[૩૭૦] ત્રણ વર્ષ સુધી પત્નીનું મોઢું ન જોવાથી તલાક થતી નથી

Chapter : નિકાહ

(Page : 424 to 429)

સવાલઃ– મારું નામ ઝુબેર પારેખ છે, મારી શાદી નવસારી શહેરમાં મારી ખાલાની છોકરી નામે સમીમબાનુ ઐયૂબ છીલુના સાથે બંને પક્ષની રાજીખુશીથી (ટેલીફોનથી) થઈ હતી, શાદી થઈ ગયા પછીથી મારી વાઈફની પાસપોર્ટ બનાવવા નાંખી ત્યારથી લઈને શાદીમાં ખાવાનો ખર્ચ, મેડીકલનો ખર્ચો તેમજ ઈન્ટરવ્યુંનો ખર્ચો એ ટુ ઝેડ ખર્ચો મેં આપ્યો હતો, તેમજ ઉપલગ ખર્ચ પણ સાત લાખ જેટલાં રૂપિયા મેં આપ્યા હતા, તે તમારી જાણ ખાતર લખ્યું છે, શાદી થઈ ગયા પછીથી ફોન પર વાતચીત તેમજ પત્ર વ્યવહાર બંને પક્ષ તરફથી ચાલુ હતો, મારે તમને શરૂઆત કેવી રીતે થઈ તે જણાવું છું. મારી શાદી થઈ ત્યારે એ લોકોએ છોકરીની પાસપોર્ટ મારા નામથી બનાવવાના બદલે એના બાજીના નામથી બનાવી બીજું શાદીનું જે નિકાહનું સર્ટીફીકેટ જે મસ્જિદમાંથી લેવાના બદલે અમુક માણસ છે, તે બસો રૂપિયામાં ડુબલીકેટ નિકાહનું સર્ટીફીકેટ બનાવી આપે છે, તે પેપર એ લોકોએ મારા ઉપર મોકલાવ્યું, તે નિકાહના પેપર ઉપર એક જ વ્યકિતના અક્ષરથી બધી જ વ્યકિતના અલગ અલગ નામ અને સિગ્નેચર તે વ્યકિતએ પોતે જ કરેલા, તે ઉપરાંત ઈમામ સાહેબ તેમજ શાહિદ વકીલ તેમજ સાક્ષીની બધી જ સહી એ વ્યકિતએ પોતે કરેલી, તે પેપર અમને જયારે મળ્યું અને મેં જોયું કે આ પેપર તો ડુબ્લીકેટ છે ત્યારે મેં ફોન કરીને કહયું કે તમે મસ્જિદમાંથી કેમ નિકાહનું પેપર લીધુ નહીં, આ પેપર તો ડુબ્લીકેટ છે, મસ્જિદનું નથી ત્યારે છોકરીની (મા) મારી ખાલાને પૂછયું કે ખાલા તમે મારા સાથે ધોકો કરવા માંગો છો, ત્યારે તેમનાથી બરાબર જવાબ આપી શકાયો નહીં, ગલ્લા તલ્લા કરવા માંડયા ત્યાર પછીથી એ લોકોએ મસ્જિદમાંથી ઓરીજનલ પેપર મોકલ્યું તેમાં છોકરીથી લઈને ઈમામ સાહેબ, શાહીદ વકીલ તેમજ દરેક શાક્ષીઓએ પોતે સિગ્નેચર કરી હતી, તેમજ મસ્જિદના સહી – સિક્કા પણ હતાં, ત્યાર પછી મેં ફોન પર કહયું કે તમે કોર્ટ મેરેજ કરાવીને મોકલાવો ત્યારે એ લોકોએ બરાબર એ પ્રમાણે કર્યુ, ત્યાર પછી એની મેડીકલ આવી અને એ કરાવીને પણ આવી મને કહયું પણ નહીં, પરંતુ એ મેડીકલમાં ફેલ થઈ, ત્યારે બીજી વખતે મેડીકલ કરાવવા ગઈ ત્યારે મને કહયું કે મારી મેડીકલ આવેલી છે, બીજી વખતે પણ એ મેડીકલમાં ફેલ થઈ, ત્યારે એણે મને કહયું કે એકસરે બરાબર પડયો નહીં વાંકો વળી ગયો હતો, તેથી પાછી ત્રીજી વખતે મેડીકલ થઈ ત્યારે બે વખત બે મહીના પછીથી એની દવા કરાવીને મેડીકલ કરાવી ત્યારે ચોથી વખતે એ પાસ થઈ ત્યારે કેનેડાની ઈમિગ્રેશનવાળાએ મારા ઉપર એક લેટર મોકલાવ્યો કે તારી વાઈફને અમે વીઝા આપીએ છીએ, પરંતુ જયારે એ કેનેડા આવે ત્યારે તરત જ એની દવા કરાવવાની ચાલુ કરી દેશો, ત્યાર પછી એની વીઝા આવી ગઈ જયારે અમને ખબર પડી તો અમે ફોન કર્યો તો એ લોકોએ કહયું કે હાલમાં ટિકીટ પણ મોંઘી છે અને બુકીંગ પણ મળતી નથી માટે જયારે બુકીંગ મળશે કે અમે તમને તરત જ જણાવીશું, મારી