Chapter : નિકાહ
(Page : 441-442-443)
સવાલઃ–(૧) મારી એક શાદી આજથી ૩૩ વર્ષ પહેલાં થઈ ચુકેલ છે, હાલ મારે પાંચ છોકરીઓ તેમજ એક છોકરો છે, બે છોકરીઓની શાદી થઈ ગયેલ છે, તેમજ એક છોકરાની પણ શાદી થઈ ગયેલ છે, હાલ મારી એહલીયા કમઝોર થઈ ગયેલ છે, મારી ખ્વાહીશને પૂરી કરી શકે તેમ નથી, હું બીજી શાદી કરવાનો છું, ઈન્શાઅલ્લાહ, જેથી શરીઅતની રૂએ મારે જે બન્નેાની સાથે ઈન્સાફ કરવાનો છે, તો કઈ રીતે ઈન્સાફ કરવો, દાખલા તરીકે પૈસા, કપડાં, રાત્રી રોકાણ જે કંઈ બીજી કોઈ ઝરૂરિયાત હોય તેને કેવી રીતે શરીઅતના દાયરામાં રહી પૂરી કરવી, જેથી કાલે કિયામતના દિવસે મારી પકડ ના થાય, તે માટેના જે કાંઈ મસાઈલ હોય તે વિગતે જણાવશોજી, બીજું કોઈ મુસ્તકિલ રિસાલો હોય ‘ઈઝદિવાજી ઝિન્દગી’ વિષે હોય તો તે કયાં મળશે અને મુસન્નિફ કોણ છે? તે જણાવશો જેથી અમો તુરંત મંગાવી શકીએ જેથી બરાબરી કરવામાં કોઈ ગુનોહ ન રહે અને આસાની રહે.
(ર) હાલ ઉપરોકત જે વિગતો લખેલ છે, તેમાં હાલ મારી ત્રણ છોકરીઓ છે તેના ઘરખર્ચ વિષે પણ લખશો કે તેના માટે મારે અલગ વ્યવહાર શું કરવો પડે.
(૩) હાલ હું જે શાદી કરવાનો છું તે મુતલ્લકા છોકરી છે, તેને અગાઉ જે શાદી કરેલ ત્યાંની અવલાદમાં બે છોકરાઓ છે, હાલ ૪ થી પ વર્ષની છોકરી છે, તે છોકરીને લઈને આવશે, મોટી છોકરી તેના નનિહાલમાં મુકીને આવશે, ચાર થી છ મહીનામાં જે મોટી છોકરી છે તેને પણ હું ઈન્શાઅલ્લાહ મારા ત્યાં બોલાવી લઈશ, તો તેઓના પોકેટ ખર્ચ વિશે પણ સંપૂર્ણ માહિતી વહેલી તકે આપશોજી જેથી તેના પણ કોઈ ગુનાહ ન રહે.
જવાબઃ– (૧) મુસલમાન માટે એક થી વધુ ચાર ઓરત સુધી નિકાહ કરવા જાઈઝ છે, પરંતુ નિકાહ કર્યા પછી અનેક પત્નીઓમાં રાતવાસો કરવામાં, ખાવા – પીવામાં, લિબાસ (કપડાં) આપવામાં અને સાફ – સફાઈ વગેરેનો અન્ય ખર્ચ આપવામાં, રહેવાં માટે મકાન આપવામાં બરાબરી કરવી એટલે કે બધી પત્નીઓ સાથે મજકૂર હકકો બાબત એક સરખો વ્યવહાર કરવો વાજિબ છે, જે કુર્આન, હદીસથી સાબિત છે અને મજકૂર હકકોમાંથી કોઈ હકથી અમુક પત્નીઓને વંચિત રાખવી નાજાઈઝ અને હરામ છે. (શામી – ર)
(ર) તમારી પોતાની અપરણિત છોકરીઓની પોતાની માલિકીની કોઈ મૂડી મિલકત ન હોય તો ચાહે તે બાલિગ હોય કે નાબાલિગ હોય તેમની શાદી થતાં સુધી તેમનું ભરણ પોષણ તમારા ઝિમ્મે વાજિબ છે. (શામી ભા. ર)
(૩) આગલા પતિની છોકરીઓને પોતાની પાસે રાખવી અને તેમનું ભરણ પોષણ કરવું શરઈ દ્રષ્ટિએ તમારા શિરે લાઝિમ અને વાજિબ નથી, બલ્કે તેમના હકીકી પિતાના શિરે તેમનું ભરણ પોષણ વાજિબ છે, અલબત્ત જો તમો તેમને પોતાની પાસે રાખશો અને તેમનું ભરણ પોષણ કરશો તો તેમની પરવરિશનો સવાબ તમને મળશે. (શામી ભા. ર)
Log in or Register to save this content for later.