[૪૭૬] કાબા અને મસ્જિદે નબવીના ફોટા વાળા મુસલ્લા

Chapter : નમાઝ

(Page : 487 to 491)

સવાલ :– હજમાંથી પાછા ફરેલ અમુક હાજી તરફથી ગામની દરેક મસ્જિદમાં સવાબ અર્થે મુસલ્લા આપવામાં આવ્યા છે, જે મુસલ્લા ઉપર કાબા શરીફ અને મસ્જિદે નબવી ખોટી બાજુએ દર્શાવવામાં આવેલ છે એટલે કે કાબા શરીફ જમણી બાજુના બદલે ડાબી બાજુ અને મસ્જિદ નબવી ડાબી બાજુના બદલે જમણી બાજુ બતાવેલ છે આ હકીકત ઈસ્લામના તરીકાની તોહીન કરે છે કે કેમ ? અને જો તૌહીન કરતો હોય તો આવા મુસલ્લા ઉપર ઈમામ નમાઝ પઢાવે તો ઈમામે ઈસ્લામના તરીકાની તોહીન કરેલી ગણાશે કે કેમ ? ફતવાનો જવાબ જણાવશો .

                ઈમામ સાહેબના ધ્યાન ઉપર લાવ્યા છતાં ઈમામ એ જ મુસલ્લા ઉપર નમાઝ પઢવાની ઝીદ રાખે તો ઈમામે કેવો ગુનાહ કરેલો સમજવો.

જવાબઃ– સવાલનો જવાબ આપતા પહેલાં બે વાતો રજુ કરું છું જેથી કરી જવાબ સમજવામાં મદદ મળે.

(૧) જમણી બાજુને ડાબી બાજુ પર ફઝીલત છે કેમકે આપ (સ.અ.વ.)ની આદતે મુબારક સારી વસ્તુમાં જમણી બાજુથી શરૂ કરવાની હતી.

(ર) આ વાત ઉપર ઉમ્મતનો ઈજમાઅ છે કે તમામ શહેરોથી અફઝલ મકકા મુકર્રમહ અને મદીના મુનવર્રહ છે, પરંતુ બન્નેવમાં કોણ અફઝલ છે આ બાબતે ઉલમામાં મતભેદ છે, અમુક ઉલમાના નઝદીક મકકા મુકર્રમહ અફઝલ છે, જયારે કેટલાકના નઝદીક મદીના મકકા મુકર્રમાથી અફઝલ છે, મજકૂર મતભેદ તો આપ (સ.અ.વ.)ની કબરે મુબારક છોડીને બાકી શહેર વિશે છે, રહી વાત આપ (સ.અ.વ.)ની કબરે મુબારકની ફઝીલત, તો પુરી ઉમ્મતનો ઈજમાઅ (ઈત્તિફાક) છે કે જમીનનો જે ભાગ આપ (સ.અ.વ.)ના મુબારક બદન સાથે લાગેલો છે એ પુરી રૂએ જમીનથી અફઝલ છે. અમુક ઉલમાના નઝદીક તો કાબા અને અર્શે મુઅલ્લાથી પણ અફઝલ છે. કાઝી ઈયાઝ (રહ.) વિગેરેએ એ વાત પર ઈજમાઅ નકલ કર્યો છે કે જમીનનો જે ભાગ આપ (સ.અ.વ.)ના મુબારક બદનથી લાગેલો છે એ પુરી રૂએ જમીન એટલે સુધી કે કાબા શરીફથી પણ અફઝલ છે.

                ઉપરોકત લખેલ બન્ને વાતો થી આ વાતો બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કે મુસલ્લાની જમણી બાજુમાં ગુંબદે ખજીરા (જે આપ સ.અ.વ.ની કબરે મુબારક પર છે.) હોવાથી ઈસ્લામ કે કાબા શરીફની તવહીન થતી નથી કેમકે આપ (સ.અ.વ.) ની કબરે મુબારક તો કાબા શરીફથી અફઝલ છે તો એનું જમણી બાજુમાં હોવાથી કાબા શરીફ કે ઈસ્લામની તવહીનનો સવાલ જ પેદા નથી થતો.

