[૩પ૧] જમાઅતથી બહાર નિકાહ કરવા પર પાબંદી અને બહિષ્કાર

Chapter : નિકાહ

(Page : 401 to 405)

સવાલઃ – અમારી સોરઠીયા મુસ્લિમ ઘાંચી જમાત મુંબઈએ ”સામાજિક બહિષ્કાર”કરતો સરકયૂલર બહાર પાડયો છે, તેની નકલ આ સાથે છે આપ આ પત્રનો અભ્યાસ કરી અમને નીચેના પ્રશ્નોના ઈસ્લામિક શરીઅત પ્રમાણેના યોગ્ય ફતવા આપવા મહેરબાની કરશોજી.

          સોરઠીયા મુસ્લિમ ઘાંચી જમાત મુંબઈના તમામ બુઝુર્ગો, ભાઈઓ, બહેનો અને નવ યુવાનો જોગ……

          જત આથી જાણ કરવામાં આવે છે કે આપણી જમાતની જનરલ સભા તાઃ ૧૪–પ–૯પના રોજ માહિમ મુકામે મળેલ હતી. તેમાં સર્વાનુમતે ઠેરવવામાં આવેલ છે કે સોરઠીયા મુસ્લિમ ઘાંચી જમાત મુંબઈમાં હુડાબંધી (વાડાબંધી) કાયમ રાખવી.

          સન ૧૯૮૬ પછી જે કોઈ ભાઈ–બહેન અને તેના ઘરવાળાઓએ પોતાના દીકરા – દીકરીના વેવિશાળ – લગ્ન સોરઠીયા મુસ્લિમ ઘાંચી સિવાયના બીજા હુંડામાં, પરકોમમાં, કર્યા હશે અથવા કરાવ્યા હશે, અને હવે પછી કરશે તેઓને આ જમાતના સભ્યપદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. આવા પ્રસંગોમાં સાથ આપનારાઓ અને શામિલ થનારાઓને પણ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. અને છ વર્ષ દરમિયાન પોતાની વર્તણુંક, વર્તન અને વહેવારમાં સુધરશે નહીં તો કાયમને માટે તેઓ પોતે સ્વેચ્છાયે આ જમાતમાં રહેવા માંગતા નથી અને તેઓ પોતે આ જમાતને છોડી ગયેલ છે. તેમ ગણવામાં આવશે અને તેઓને જમાત તરફથી મળતી સહાયો, જમાતખાનાથી મળતા લાભો અને તેની સાથી સંસ્થાઓમાંથી મળતા લાભોથી વંચિત રાખવામાં આવશે. અને તેમને ત્યાં થતા શુભ પ્રસંગો અને અશુભ પ્રસંગોમાં જમાત ભાગ લેશે નહીં અને જમાતના ભાઈ–બહેનોના કોઈ પણ પ્રસંગોમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં.

          હવે પછી જે કોઈ ભાઈ, બહેન ઠરાવ વિરૂધ્ધ કામ કરશે તેમને અને તેમને સાથ આપનારાઓનું તેમાં શામિલ થનારાઓને વર્કીંગ (મેનેજીંગ) કમિટીને કારણો સાથે લેખિત અરજી કરવાની રહેશે. કમિટી તેમની અરજી ઉપર ચર્ચા–વિચારણા કરી જે નિર્ણય કરશે તે અરજદારોને બંધનકર્તા રહેશે.

          ૧૯૮૬ પછી જે ભાઈઓ – બહેનોએ પોતાના દીકરા– દીકરીઓના લગ્ન આપણી જમાત (હુંડા) બહાર કર્યા હશે તેમને ધારેલા પાગલાઓમાંથી મુકતી મેળવવા માટે કારણ દર્શાવતી અરજી જમાતને ૩૦ જુન ૯પ સુધીમાં કરવાની રહેશે.

(૧) જો કોઈ ભાઈ અમારા સુન્નીી મુસ્લિમ સોરઠીયા ઘાંચી હુંડાની બહાર કલમા શરીફ કુટુંબમાં દીકરી આપે કે લે તો શું જમાઅત તેનો સામાજિક બહિષ્કાર કરી શકે?

(ર) શું એક મુસલમાનને બીજા મુસલમાનને ત્યાં શુભ અને અશુભ (લગ્ન પ્રસંગ અને મૃત્યુ) પ્રસંગોમાં જતા રોકી શકાય?

