Chapter : નમાઝ
(Page : 498-499)
સવાલ :– હઝરત આપ ભરૂચ રેલ્વે સ્ટેશન પર આવેલ ”મસ્જિદે નૂર” થી વાકેફ છો, આ મસ્જિદમાં નીચે વુઝૂ ખાનુ અને ઉપર જમાઅત ખાનું છે આ મસ્જિદમાં નમાઝ લાઉડ સ્પીકર પર થાય છે અને લાઉડ સ્પીકર પર નમાઝ પઢાવવાના બે કારણો છે :
એક કારણ એ કે મસ્જિદની આજુ બાજુ આવેલ વસ્તી બજરંગ દળના ગેરમુસ્લિમોની છે જેઓ નમાઝના ટાઈમે જોરજોરથી ગાયનો વિગેરે વગાડી નમાઝમાં ખલલ પહોંચાડે છે, અને બીજું કારણ એ કે આ મસ્જિદમાં લગભગ સફર કરતા મુસ્લિમો નમાઝ પઢવા માટે આવ્યા કરે છે, જે જમાઅતના ટાઈમથી વાકેફ ન હોવાના કારણે ઉપરની મંઝિલમાં જમાઅત ઉભી હોવા છતાં નીચે એકલા એકલા નમાઝ પઢી લે છે, માઈક પર નમાઝ થતી હોય તો આવુ ન બને અને ગેરોના શોરથી ખલલ ઓછો થાય. એ હેતુથી નમાઝો લાઉડ સ્પીકર પર અદા કરવામાં આવે, તો આમાં શરઈ રીતે કોઈ વાંધો છે કે નહિ તે જણાવવા વિનંતી.
જવાબ :– લાઉડ સ્પીકર એક એવું સાધન છે કે અહદે નબવી (સ.અ.વ.)માં ન હતું. નમાઝમાં તેના ઉપયોગની ખરાબીઓ હઝરાતે અકાબિર મુફતિયાને કિરામ (રહ.) એ વિગતથી બયાન ફરમાવી છે, માટે બને ત્યાં સુધી નમાઝમાં સ્પીકરનો ઉપયોગ ન કરવામાં આવે અને વગર જરૂરતે ઉપયોગ કરાહતથી ખાલી નથી, સ્પીકરની મોટામાં મોટી ખરાબી નમાઝમાં ખુશૂઅ ખુઝૂઅની ખરાબી છે. આપે લખેલા બે કારણોમાંથી પહેલાં કારણ મુજબ કારણ કે પાડોશના લોકોના શોરથી નમાઝીઓને ઈમામની અવાઝ પહોંચવામાં અગવડ પડતી હોય તો તેવી હાલતમાં સ્પીકર એટલા અવાજમાં વાપરવામાં આવે કે નમાઝીઓને તકબીર વિગેરેની અવાઝ પહોંચી જાય. બીજું કારણ એ સ્પીકર વાપરવા માટે શરીઅત માન્ય નથી, કારણ કે ઈમામને એટલા ઝોરથી તકબીર કહેવાનો હુકમ છે કે નમાઝમાં શામેલ લોકો સાંભળી શકે અને અવાઝ બહાર ન જાય. વધુ વિગત માટે ”ફતાવા રહીમિય્યહના ભાગ–૧” અને ”આલાતે જદીદહ”નો અભ્યાસ કરવામાં આવે અને મોટા અક્ષરોથી મસ્જિદના નીચેના ભાગમાં નમાઝોનું ટાઈમ ટેબલ મૂકી જાણ કરી શકાય છે.
Log in or Register to save this content for later.