Chapter : નિકાહ
(Page : 445 to 447)
સવાલ :– હું આ મસ્અલો પુછનાર પટેલ મુસ્તાક ભાઈ અલીભાઈ ઈશા (ડેલાવાલા મોજે ગામ આમોદ તા આમોદ જિ. ભરૂચનો રહેવાસી છું, મેં મારી મોટી દિકરી નુસ્રતબાનુ (ઉ.વર્ષ ર૪)ની એક વર્ષ અગાઉ ચુનિયા સ્ટ્રીટ મોજે ગામ આછોદ તા. આમોદના રહેવાસી જનાબ ઈસ્માઈલ મહંમદભાઈ ભૂરાશેઠ (ઉ.વર્ષ પ૦થી પર)ના મોટા દિકરા પટેલ અલ્તાફ હુસેન (ઉ.વર્ષ ર૭) સાથે કરેલ છે, શાદી બાદ મારી દિકરી નુસ્રતબાનુ તેના સાસરે તેના પતિ તથા સાસુ સસરા અને ઝઈફ દાદી સાસુ સાથે આછોદ મુકામે રહેતી હતી. તે દરમિયાન,
(૧) મારી દીકરીના સાસુ સસરા વચ્ચે તકરાર થતાં છેલ્લા પાંચ છ મહીનાથી હાલમાં મારી દીકરીના સાસુ તેમના પીયર જતા રહેલ છે.
(ર) મારા જમાઈ પટેલ અલ્તાફ હુસેન છેલ્લા ચાર મહીનાથી સાઉથ આફ્રિકા ગયા છે અને હાલ ત્યાં નોકરી ધંધો કરે છે.
(૩) જે દિવસે જમાઈ સાઉથ આફ્રિકા ગયા તેના એક–બે દિવસમાં હું મારી દીકરીને સામાજિક રિવાજ મુજબ બધાની રાજી ખુશીથી ડિલેવરી માટે મારા ઘરે બોલાવી લાવેલ છે.
(૪) હાલમાં મારી દીકરીના સાસરીયા બે જ માણસો, એક તેના સસરા અને બીજા તેના દાદી સાસુ છે, પણ મારી દીકરીની દાદી સાસુ કે જેમની ઉંમર ૯૦ થી ૯પ વર્ષની છે તેઓ માનસિક રીતે બીમાર છે, વધુ માં ર૪ કલાક બેભાન અવસ્થામાં રહે છે, ઘર કે બહારના કોઈ પણ માણસને ઓળખી શકતા નથી, દરેક હાજત પથારીમાં જ કરે છે, હાલ મારી દીકરીના સસરા ઘરમાં એકલા છે અને તેમના મધરની હાલમાં સાર સંભાળ રાખે છે.
(પ) મારી દીકરીને ૧પ / ૦૧ / ર૦૧૧ ના રોજ ડિલેવરી થઈ છે, હાલમાં ચાલીસ દિવસનો છોકરો છે અને સામાજિક રિવાજ મુજબ ડિલેવરીના ચાલીસ દિવસ પૂરા થતાં પાકીનું ગુસલ (છલુ) પણ કરી લીધું છે.
(૬) હવે મારા જમાઈ અને વેવાઈ મારી દીકરીને અને મને ફોન કરીને અને મધ્યસ્ત્રીઓ મારફત નુસ્રત બાનુને તેમના ઘેર આછોદ મુકામે મોકલી આપવા દબાણ કરે છે અને જો હું ના મોકલું તો તલ્લાક આપવાની ધમકી આપે છે.
ઉપરોકત સંજોગો અને બાબતોને જોતા કે જયારે ઘરમાં મારી દિકરીના સસરા સિવાય કોઈ બીજુ સમજદાર માણસ નથી, તે સંજોગોમાં મારી દિકરીને તેના સસરા પાસે એકલા ઘરમાં રહેવા મોકલવી દીન અને દુન્યવી રીતે મને અને મારી દીકરીને ઉચિત લાગતું નથી, પણ આમ કરવા જતાં મારી દીકરીને તલાક થઈ જવાનો ભય છે, તો મારે મારી દીકરીને તેના સાસરે તેના સસરા સાથે ઘરમાં એકલા રહેવા મોકલવી દીની રીતે જાઈઝ છે કે નહિ તે લેખિતમાં જણાવી આભારી થશો કે જેથી હું અને મારી દિકરી દીની રીતે સહી નિર્ણય લઈ શકીએ અને જમાઈ અને વેવાઈને તથા મોભેદાર વ્યકિતઓને બતાવીને પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવી શકીએ.
જવાબ :– પતિએ પોતાની પત્નીને પોતે જયાં રહેતો હોય ત્યાં રહેઠાણ આપવું અને પોતાની સાથે રાખવી જરૂરી છે, પોતાના રહેવાની જગ્યા છોડીને બીજી જગ્યાએ બીજા સાથે રહેવા ફરજ પાડવી અને દબાણ કરવું એ જાઈઝ નથી, અલ્લાહ તઆલાનું ફરમાન છે, ”અસ્કિનુહુન્નય મિન હય્ષુ સકનતુમ” તમો તે ઓરતોને રહેઠાણ આપો જયાં તમો રહો છો. (સૂરએ તલાક)
અને પત્નીએ પતિને છોડીને બીજા કોઈ મહરમ સાથે રહેવું પણ જરૂરી નથી અને પોતાના ગેર મઅમૂન હોવાનો ખતરો હોય તો બીજા કોઈ મહરમ સાથે રહેવું જાઈઝ પણ નથી. (શામી : ભા.ર / ૩૬૦)
Log in or Register to save this content for later.