(૩) શું આવા સરકયુલરો મુસ્લિમ સમાજની પ્રગતિને રૂંધનાર નથી?

(૪) આવા સરકયુલરો જો ખોટા હોય તો તેને શરીઅતથી શું સજા છે? શું હુંડાબંધી (વાડાબંધી) યોગ્ય છે?

જવાબ :– શરીઅતમાં સગા–સ્નેહીઓ સાથે સારી વર્તણુક કરવાની અને દુઃખ સુખમાં તેઓની દેખભાળ અને આર્થિક સહાય કરવાની પ્રેરણા આપવામાં આવી છે, માટે આવી આવકાર દાયક અને આદરણીય પ્રવૃતિઓ માટે સોરઠીયા મુસ્લિમ ઘાંચી જમાઅત, મુંબઈની સ્થાપના અને તેના પ્રયત્નો પ્રશંસા પાત્ર છે, પરંતુ મજકૂર જમાઅત એક સામાજિક મુસ્લિમ જમાઅત છે માટે તેનો બંધારણની કોઈ કલમ શરીઅત વિરૂધ્ધ ન હોવી જોઈએ.

          હઝરત અનસ બિન માલિક (રદિ.) કહે છે કે મદીનહ મુનવ્વરહમાં હઝરત અબૂ તલ્હા (રદિ.) અન્સારી સહાબએ કિરામમાં સૌથી વધુ ખજૂરના બાગોના માલિક હતા અને બૈરહાઅ નામી બાગ તેઓની મિલ્કતમાં તેઓને સૌથી વધુ પસંદ હતો અને મસ્જિદે નબવીની સામે જ હતો અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તે બાગમાં પધારતા અને તેનું ઉમદા મીઠું પાણી પીતા હતા જયારે આ આયતે કરીમહ નાઝિલ થઈ કે ”લન્‌ તનાલુલ બિર્ર હત્તા તુન્ફિકુ મિમ્મા તુહિબ્બૂન” (અર્થાત : તમો કદી પૂર્ણ નેકી પામી શકતા નથી જયાં સુધી તમો પોતાની પસંદના માલમાંથી ખર્ચ ન કરો) તો હઝરત અબૂ તલ્હા (રદિ.) ઉભા થયા અને અરજ કરી કે યા રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અલ્લાહ તઆલા ફરમાવે છે કે ”લન્‌ તનાલુલ બિર્ર હત્તા તુન્ફિકુ મિમ્મા તુહિબ્બૂન” (અર્થાત : તમો કદી પૂર્ણ નેકી પામી શકતા નથી જયાં સુધી તમો પોતાની પસંદના માલમાંથી ખર્ચ ન કરો) અને મારો સૌથી ઈચ્છિત માલ બૈરહાઅ બાગ છે અને અલ્લાહ તઆલાની ખૂશનૂદીની ખાતિર તેના સવાબની અને અલ્લાહ તઆલા પાસે સંગ્રહની આશાએ તેનો સદકહ કરું છું, તો યા રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અલ્લાહ તઆલા આપને જે જગ્યા યોગ્ય બતાવે તે જગ્યાએ એ બાગને (તેની આવકને) લગાડી આપો તો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ બે વાર આ વાકય ફરમાવ્યુ કે તે માલ તો ખૂબ જ ભલાઈના કામમાં જઈ રહયો છે, મેં તમારી વાત સાંભળી લીધી, મારી સલાહ છે કે તમો એ બાગને રિશ્તેદારોમાં ખર્ચ કરો, અબૂ તલ્હા (રદિ.) એ જવાબ આપ્યો કે યા રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) આપના ફરમાન મુજબ અમલ કરીશ, પછી અબૂ તલ્હા (રદિ.) એ તે બાગ પોતાના રિશ્તેદારોમાં અને કાકાના દીકરાઓમાં વહેંચી દીધો.            (બુખારી શરીફ–ર/૬પ૪)

