[૪૬૬] વ્યાજ યુકત લોનથી બનેલી મસ્જિદ અને મકાનમાં નમાઝ

Chapter : નમાઝ

(Page : 480-481)

સવાલ :– (૧)અહિં બ્રિટનમાં મોટા ભાગના મકાનો બેંક તથા બિલ્ડીંગ સોસાયટીના મોર્ગેજ પર (વ્યાજના પૈસાથી) ખરીદેલા હોય છે, તો એવા મકાનોમાં ફર્ઝ તથા નફલ નમાઝ પઢવાથી અદા થશે કે નહિ?

                (ર)  અહિં બ્રિટનમાં અમૂક મસ્જિદો બાંધતી વખતે નાણાના અભાવે બેંક પાસેથી વ્યાજે નાણા લઈ કામો પૂરા કરે છે, તો એવી વ્યાજ ભરતી મસ્જિદોમાં નમાઝીઓની નમાઝમાં કરાહત આવશે કે નહિ?

                (૩) બ્રિટનમાં લોકો બેંકમાંથી વ્યાજે પૈસા લઈ ધંધો કરે છે તેમજ બેંકમાંથી વ્યાજે પૈસા લઈ મકાનો ખરીદી ભાડે આપે છે અને એનું ભાડુ ખાય છે તો આ બાબત શરીઅતનો શું હુકમ છે ?

જવાબ :– પ્રથમ એક બુનિયાદી હકીકત સમજી લેવી જોઈએ કે વ્યાજવાળુ કર્ઝ લઈને પરત કરતા સુધીમાં ત્રણ વાતોનું અલગ અલગ અસ્તિત્વ થાય છે, પહેલી વાત એ કે કર્ઝ આપનાર સંસ્થા અથવા વ્યકિત સાથે વ્યાજવાળા કર્ઝની લેવડ દેવડનો કોલ – કરાર થાય છે આ કોલ કરાર નાજાઇઝ અને હરામ છે. બીજી વાત એ કે આવું કર્ઝ આપનાર કર્ઝ લેનારને કર્ઝની રકમ આપે છે અને કર્ઝ લેનાર વસુલ કરે છે. ત્રીજી વાત એ કે કર્ઝ લેનાર કર્ઝ આપનારને કર્ઝની રકમ પરત ચૂકવે છે અને તેની સાથે વ્યાજની રકમ પણ ચૂકવે છે. આ ત્રણ વાતોમાં પહેલી વાત નાજાઈઝ અને હરામ છે. બીજી વાત વ્યાજ વાળા કર્ઝની રકમ લેવી પણ નાજાઈઝ છે, પરંતુ એ રકમ કર્ઝની છે, એમાં કોઈ ખરાબી નથી. તે રકમ જાઈઝ અને હલાલ પ્રકારની છે, માટે તેનાથી જે રહેવાનું મકાન અથવા મસ્જિદ બનાવવામાં આવે અથવા ભાડાનું મકાન કે દુકાન બનાવવામાં આવે તે મકાન મસ્જિદ કે દુકાનમાં કોઈ ખબાષત અને ખરાબી નહિં ગણાય, કારણ કે કર્ઝ પેટે મળેલી જાઈઝ અને હલાલ રકમથી બનાવવામાં આવ્યું છે, માટે તે મકાન અને મસ્જિદમાં નમાઝ પઢવામાં કરાહત નહિં આવે. એવી જ રીતે તેવી રકમથી ભાડાનું મકાન અથવા દુકાન બનાવી ભાડુ લેવામાં આવે તો તે ભાડુ પણ જાઈઝ અને હલાલ છે.(ઈમ.ફતાવા ભાગ –૩ , ફ.મહમૂદિય્યહ ભાગ–૪)

Log in or Register to save this content for later.