વાઈફ મારા સાથે ફોન પર વાતચીત કરતી હતી, હું પણ ફોન કરતો હતો, લેટર લખતો હતો, મારી વાઈફ પણ ફોન કરતી લેટર લખતી હતી મારી વાઈફની વીઝા આવી ગઈ ત્યાર પછીથી એના ઉપર શોપીંગના તેમજ ટીકીટના રૂપિયા પણ મેં મોકલી આપ્યા, હું મારી વાઈફ સાથે વીકમાં બે – ત્રણ વખત વાત ફોન પર કરતો હતો, પછી મારી માએ ઈન્ડિયા ફોન કર્યો તો મારી માને ઈન્ડિયાથી એના ભાઈએ કહયું કે શમીમ તો બૌધાન શાદીમાં ગઈ છે, પછી મે ફોન કર્યો તો મને પણ એમ જ કહયું કે તે શાદીમાં ગઈ છે, માટે બે – ત્રણ દિવસમાં આવી જશે ત્યારે તમે ફોન કરજો, બે – ત્રણ દિવસ પછી મે ફોન કર્યો તો એની માએ ફોન ઉચકયો અને મારી સાથે વાત કરી ત્યારે કહયું કે ઝૂબેર શમીમ તો લંડન આજે ઉતરી ગઈ છે એ બે ત્રણ દિવસમાં તારા પાસે કેનેડા આવી જશે, ત્યાર પછી મેં લંડન ફોન કર્યો તો શમીમના રિશ્તેદારોએ મને શમીમ સાથે વાત જ કરવા દીધી નહીં, ત્યાર પછી એક મહીના પછી એ કેનેડા આવી ગઈ, કેનેડામાં પણ મને એના સાથે વાત કરવા દીધી નહીં કારણ કે અહીયા પોલીસમાં કમ્પલેન કરીને એ જે વિસ્તારમાં રહેતી હતી તે વિસ્તારમાં મારાથી જઈ શકાય નહીં એવી પોલીસમાં કમ્પલેન કરી હતી, અહીંયા સુધી કે તે વિસ્તારમાં મારી બહેન રહેતી હોવાથી ત્યાં પણ મારાથી જઈ શકાય નહીં કારણ કે અહીંયા કોઈને એ લોકોને એવું કહયું હતું કે ત્રણ વર્ષ સુધી એક બીજા સાથે વાત ચીત ન કરે અને એક બીજાનું મોઢું ન જોવાથી તલ્લાક ઓટોમેટીક થઈ જાય, શું એ વાત કેટલા અંશે સાચી છે કે ખોટી? આ બધી વાતથી મારી માને ઘણો જ ગેહરો આઘાત લાગ્યો અને મારી માનો ઈન્તેકાલ થઈ ગયો, એ વાતનો અમારા આખા ઘરને ઘણો જ આઘાત લાગ્યો કે સગી ખાલા આવો ધોકો કરશે.  હાલમાં મારી વાઈફ કેનેડામાં જે લોકો ને કામની જરૂરત હોય તેવા લોકો એને બોલાવી આઠ દિવસ પંદર દિવસ રાખે છે અને  ઘડીકમાં આ ઘરે તો ઘડીકમાં પેલા ઘરે રહે છે, આવું લોકોના ઘરે રહેવું જાઈઝ છે? ઈન્ડિયાથી લંડન, લંડનથી કેનેડા અને કેનેડામાં લોકોના ઘરે બે વર્ષ રહયા પછી એના ભાઈની શાદીમાં ઈન્ડિયા ગઈ છે, વગર મહરમે મુસાફરી કરવું જાઈઝ છે? અહીંયા બીજી વાત એ છે કે છોકરો તલાક ન આપે તો અહીંયા ઈમામ સાહેબ તલાક આપે છે એ કેવી રીતે થઈ શકે, અહીંયા એવો કાયદો છે કે મારા પાસે મારી પોપર્ટી કેશ રૂપિયા મારા પાસે જે મારું પોતાનું હોય તેમાં જયારે તલાક થાય તો તેને અર્ધો ભાગ આપવાનો, એ લોકો તલાક માંગે છે, ઘડીકમાં એવું કહે છે કે શાદી જ થયેલી નથી, મારી પાસે નિકાહનું ઓરીજનલ પેપર છે, કોર્ટ મેરેજ સર્ટીફીકેટ એની પોતાની સિગ્નેચર વાળુ છે, આ વાતનો બરાબર તમે ખુલાસાવાર જવાબ આપશો, કારણ કે મારી તો લાઈફ જ ખરાબ થઈ ગઈ છે, કારણ કે હું ન શાદી કરી શકું,  ઈસ્લામી તરીકાથી હું બીજી શાદી કરી ન શકું, અહીંયા કાયદા પ્રમાણે એક જ શાદી થાય છે, મારી પાસે જે કંઈ બચત હતી તે તો મે મારી વાઈફ પર ઈન્ડિયા મોકલાવી આપી હતી, તમે આ વાતનો જવાબ જરૂરથી આપશો. મહરના પૈસા પણ અમે આપેલા હતા તે પણ  ચેકથી.

