર્ષે ફરમાવ્યુ કે મેં તમોને ત્રણ દિવસથી વધુ કુરબાનીના ગોશ્ત ખાવાથી મના કર્યા હતા અને હવે હું તેને તમારા માટે હલાલ કહું છું, તો જયાં સુધી ચાહો કુરબાનીનો ગોશ્ત ખાઈ શકો છો. (ઉમ. કારી –૧૭/ર૮ર)
આ બધી હદીષોમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ કુરબાનીનો ગોશ્ત જમા રાખવાની અને ખાવાની કુરબાનીના માત્ર ત્રણ દિવસો સુધી છૂટ આપી હતી અને ત્રણથી વધુ દિવસો સુધી જમા રાખવાની અને ખાવાની મનાઈ ફરમાવી હતી, જેનાથી સ્પષ્ટ રીતે એ વાત સાબિત થાય છે કે કુરબાનીના ત્રણ દિવસ જ છે, જો ચોથા દિવસે પણ કુરબાની કરવી જાઈઝ હોતે તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ચાર દિવસ સુધી ગોશ્ત જમા રાખવાની અને ખાવાની ઈજાઝત ફરમાવતે. જયારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ત્રણ દિવસો (દસમી, અગયારમી અને બારમી ઝુલહજ) સુધી જ ગોશ્ત ખાવાની સ્પષ્ટ છૂટ આપી હતી તો ચોથા દિવસે કુરબાની કેવી રીતે જાઈઝ કહેવાય, કારણ કે ચોથા દિવસની કુરબાનીનો ગોશ્ત તો મજકૂર મનાઈના કારણે ન ખાવાના ઉપયોગમાં લઈ શકાત, ન સંગ્રહ કરી શકાત, હાલાંકે કોઈ હદીષમાં એવી ચોખવટ સાબિત નથી કે જયારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ કુરબાનીના ત્રણ ત્રણ દિવસો સુધી ગોશ્ત ખાવાની છૂટ અને તેથી વધુ દિવસોમાં ગોશ્ત સંગ્રહ કરવાની અને ખાવાની મનાઈ ફરમાવી હતી, ત્યારે ચોથા દિવસે માત્ર કુરબાની ઝબહ કરવાની ઈજાઝત બયાન ફરમાવી હતી અને ગોશ્ત ખાવાની પાબંદી ફરમાવી હતી.
અને સહાબએ કિરામ (રદિ.)માંથી ફકત હઝરત અનસ (રદિ.) કુરબાનીના ત્રણ દિવસો હોવાનું નથી ફરમાવતા, બલ્કે બીજા ઘણા સહાબએ કિરામ હઝ.ઉમર, હઝ. અલી, હઝ. ઈબ્ને ઉમર, હઝ. અનસ, હઝ. ઈબ્ને અબ્બાસ, હઝ. અબૂ હુરૈરહ (રદિયલ્લાહુ તઆલા અન્હુમ) પણ કુરબાનીના ત્રણ દિવસો હોવાનું ફરમાવે છે. (નૈલુલ અવતાર – ૪/૩પ૯, ઈઅલાઉસ્સુનન)
અને મજકૂર સહાબએ કિરામ (રદિ.)ના કુરબાનીના ત્રણ દિવસો હોવાના મંતવ્યો તેમણે પોતાની અકલથી નકકી કરેલા નથી હોય સકતા, બલ્કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી સાંભળીને જ તેમણે ત્રણ દિવસો બતાવ્યા છે, માટે તેમના આ મંતવ્યો પણ ઉસૂલે હદીષ મુજબ હદીષના દરજાના જ ગણાશે.(ઈ.સુનન – ૧ર/ર૩૦)
આપ લખો છો કે ”એહલે હદીષ ભાઈઓ ચાર દિવસ કુરબાની કરવાનું કહે છે એમાં એ લોકો સહાબા અબૂ સઈદ ખુદરી (રદિ.)થી મરવી થયેલ હદીષ ઉપરાંત બીજી પાંચ હદીષો મુસ્લિમો સામે રજુ કરે છે” અને તે પછી અહલે હદીષની દલીલરૂપે માત્ર બે જ હદીષો નકલ કરી છે, એક હઝ. અબૂ સઈદ ખુદરી (રદિ.)ની હદીષ જેનો કોઈ હવાલો પણ આપ્યો નથી અને બીજી અબૂ દાઉદ, તિરમિઝી શરીફની હદીષ. આપના લખવા મુજબ અહલે હદીષ પાસે બાકી ચાર હદીષો પણ કુરબાનીના ચાર દિવસો હોવાની દલીલરૂપે છે, જે આપે રજુ કરી નથી.
અત્રે આપની રજુ કરેલ બે હદીષોનો જવાબ લખવામાં આવે છે.