હઝરત અકદસ મૂફતી મહમૂદ હસન સાહેબ (રહ.) લખે છે કે

જો ધ્યાન પૂર્વક જોવામાં આવે તો ખરેખર એના ઉપર કાબા શરીફનો ફોટો હોતો નથી, ફકત એક કારીગરી હોય છે અને આ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે કાબા શરીફ વિગેરેના ફોટાઓને અસલ કાબા શરીફનો હુકમ આપવો પણ દુરૂસ્ત નથી, માટે મજકૂર સૂરતમાં ફોટાઓની સાઈડ બદલવાથી ઈસ્લામની તવહીન થતી નથી.

                બીજો સવાલ આવા તસ્વીર વાળા મુસલ્લા પર નમાઝ પઢવા વિશે છે તો એ ઘણી કિતાબોમાં મજકૂર છે જેનો ખુલાસો એ છે કે બેહતર એ જ છે કે તસ્વીર વાળા મુસલ્લાના બદલે બીજા સાદા મુસલ્લા પર કે જેમાં તસ્વીરો તથા ફૂલો તેમજ નકશો નિગાર ન હોય, તેના ઉપર નમાઝ પઢવું અને પઢાવવું જોઈએ કેમકે આવા મુસલ્લાઓ ઘણા લોકો માટે નમાઝના ખુશૂઅ અને ખુઝૂઅ (ધ્યાન)માં ખલલ પૈદા કરે છે જેનાથી નમાઝની રૂહ ખતમ થઈ જાય છે.

જવાબ :– જો મજકૂર મુસલ્લાઓ પર કા’બા મુઅઝ્‌ઝમહનું નમાઝીની ડાબી બાજુ હોવુ અને મસ્જિદે નબવીનું જમણી બાજુ હોવું એટલે ગલત માનવામાં આવે કે મસ્જિદે હરામ મસ્જિદે નબવીથી અફઝલ છે અને જમણી બાજુ પણ ડાબી બાજુ કરતાં અફઝલ છે. અને અફઝલ વસ્તુના ફોટાને અફઝલ બાજુ બનાવવો જોઈએ, માટે આથી ઉલટી તરતીબવાળા મુસલ્લાની તરતીબ ગલત છે અને ગલત તરતીબના કારણે તેમાં મસ્જિદે હરામની બેઅદબી થયેલી ગણાશે, તો આ બાબત એ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે ચાહે મસ્જિદની દ્રષ્ટિએ, અને ફર્ઝ નમાઝના સવાબની દ્રષ્ટિએ મસ્જિદે હરામ, મસ્જિદે નબવીથી અફઝલ છે. (શામી –૧ / ૪૪૩) પરંતુ હઝરત રસૂલે પાક (સ.અ.વ.)ની કબ્રે મુબારકની દ્રષ્ટિએ મસ્જિદે નબવી બીજી બધી જ જગ્યાઓ કરતાં અફઝલ છે. કારણ કે હાલની મસ્જિદે નબવીના ઈહાતામાં કબરે નબવી મવજૂદ છે અને આ દ્રષ્ટિએ મસ્જિદે નબવીનું અફઝલ બાજુ એટલે જમણી બાજુ હોવું બરાબર સાબિત થાય છે, વળી ચાહે મસ્જિદે હરામ નમાઝના સવાબની દ્રષ્ટિએ મસ્જિદે નબવી કરતાં અફઝલ છે, પરંતુ એ વાત પણ જાહેર છે કે દુનિયા ભરની મસ્જિદોમાં આ બન્ને મસ્જિદો અને મસ્જિદે અકસા વિશેષ ફઝીલત અને દરજજો ધરાવે છે, અને જયારે વિશેષ ફઝીલત, અઝમત અને દરજજો ધરાવતી અનેક વસ્તુઓ હોય અને લાઈનમાં તેના ફોટાઓ બનાવવા હોય તો જાહેર છે કે કોઈ જમણી બાજુ રહેશે તો કોઈ ડાબી બાજુ રહેશે. બધી જ ફઝીલત વાળી ચીઝોના ફોટા સ્થાન સંકોચના કારણે જમણી બાજુ બનાવવા મુશ્કેલ છે. માટે આવી મજબુરીમાં આ તરતીબને ગલત અથવા બે અદબી વાળી નહી કહેવામાં આવે અને મસ્જિદે નબવીનો ફોટો ડાબી બાજુ બનાવવામાં આવે તો પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે મસ્જિદે નબવી દુન્યાની ગણતરીની ફઝીલત વાળી મસ્જિદોમાંથી હોવા છતાં તેનો ફોટો ડાબી બાજુ કેમ બનાવાયો ?