          (૧) હવે મજકૂર મુસ્લિમ ઘાંચી જમાઅતે સર્વાનુમતે મંજૂર કરેલ તા ૧૪–પ–૧૯૯પનો લગ્ન વિષયક ઠરાવનો અભ્યાસ કરીએ તો તે ઈસ્લામની તઅલીમ વિરૂધ્ધ છે અને તે બે રીતે ગલત છે એક તો આ રીતે કે ગેર અરબી મુસ્લિમોના પરસ્પર લગ્ન માટે નસબી, ખાનદાની અને જમાઅતી (બિરાદરી) દ્રષ્ટિએ કોઈ વાડાબંધી અને પ્રતિબંધ નથી, બલ્કે ગેર અરબી ગમે તે ખાનદાનનો છોકરો કે છોકરી પોતાનું ખાનદાન છોડીને બીજા ગમે તે ખાનદાનની છોકરી કે છોકરા સાથે નિકાહ કરી શકે છે. હદીષ શરીફમાં સમગ્ર ગેર અરબી મુસ્લિમોને નસબી અને ખાનદાની દ્રષ્ટિએ નિકાહના મામલામાં સમાન ગણવામાં આવ્યા છે, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે સમગ્ર કુરૈશી કુળનો દરેક સભ્ય બીજા કુરૈશીનો સમકક્ષ છે, તેનું દરેક પેટા કુટુંબ બીજા પેટા કુરૈશી કુટુંબના સમાન છે અને બાકીનો અરબી સમાજ પરસ્પર (નિકાહના મામલામાં) એક બીજાના સમકક્ષ છે અને ગુલામો (કિંવા ગેર અરબી અજમી લોકો) પરસ્પર એક બીજાના સમકક્ષ છે.  (હિદાયહ અવ્વલૈન)

          અલબત્ત, ગેર અરબી સમાજમાં છોકરા માટે આર્થિક, ધંધાકિય, દીનદારી અને નવ મુસ્લિમ તથા ખાનદાની મુસ્લિમ હોવાની દ્રષ્ટિએ છોકરીના સમકક્ષ હોવાનો એઅતિબાર છે, પરંતુ આ બાબતોમાં પણ જો છોકરી અને તેના વાલી નીચલી કક્ષાના છોકરા સાથે નિકાહ કરવા રાજીખુશી હોય તો આ સૂરતમાં મજકૂર બાબતોમાં નીચલી કક્ષાના છોકરા સાથે પણ ઘાંચી મુસ્લિમ જમાઅતે કોઈ જમાઅતી કુટુંબ કે સભ્ય પર લગ્ન પ્રતિબંધ મૂકવો એ જાઈઝ નથી. (શામી–ર)

          કોઈ પણ મુસ્લિમ જમાઅતે શરીઅતના નિયમો વિરૂધ્ધ નિયમો બનાવવા અને શરીઅતે આપેલી છુટછાટ ઉપર પ્રતિબંધ મુકવો એ ખૂબ જ ગંભીર બાબત છે, અલ્લાહ તઆલા ફરમાવે છે ”લા તબ્દીલ લિખલ્કિલ્લાહ” અલ્લાહ પાકના દીનમાં માનવીઓ તરફથી ફેરફારનો કોઈ અવકાશ નથી.         (સૂરએ રૂમ)

                   મુસ્લિમ જમાઅતની રચનાઓ મુખ્ય હેતુ તો શરીઅતના હુકમોના પાલનમાં પરસ્પર સહાય અને સહાનુભૂતી અને શરીઅત વિરૂધ્ધ ગુનાહિત પ્રવૃતિઓ અને અપરાધો પર પ્રતિબંધ મુકવાનો હોવો જોઈએ, અલ્લાહ તઆલા ફરમાવે છેઃ

”તઆવનૂ અલલ્‌ બિર્રિ વત્તકવા….” (સૂરએ માઈદહ)

(નેકી અને પરહેઝગારીના કામોમાં એબ બીજાની સહાય કરો અને ગુનાહ તથા અત્યાચારમાં પરસ્પર મદદરૂપ ન બનો.)

          લગ્ન જેવી સામાજિક બાબતોમાં શરીઅતના નિયમો વિરૂધ્ધ બંધારણ ઘડવું એ એક ગુનાહિત કાર્ય છે અને ગેર શરઈ બંધારણનું પાલન ન કરનાર માટે સામાજિક બહિષ્કારનો દંડ ઠરાવવો એ બીજો ગુનોહ છે, માટે જમાઅતને પોતાના મજકૂર બંધારણ ઉપર ફેર વિચારણા કરી તેને શરીઅતને અનુરૂપ બનાવતા સુધારા કરવા જોઈએ.

Log in or Register to save this content for later.