Chapter : નિકાહ
(Page : 365-366-367-368)
સવાલ :– મારી શાદી મે–ર૦૦૩માં થયેલ હતી, શાદી બાદ મારી પત્ની લગભગ બીમાર જ રહેતી હતી, દવા – ઈલાજ પણ ચાલુ જ હતા, પણ તેની બીમારીના કારણે તે મોટે ભાગે તેના માવતરે પણ રેહતી હતી અને માવતર પણ દવા–ઈલાજ કરતાં હતાં, દરમિયાન અત્યારે અમારે કોઈ અવલાદ નથી અને છેલ્લે તે તેના માવતરે જ હતી અને તા. ર૮/૧૦/૦૬ ના રોજ તેનો ઈન્તેકાલ થઈ ગયેલ, ”ઈન્ના લિલ્લાહિ વ ઈન્ના ઈલય્હિ રાજિઊન” જે આપની જાણ ખાતર.
તો હવે નીચે મુજબના સવાલોના જવાબ આપવા મહેરબાની કરશો
(૧) પત્ની તેના મા – બાપ તરફથી લાવેલ સોનું – દાગીના અને અન્ય ચીજ – વસ્તુઓની માલિકી કોની ગણાય?
(ર) અમારા (પતિ) તરફથી તેણીને શાદી સમયે અપાયેલ કપડાં – લત્તા, સોનાના દાગીના વગેરેની હવે કોની માલિકી ગણાય? કારણ કે સોનાના બધા જ દાગીના (તેના માવતર તરફથી તેને આપેલ તે અને અમોએ શાદી સમયે કરેલ અને તેને આપેલ ઉપરાંત મારી વાલિદાની સોનાની પોંચી કે જે તેને માત્ર પહેરવા આપેલ હતી, તે બધા જ તેણીની પાસે તેણીના માવતરે જ છે, હાલમાં પણ ત્યાંજ છે.
(૩) પ્રશ્ન (ર) માં છેલ્લે જણાવ્યા મુજબ મારી વાલિદાની સોનાની પોંચી કે જે તેણીને(મારી પત્નીને) મારી વાલિદાએ કોઈના લગ્ન પ્રસંગે માત્ર પહેરવા આપેલ તે પણ તેણીની પાસે તેણીના માવતરે છે, તેની માલિકી કોની ગણાય?
ખાસ નોંધ : ઉપરોકત તમામ સોના – દાગીનાની ઝકાત દર વર્ષે મેં (પતિએ) કાઢેલ છે. અલ્લાહ કબૂલ કરે.
(૪) તેના (પત્નીના) માવતર તરફથી શાદીમાં લાવેલ ચીજ– વસ્તુઓ ફર્નીચર વગેરે મારા (પતિના) ઘરે જ છે, હવે તેની માલિકી કોની ગણાય?
ઉપરના સવાલોના જવાબ આપવાથી જે તે વસ્તુઓને સહી વ્યવસ્થા થાય અને અમે ગુનેહગાર ન થઈએ એ જ, અલ્લાહ તઆલાથી દુવા છે, આમીન. જઝાકુમુલ્લાહ …
જવાબઃ –(૧) મા–બાપ તરફથી શાદી વખતે પોતાની દીકરીને (જે સોનું ચાંદી અને અન્ય ચીઝ વસ્તુઓ આપવામાં આવે છે તે સામાન્ય રીતે છોકરીને માલિકી ધોરણે આપવામાં આવે છે, માટે તે દીકરીની માલિકીની ગણાશે. અલબત્ત જે ચીજ વસ્તુઓ વાપરવા માટેની ચોખવટ કરી આપવામાં આવી હોય તે માં – બાપની માલિકીની જ ગણાશે, મરહૂમા દીકરીની માલિકીની વસ્તુઓમાંથી અડધો ભાગ (એટલે ૩/૬) પતિને મળશે અને ર/૬ બાપને અને ૧/૬ માને મળશે.
(શામીઃર, સિરાજી)
(ર)પત્નીને પતિ તરફથી મળેલ કપડાં લત્તા, પત્નીની માલિકીના ગણાશે અને પત્નીનું મૃત્યુ થવાથી ઉપર મુજબ છ ભાગે વહેંચાશે, ૩ પતિને, ર બાપને, ૧ માંને.
સોનાના જે દાગીના મર્હૂમાને મહર પેટે અથવા બક્ષિશ પેટે આપ્યા હોય તે મર્હૂમાની માલિકી ગણાશે અને ઉપર મુજબ વહેંચાશે અને જે દાગીના પતિ તરફથી માત્ર પહેરવા માટે આપ્યા હતા તે પતિની માલિકીના ગણાશે અને તેમાં મર્હૂમાના મા –બાપનો કોઈ હક નહિ લાગે. (શામી ભા.ર)
(૩) મજકૂર પોંચી તમારી વાલિદાની જ માલિકીની ગણાશે, મર્હૂમાની નહિ ગણાય.
(૪) પત્નીના માવતર તરફથી લાવેલ વસ્તુઓ મર્હૂમાની માલિકીની ગણાશે અને તે ઉપર મુજબ ૬ ભાગોમાં વહેંચાશે. (શામી– ભા.ર / સિરાજી)
Log in or Register to save this content for later.