હઝરત અબૂ સઈદ ખુદરી (રદિ.)ની હદીષ જેનો તરજુમો આપે આ પ્રમાણે લખ્યો છે કે અય્યામે તશરીક અય્યામે ઝબહના દિવસો છે. આ હદીષની સનદમાં રાવી મુઆવિયહ બિન યહયા સદફી છે, આ રાવીને હદીષના અનેક ઈમામો, ઈમામ નસાઈ, ઈમામ યહયા બિન મઈન અને ઈમામ અલી બિન મદીની (રહ.)એ ઝઈફ (કમઝોર) રાવી કહયા છે અને ઈમામ ઈબ્ને અબી હાતિમે કિતાબુલ ઈલલમાં લખ્યું છે કે મજકૂર સનદના કારણે આ હદીષ મવઝૂઅ (મનઘડત) છે.
(અલ બિનાયા – ૧ર/ર૮, ઈઅલાઉસ્સુનન–૧ર/ર૩ર)
મજકૂર હદીષ હઝ. જુબૈર બિન મુતઈમ (રદિ.)થી પણ નકલ છે. જેને શેખ ઈબ્ને કય્યિમ (રહ.)એ મુનકતિઅ અને ગેર સાબિત ફરમાવેલ છે. (ઈઅલાઉસ્સુનન–૧ર/ર૩ર)
અલ્લામા બયહકી (રહ.) એ લખ્યું છે કે આ હદીષની સનદમાં સુલૈમાન બિન મૂસાની મુલાકાત જુબૈર બિન મુતઈમથી સાબિત નથી માટે આ હદીષ મુનકતિઅ છે. (અલ બિનાયા – ૧ર/ર૭)
ગેર મુકલ્લિદોના મુનાઝિરે આ’ઝમ મવલાના બશીર અહમદે અને અમીરે જમાઅતે અહલે હદીષ મવલાના મહંમદ ઈસ્માઈલ સલફીએ પણ આ હદીષને ઝઈફ ઠરાવેલ છે. (ફતાવા ઉલમાએ હદીષ – ૧૩/૧૬૯,૧૭૮)
વળી જો અબૂ સઈદ ખુદરી (રદિ.)ની હદીષમાં અય્યામે તશરીકથી તકબીરે તશરીક પઢવાના દિવસો મુરાદ લેવામાં આવે તો એ હદીષ મુજબ તો ગેર મુકલ્લિદોએ નવમી ઝુલહજના પણ કુરબાની જાઈઝ કહેવી જોઈએ, કારણ કે નવમી ઝુલહજના પણ તકબીરે તશરીક પઢવામાં આવે છે.
જયારે કુરબાની ત્રણ દિવસો હોવા એ બુખારી શરીફની સહીહ હદીષોથી સાબિત છે અને અનેક મશહૂર સહાબએ કિરામ (રદિ.)નું પણ આ જ મંતવ્ય છે તો તેને છોડીને ઝઈફ અને મવઝૂઅ દરજાની હદીષથી કુરબાનીના ચાર દિવસો સાબિત કરવા એ કેટલુ ઉચિત અને બુધ્ધિગમ્ય છે એ સમજી શકાય છે, સાથે જ ગેર મુકલ્લિદોની હદીષની પેરવી પણ સમજી શકાય છે કે તેઓ કયા પ્રકારની હદીષની પેરવી કરે છે, સહીહ હદીષને છોડીને ઝઈફ હદીષની પેરવી કરે છે.
ગેર મુકલ્લિદોની બીજી દલીલરૂપે આપે હદીષની કિતાબો અબૂ દાઉદ અને તિર્મિઝી શરીફની હદીષ નકલ કરી છે જેમાં વર્ષમાં પાંચ દિવસોના રોઝા હરામ હોવાનું વર્ણન છે, તેમાં ચાર રોઝા બકરી ઈદના અને એક રોઝો ઈદુલ ફિત્રનો હોવાનું જણાવ્યું છે અને બકરી ઈદના ચાર દિવસોના રોઝા હરામ હોવાને કુરબાનીના ચાર દિવસો હોવાની દલીલ બનાવી છે.
આ દલીલનો આધાર એ હકીકત સાબિત થવા ઉપર છે કે જે દિવસોના રોઝા હરામ હોય તે દિવસોમાં કુરબાની કરવી જાઈઝ છે. હાલાંકે આ હકીકત દલીલથી એટલે કે કોઈ હદીષથી કે કોઈ મુજતહિદ ઈમામથી સાબિત નથી, જો આ હકીકત માનવામાં આવે તો ઈદુલ ફિત્રના દિવસે પણ કુરબાની જાઈઝ હોવી જોઈએ. હાલાંકે ઈદુલ ફિત્રના દિવસને કોઈ પણ આલિમ કુરબાનીનો દિવસ માનતા નથી. મતલબ કે આ હદીષથી પણ કુરબાનીના ચાર દિવસો સાબિત કરવા દુરસ્ત અને સહીહ નથી.
ખુલાસો આ કે ગેર મુકલ્લિદીન પાસે કુરબાનીના ચાર દિવસો હોવાની કોઈ મોઅતબર અને સહીહ દલીલ નથી. જયારે હનફી ભાઈઓ કુરબાનીના ત્રણ દિવસ સહીહ અને મોઅતબર હદીષોથી સાબિત માને છે અને આવી અજ્ઞાનતા સાથે મસાઈલની દલીલોની બહસ કરવી કેટલી ઉચિત છે તે પણ સમજી શકાય છે.
Log in or Register to save this content for later.