                વળી, હરમૈન શરીફની પૂર્વમાં જેમકે ઈન્ડિયામાં વસતા મુસ્લિમો પૂર્વ દિશામાં છે અને હરમૈન તેઓની સામે એ રીતે છે કે જમણી (ઉત્તર) તરફ મદીના મુનવ્વરા છે અને ડાબી તરફ (દક્ષિણે) મકકા મુકર્રમહ છે એટલે જ મદીના વાસીઓનો કિબલો દક્ષિણ દિશામાં છે અને આ રીતે હરમૈનથી પૂર્વ વાસીઓ માટે મજકૂર મુસલ્લાઓના ફોટાઓની આ દિશાઓ વાસ્તવિક દિશા પરિસ્થિતીને અનુરૂપ છે. જો હરમે મકકહનો ફોટો જમણી અથવા ઉત્તર તરફ અને હરમે નબવીનો ફોટો ડાબી (દક્ષિણ) તરફ હોય તો પૂર્વ વાસીઓ માટે ફોટાઓની આ તરતીબ વાસ્તવિક દિશાના વિરૂધ્ધ કહેવાતે. અને વાસ્તવિકતાના ખિલાફ હોવાથી પણ બે અદબીનો પ્રશ્ન ઉપસ્થિત થતે.

                વળી, આ હકીકત પણ ધ્યાનમાં રહેવી જોઈએ કે ફોટાનો હુકમ અસલ વસ્તુ જેવો નથી. અસલ વસ્તુ અને તેના ફોટામાં સામાન્ય રીતે હુકમોમાં  ફરક અને તફાવત હોય છે જેમકે કોઈ કઅ્‌બહથી બીજી દિશામાં કઅ્‌બહનો ફોટો મુકી તેની સામે નમાઝ પઢે તો નમાઝ દરૂસ્ત નહિં થાય અને સામાન્ય રીતે મુસલ્લાઓ ઉપરના છાપકામ અથવા ભરતકામવાળા હરમૈનના ફોટાઓ કેમેરાના ફોટાઓની જેમ હુબહૂ મસ્જિદે હરામ અને મસ્જિદે નબવી મુજબ હોતા નથી. બલકે અસલી હરમૈનથી થોડા તફાવત વાળા અને બનાવટી પ્રકારના હોય છે અને કંઈક તફાવત વાળા અને બનાવટી ફોટાઓ દ્રારા હરમૈનનું વાસ્તવિક વર્ણન ન હોવાથી કોઈ તેને અસલી હરમૈનની બેઅદબી સમજતું નથી તેમ ફોટાની અન્ય બાબતોને જેમ કે તેના જમણી – ડાબી બાજુ હોવાને પણ અસલી હરમૈનની બે અદબી ન સમજવી જોઈએ.

                અને મજકૂર ફોટાઓના સંબંધથી આ મસ્અલો પણ નઝર સમક્ષ રહેવો જોઈએ કે મુસલ્લા ઉપર હરમૈનના ફોટા બનાવવાની અને નમાઝ માટે એવા મુસલ્લા ઉપયોગ કરવાની કોઈ ફઝીલત નથી બલ્કે નમાઝીની સામે કોઈ નકશીકામ ન હોવું જોઈએ તા કે તેના ધ્યાનમાં ખલલ ન પડે અને આ દ્રષ્ટિએ બેહતર એ છે કે મુસલ્લો એવો હોય જેમાં તસ્વીર અને નકશીકામ ન હોય બલકે પ્લેન અને સાદો હોય. (શામી – ૧ / ૪૪ર)

Log in or Register to save this content for later.