(૧) વગર મેહરમે મુસાફરી કરવી, (ર) ગેર મહરમ ના ઘરે જેના સાથે નિકાહ જાઈઝ છે તેના ત્યાં રહેવું, (૩) શાદી કરીને ધોકો કરવો કે શાદી જ નથી કરી. (૪) શવહરને પૂછયા વગર એના રૂપિયાનો ગેર ઉપયોગ કર્યો, (પ) આ ધોકા બાજીમાં મારા પોતાના સગા – સંબંધીઓ જે એના પણ સગા સંબંધી થાય છે, જેઓએ એ કામમાં એની મદદ કરી છે, તેઓ માટે શું ગુનો છે, એ જાઈઝ છે કે ના જાઈઝ છે.

જવાબઃ– (૧) નિકાહ પછી ત્રણ વર્ષ સુધી પતિ –પત્નીના આપસમાં વાતચીત ન કરવાથી અને એક બીજાનું મોઢું ન જોવાથી આપોઆપ તલાક થઈ જાય છે એ વાત તદ્દન ગલત અને બે બુનિયાદ છે, કુર્આન – હદીસ અને ફિકહમાં આવો કોઈ હુકમ અને મસ્અથલાનું વર્ણન નથી, નિકાહ પછી પતિ – પત્ની ગમે તેટલી લાંબી મુદ્દત સુધી કોઈ કારણસર વાતચીત ન કરે અથવા એક બીજાનું મોઢું ન જોવે તો પણ તલાક પડતી નથી બલ્કે મૌત સુધી આમ ન બને તો પણ નિકાહ બાકી રહે છે, અલબત્ત મૌતથી નિકાહ ખતમ થઈ જાય છે.

          (ર) બાલિગ ઓરતે કોઈ પારકા માણસના ઘરમાં એવા માહોલમાં કામ કરવા જવું અને ત્યાં રહેવું કે ગેર મહરમ – પરાયા મર્દોથી બેપર્દગી અને વાતચીત થાય એ નાજાઈઝ છે.    (શામી ભા.ર)

          (૩) ઓરતે મહરમ રિશ્તેદાર કે પતિ વગર લાંબી મુસાફરી કરવી નાજાઈઝ  છે.

          (૪) માત્ર છોકરીની અથવા છોકરીના વાલીની માંગણીથી ઈમામ સાહેબે કોઈની પત્નીને તલાક આપવી જાઈઝ નથી અને એ પ્રમાણે બીજાની પત્નીને તલાક આપવાનો ઈમામ સાહેબને અધિકાર પણ નથી અને એવી તલાક ઓરતને પડતી પણ નથી.

          (પ) શરીઅત મુજબ શાદી થયા પછી શાદી થયાનો ઈનકાર કરવાથી બન્નેોવ પક્ષ પતિ–પત્નીના સંબંધથી મુકત નહીં થાય અને ઓરતે બીજા કોઈ પુરુષ સાથે શાદી કરવી જાઈઝ અને હલાલ નહીં ગણાય.

          (૬) આવી નાજાઈઝ અને ગુનાહિત કાર્યવાહીમાં જે લોકો સહકાર આપશે તે બધા જ ગુનેહગાર ઠરશે.

          (૭) પતિએ શાદી માટે પત્નીના વાલીઓને આટલી મોટી રકમ અને ખર્ચ આપ્યા પછી અને શરીઅતના ધારા ધોરણ મુજબ શાદી થઈ ગયા પછી પતિને તેની પત્નીથી વંચતિ રાખવો અને પત્નીને તેને ઘરે રૂખ્સતી ન કરવી એ ના જાઈઝ અને ઝુલ્મી પ્રવૃત્તિ છે અને સખત ગુનાહિત કાર્યવાહી છે, જો મજકૂર ઘટનામાં પતિની તલાક દેવાની ઈચ્છા ન હોય અને પત્ની તરીકેના બધા હકકો અદા કરવા તૈયાર હોય અને તે છતાં પત્ની તેની સાથે લગ્નજીવન ગુજારવા તૈયાર ન હોય તો પત્નીએ પોતાના આ પતિથી ખુલઅની સૂરતમાં તલાકની માંગણી કરવી જોઈએ અને પતિએ પોતે આ શાદીના મામલામાં જેટલો ખર્ચ કર્યો હોય તે પુરો ખર્ચ પત્ની તરફથી પાછો મળવાના બદલામાં ખુલઅ કરી લેવું જોઈએ અને પતિ – પત્નીએ બન્નેરએ આ સમસ્યાનો આ પ્રમાણે સુખદ અંત લાવી શાંતિમય જીવન ગુજારવું જોઈએ અને વાદ વિવાદ ખતમ કરવો જોઈએ અને આ કામ માટે કોઈ યોગ્ય શરઈ પંચાયતનો સંપર્ક કરવો જોઈએ.  (શામી ભા.ર)

Log in or Register to save this content for later.