Chapter : નિકાહ
(Page : 379-380)
સવાલઃ– અ.હકે શાદી કરીને પોતાની પત્નીને તલાક આપી દીધી અને બીજી સ્ત્રીથી શાદી કર્યા પછી તેને પણ તલાક આપી દીધી.
આ પ્રમાણે બે સ્ત્રીઓને તલાક આપવાથી ગામની મોમિન પંચાયતી જમાઅતે એક કાગળ લખી દરેક ઘરે તેની કોપી પહોંચાડી કે કોઈ પણ વાલી પોતાની છોકરી કે બહેનના નિકાહ અ.હક સાથે ન કરાવે, કારણ કે અ.હકને તેની આદતની સજા આપવાની છે તો અ.હકને આપેલી સજા એક બદનામી છે, આવી સજા આપવી શરીઅતમાં જાઈઝ છે? અગર જાઈઝ છે તો અ. હક ગુનેહગાર છે અને સજા આખા ઘરને આપી છે, એનાથી આખુ ઘર બદનામ થયું છે, તો શરીઅતમાં આખા ઘર ને સજા આપવી જાઈઝ છે? અગર ફેંસલો કરવાવાળા આ રીતે ખોટો ફેસલો કરતાં હોય તો તેમને ખુરસી પર બેસવાનો હક ખરો ?
જવાબઃ– ઈસ્લામી શરીઅતમાં જયારે પતિ – પત્ની વચ્ચે સંબંધ બગડે તો તેને સુધારવાના અમુક પ્રાથમિક ઉપાયો બતાવવામાં આવ્યા છે, જો તે ઉપાયો કરતાં પણ લગ્ન જીવન સુમેળ ભર્યુ ન બને અને પરસ્પર એક બીજાના હકની અદાયગીમાં કોતાહી થવાનો ભય હોય તો આવી સૂરતમાં પુરૂષ માટે પોતાની ઓરતને તલાક આપવી વિના કરાહતે જાઈઝ છે, બલ્કે લગ્ન જીવન બાકી રાખવા છતાં ઝુલ્મ થવાનો ભય હોય તો તલાક આપવી અફઝલ છે અને વિના કારણે તલાક આપવાને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ નાપસંદ ફરમાવ્યું છે, જો કોઈ માણસ વિના કારણે પણ તલાકો આપે તો શરીઅતમાં તેના માટે કોઈ સજા નથી અને તેવા માણસ સાથે કોઈ વાલી પોતાની છોકરીના નિકાહ છોકરીની રાજી ખૂશીથી કરવા ચાહે તો એમાં કોઈ વાંધો અને કરાહત નથી અને કોઈ જમાઅત કે વ્યકિતને તેની સાથે નિકાહ કરવા કરાવવાથી રોકવાનો કોઈ અધિકાર પણ નથી. (શામી : ભા.ર)
અલબત્ત, જો કોઈ માણસની આદત વિના કારણે વારંવાર તલાક આપવાની અને નવા નિકાહ કરવાની હોય તો જમાઅતના અગ્રેસર સામાન્ય છોકરીઓના હિત ખાતર અને તેઓના વાલીઓની હિતેચ્છાના હેતુથી વાલીઓને મશ્વરારૂપે આ વાત કરી શકે છે કે તમો પોતાની છોકરીઓના નિકાહ આવા માણસ સાથે ન કરશો જેની વારંવાર વિના કારણે તલાક આપવાની આદત છે, તાકે તમારી છોકરીઓનું ભવિષ્ય અને લગ્ન જીવન ખરાબ અને દુઃખ દાયક ન બનવા પામે. બાકી આવી વાત માત્ર સલાહ અને મશ્વરા રૂપે જ કરી શકાય છે, લાઝમી કાયદારૂપે અને હુકમ રૂપે કહેવી દુરસ્ત નથી.
હઝરત હસન બિન અલી (રદિ.) વિશે સીરતની કિતાબોમાં લખ્યું છે કે તેઓ ઓરતોને જલ્દી જલ્દી અને વધુ પ્રમાણમાં તલાક આપતા હતા, અહિંયા સુધી કે તેઓએ ૯૦ ઓરતોથી નિકાહ પઢયા હતા, માટે હઝરત અલી (રદિ.)એ તેઓની આવી આદત જોઈને સમગ્ર કુફાવાસીઓને સંબોધીને ફરમાવ્યું કે હે કુફાવાસીઓ! તમો હઝરત હસનથી (પોતાની છોકરીઓના) નિકાહ ન કરશો; કારણ કે તે વધુ પ્રમાણમાં તલાક આપનાર પુરૂષ છે.
Log in or Register to save this content for later.