[૪૯૬] ફજરની નમાઝ વખતે રોશની

Chapter : નમાઝ

(Page : 503 to 505)

સવાલ :– આજકાલ મસ્જિદોમાં ફજરની નમાઝ વખતે લાઈટો બંધ કરી દેવામાં આવે છે અને તે પછી જ જમાઅત થાય છે તો શું આ તરીકો બરાબર છે ?

 જવાબ :– અગર ફજરની નમાઝ વખતે લાઈટો બંધ કરી દેવાથી જમાઅતખાનામાં હલકું અંધારું થઈ જાય તો તેનાથી નમાઝમાં કોઈ કરાહત પેદા નહિ થાય, અંધારામાં નમાઝ પઢવી મકરૂહ નથી.

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી અંધારામાં નમાઝ પઢવું સાબિત છે.

હઝરત આઈશહ (રદિ.) ફરમાવે છે કે હું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સામે (આપના નમાઝ પઢવાની હાલતમાં) એ પ્રમાણે સૂતી હતી કે મારા પગ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના કિબ્લા તરફ રહેતા હતા. જયારે આપ સજદહમાં જતા તો મને હાથ લગાડી ઈશારો ફરમાવતા અને હું મારા પગ (સજદહની જગ્યાએથી) ખેંચીને હટાવી લેતી અને જયારે આપ ઊભા થતા તો પાછી પગ ફેલાવી લેતી અને ફરમાવે છે કે તે સમયમાં ઘરોમાં દીવા–બત્તીઓ ન હતી.      (‘બુખારી શરીફ ૧/૭૩)

 અલ્લામહ ઐની (રહ.) લખે છે કે,

હઝરત આઈશહ (રદિ.) હદીસના છેલ્લા વાકયમાં આ પ્રમાણે સૂવા વિશે પોતાની મઅઝૂરીનું વર્ણન કરે છે અને તેઓના કહેવાનો ભાવાર્થ એ છે કે જો દીવો સળગતો હોત તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સજદહમાં જતી વખતે હું પોતે જ પોતાના પગ હટાવી લેતે અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને હાથ લગાડી ઈશારો કરવાની જરૂરત ન પડતે.                   (‘ઉમ્દતુલ કારી ર/ર૮૩)

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને હઝરાત ખુલફાએ રાશિદીન (રદિ.)ના સમયમાં ફજરની નમાઝ વખતે મસ્જિદમાં રોશનીની વ્યવસ્થા કરવામાં આવતી ન હતી, બલકે એટલા અંધારામાં નમાઝ પઢવામાં આવતી હતી કે નમાઝી પોતાની નજીકના માણસને નમાઝથી ફારિગ થતાં પહેલાં ઓળખી શકતો ન હતો.

(‘મુસ્લિમ શરીફ ૧/ર૩૦, ‘મિરકાત ર/૧૩૩)

                નબવી યુગના આખરી દિવસોમાં તથા ખુલફાએ રાશિદીન (રદિ.)ના સમયમાં તો મુસ્લિમોની સામૂહિક આર્થિક સ્થિતિ એટલી હદે નબળી પણ ન હતી કે મજબૂરીના કારણે ફજરની નમાઝ વખતે મસ્જિદમાં રોશનીની વ્યવસ્થા ન કરવામાં આવી હોય, એટલા જ માટે ફુકહાએ કિરામે ફિકહની કિતાબોમાં રાત્રે કયાં સુધી મસ્જિદમાં લાઈટ ચાલુ રાખવી એ વાતની ચર્ચા તો કરી છે; પરંતુ ફજરમાં રોશનીની વ્યવસ્થા વિશે કોઈ ચર્ચા ફરમાવી નથી.

                ઉપરની વિગતથી માલૂમ પડયું કે ફજરની નમાઝ વખતે જમાઅતખાનામાં લાઈટોથી રોશની કરવી મસનૂન કે મુસ્તહબ નથી અને ન અંધારામાં નમાઝ પઢવી મકરૂહ છે અને આજકાલ સામાન્ય રીતે જમાઅતખાનાથી નઝદીક વુઝૂખાનામાં અને જમાઅતખાનાથી બહાર વરંડામાં જે લાઈટો ચાલુ રાખવામાં આવે છે તે જાઈઝ છે અને લગભગ જરૂરત માટે પૂરતી હોય છે. અલબત્ત, જો શરદી અથવા વરસાદના કારણે જમાઅતખાનાના દરવાજા બંધ હોવાથી અથવા રમઝાન મુબારકમાં ફજરની નમાઝ વહેલી પઢાતી હોવાથી એટલું અંધારું હોય કે અંધારાના કારણે સફમાં કયાં જઈને ઊભા રહેવું તે નકકી કરવું પણ મુશ્કેલ થઈ જાય અને સફો સીધી કરવામાં તથા પૂરી કરવામાં પણ ખલલ પડે તો જરૂરતના પ્રમાણમાં જમાઅતખાનામાં પણ લાઈટો ચાલુ રાખવી જાઈઝ છે.          (‘ફતાવા મહમૂદિય્યહ ર/ર૦૮)

Log in or Register to save this content for later.