[૩૦૮] ઘરની વ્યવસ્થા ઓરતને સોંપવી

Chapter : નિકાહ

(Page : 359-360-361)

સવાલઃ– આજકાલ માલની મુહબ્બતે માઝા મૂકી છે. કેટલાક ઘરો તો એવા છે જેમાં બધા જ પુરુષો વિદેશ કમાવવા ચાલ્યા જાય છે અને પોતાનો કારોબાર ઓરતોના હાથમાં સુપરદ કરી દે છે અને સલાહ મશ્વેરા પણ ઓરતના કહયા મુજબ જ થાય છે, જયારે કુર્આન – હદીસની રોશનીમાં મર્દને ઓરત કરતાં ઉપર રાખવામાં આવ્યો છે અને ગવાહોના મુકાબલામાં પણ એક મર્દ અને ઓરત હોય તો બે એમ દર્શાવેલ છે, તો હવે ઓરતની રાયથી ખૈરના મામલાની આશા રાખી શકાય ખરી? હદીસમાં ઓરતોની રાયથી કામ કરવા બાબત કોઈ હુકમ છે ? યા કોઈ વઈદ બાબતનો ખુલાસો મળશે ખરો ?

જવાબઃ– ઘરેલું કારોબાર અને વ્યવસ્થામાં અલ્લાહ તઆલાએ પુરુષને ઉપરી અને વ્યવસ્થાપક હોવાનું સ્થાન આપ્યું છે, કારણ કે ઓરતો કરતાં પુરુષની સમજ શકિત અને કાર્ય શકિત વધુ અને મજબૂત હોય છે અને ઓરતોને પુરુષના હાથ નીચે અને તાબેદાર રહેવાનું સ્થાન આપ્યું છે, કુર્આન શરીફમાં છે કે પુરુષો ઓરતો ઉપર હાકિમ અને જવાબદાર વ્યવસ્થાપક છે.         (આ.નં. ૩૪, સૂરએ નિસાઅ)

                માટે પોતાના ઘરેલું કારોબારમાં બધો વહીવટ ઓરતને સુપરદ કરી દેવો ઈસ્લામી શરીઅતની તાલીમ વિરૂધ્ધ છે. હઝરત (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે તે કૌમ કામ્યાબ અને સફળ નહીં થાય, જેની હાકિમ અને વહીવટદાર ઓરત હોય.

                એ જ પ્રમાણે પુરુષ માટે ઓરતના કહયાગરા થઈને રહેવું અને દરેક વાત–વાતમાં ઓરતથી સલાહ મશ્વેરો કરવો અને તેના મશ્વેરા મુજબ જ કામ કરવું એ બધુ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની તાલીમના વિરૂધ્ધ છે અને નુકસાનથી ખાલી નથી.

                હઝરત હસન બસરી (રહ.) કહે છે કે ખુદાની કસમ જે માણસ ઓરતની ઈચ્છા અને મરજીનો તાબેદાર બનશે અલ્લાહ તઆલા તેને જહન્‍નમમાં નાંખશે. હઝરત ઉમર (રદિ.) ફરમાવે છે કે ઓરતોની વાતોનો વિરોધ કરો, તેઓનો વિરોધ કરવામાં બરકત છે અને મનકૂલ છે કે ઓરતોથી સલાહ મશ્વરો કરો અને તેઓનો વિરોધ કરો.

                હઝ. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે ”તઈસ અબ્દુઝ્‌ઝવ્જહ” કે પોતાની પત્નીનો તાબેદાર ગુલામ હલાક–બરબાદ છે.

                ઈમામ ગિઝાલી (રહ.) આ ફરમાનના વિવરણમાં લખે છે કે જયારે તે માણસ ઓરતની મરજીનો તાબેદાર બન્યો છે તો જાણે કે તે ઓરતનો ગુલામ છે અને બરબાદ થવા બેઠો છે, કારણ કે અલ્લાહ તઆલાએ તો તેને ઓરતનો સરદાર અને માલિક બનાવ્યો હતો અને તેણે પોતાની જાતની માલિક ઓરતને બનાવી દઈને મામલો ઉલ્ટો કરી નાખ્યો.                                                                                                                                                                                              (ઈહયાઉલ ઉલૂમ–ર/૪૪)

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પોતાની બીમારીમાં હઝરત અબૂ બક્ર (રદિ.)ને નમાઝના ઈમામ બનાવવાનો હુકમ આપ્યો તો હઝરત આઈશા (રદિ.) અને અમુક બીજી અઝવાજે મુતહ્‌હરાતે મળી એવી સલાહ આપી કે તેઓ નરમ દિલ છે, આપની જગ્યા નહિ સંભાળી શકે, માટે બીજા કોઈને ઈમામનો હુકમ આપો તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તેઓની સલાહ ન માની અને ઉમ્મતે મુહમ્મદિય્યહની તે સર્વશ્રેષ્ઠ ઓરતોના વિશે ફરમાવ્યું કે ”ઈન્‍નકુન્‍ન સવાહિબાતુ યૂસુફ”              (મઆરિફુલ કુર્આન –ર/૩૯૩)

Log in or Register to save this content for later.