[૩૯ર] બહુપત્નિત્વ અને અવલાદના હુકૂક

Chapter : નિકાહ

(Page : 457 to 459)

સવાલ :– (૧) મારી એક શાદી લગભગ આજથી તેત્રીસ વર્ષ પહેલાં થઈ ચુકેલ છે, હાલ મારે પાંચ લળકીઓ તેમજ એક છોકરો છે, બે છોકરીઓની શાદી થઈ ગયેલ છે, તેમજ એક છોકરાની પણ શાદી થઈ ગયેલ છે, હાલ મારી અહલિયા કમઝોર થઈ ગયેલ છે, મારી ખ્વાહિશાતને પૂરી કરી શકે તેમ નથી, હું બીજી શાદી કરવાનો છું, ઈન્શાઅલ્લાહ, જેથી શરીઅતની રૂએ મારે જે બન્નેાની સાથે ઈન્સાફ કરવાનો છે તો કઈ રીતે ઈન્સાફ કરવો, દાખલા તરીકે પૈસા, કપડાં, રાત્રી રોકાણ ઉપરાંત જે કાંઈ બીજી કોઈ જરૂરિયાત હોય તેને કેવી રીતે શરીઅતના દાયરામાં રહી પૂરી કરવી જેથી કાલે કયામતના દિવસે મારી પકડ ના થાય, તે માટેના જે કંઈ મસાઈલ હોય તે વિગતે જણાવશો. બીજો કોઈ મુસ્તકિલ રિસાલો હોય અઝદવાજી ઝિન્દગી બાબતે  તો તે કયાં મળશે ? અને મુસન્નિફ કોણ છે, તે જણાવશો જેથી  અમો તુરંત મંગાવી શકીએ, જેથી બરાબરી કરવામાં કોઈ ગુનોહ ન રહે અને આસાની રહે.

          (ર) હાલ ઉપરોકત જે વિગતો લખેલ છે, તેમાં હાલ મારી ત્રણ છોકરીઓ છે તેના ઘર ખર્ચ વિષે પણ લખશો કે તેના માટે મારે અલગ વહેવાર શું કરવો પડે.

          (૩) હાલ હું જે શાદી કરવાનો છું તે મુતલ્લકા છોકરી છે, તેને અગાઉ જે શાદી કરેલ ત્યાંની ઔલાદમાં બે છોકરીઓ છે, હાલ (૪) થી (પ) વર્ષની છોકરી લઈને આવશે મોટી છોકરી એના નનિહાલમાં મુકીને આવશે, ચારથી છ મહિનામાં જે મોટી છોકરી છે તેને પણ ઈન્શાઅલ્લાહ હું મારા ત્યાં બોલાવી લઈશ, તો તેઓના પોકેટ ખર્ચ વિષે પણ સંપૂર્ણ માહિતી વહેલી તકે આપશોજી જેથી તેમાં પણ કોઈ ગુનોહ ન રહે.

જવાબ : (૧) મુસલમાન માટે એકથી વધુ ચાર ઓરતો સુધી નિકાહ કરવા જાઈઝ છે, પરંતુ નિકાહ કર્યા પછી અનેક પત્નીઓમાં રાતવાસો કરવામાં, ખાવા પીવામાં, લિબાસ (કપડાં) આપવામાં અને સાફ – સફાઈ વગેરેનો અન્ય ખર્ચ આપવામાં, રહેવા માટે મકાન આપવામાં બરાબરી કરવી એટલે કે બધી પત્નીઓ સામે મજકૂર હકો બાબત એક સરખો વ્યવહાર કરવો વાજિબ છે, જે કુર્આન હદીસથી સાબિત છે અને મજકૂર હકોમાંથી કોઈ હકથી અમુક પત્નીઓને વંચિત રાખવી નાજાઈઝ અને હરામ છે.      (શામી ભા. ર)

          (ર) તમારી પોતાની અપરણિત છોકરીઓની પોતાની માલિકીની કોઈ મૂડી મિલકત ન હોય તો ચાહે તે બાલિગ હોય કે ના બાલિગ હોય તેમની શાદી થતાં સુધી તેમનું ભરણ પોષણ તમારા ઝિમ્મે વાજિબ છે.     (શામી ભા. ર)

          (૩) આગલા પતિની છોકરીઓને પોતાની પાસે રાખવી અને તેમનું ભરણ પોષણ કરવું શરઈ દ્વષ્ટ્રિએ તમારા શિરે લાઝિમ અને વાજિબ નથી, બલ્કે તેમના હકીકી પિતાના શિરે તેમનું ભરણ પોષણ વાજિબ છે. અલબત્ત જો તમો તેમને પોતાની પાસે રાખશો અને તેમનું ભરણ પોષણ કરશો તો તેમની પરવરિશનો સવાબ તમોને મળશે       (શામી ભા. ર)

          નોંધ : – જો ખરેખર એ નિય્યતે વહેવારની રકમ શાદી પ્રસંગે આપી કે અમારા પ્રસંગે તે લોકો પણ વહેવાર લઈને આવે તો એક પ્રકારનું કર્ઝ છે. માટે આ સૂરતમાં વહેવારની રકમ સદકો કરવાથી ઝિમ્મેદારી પૂરી નહીં થાય. આવી વહેવારની રકમ તે જ વ્યકિતને પરત કરવી જરૂરી છે.

Log in or Register to save this content for later.