[ર૮૦] પતિ–પત્ની વચ્ચે સુલહ–સફાઈ

Chapter : નિકાહ

(Page : 323-324-325)

સવાલ :– છોકરી પર સુસરાલમાં પતિ, સાસુ વિગેરે તરફથી ઝુલમ થતો હોય, પતિ પણ સમાજની બીકે જ પત્ની રાખતો હોય અને તેથી તમામ રીતે તેના પર ઝુલમ કરતો હોય તેવા કિસ્સામાં કમિટીને અરજી કર્યે કમિટી તલાક અપાવી શકે કે કેમ ?

                છોકરીને સાધારણ તકલીફ સુસરાલમાં હોય, પણ ખાસ કારણ પતિની ટુંકી આવક અને પત્નીને જોઈતા જરૂરી ખર્ચ, સુખ વિ. આપી ન શકતો હોય તેવા કિસ્સામાં છોકરીનું મન ન લાગે અને તલાક લેવા ઈચ્છે અને તલાક ન મળે, તો અંતિમ પગલુ ભરવાનું જણાવે તો તેવા કિસ્સામાં કમિટી તલાક અપાવી શકે કે કેમ ?  છોકરીને તેના બાપને ત્યાં કાઢી મુકી હોય અથવા છોકરી વ્યાજબી કારણોસર જતી રહી હોય અને વર્ષો સુધી બાપને ત્યાં જ બેઠી હોય, પતિ બોલાવતો ન હોય અને છોકરી આપ મેળે જ આવે તેમ ઈચ્છતો હોય, છોકરીની જવાની મરજી જ ન હોય અને તલાક માંગે તો તલાક અપાવી શકાય કે કેમ ?

                પતિ – પત્ની વચ્ચે નજીવા ઝઘડા ખાતર પત્ની તેના બાપને ત્યાં વર્ષો સુધી બેઠી હોય, સોળ, સત્તર વર્ષની જુવાન છોકરી હોય કોઈ સંતાન પેદા થયેલું ન હોય, પતિ બોલવતો ન હોય અને પત્ની જવા રાજી ન હોય, આવા કેસમાં છોકરીના માં – બાપ જુવાન છોકરીને કયાં સુધી સાચવવી એમ સમજી કમિટીને અરજ કરે તો શું કરવું ? પતિ વગર દોરીએ બાંધી રાખવાની ચાલ રમતો હોય, તેવા કિસ્સામાં કમિટી શું કરી શકે ? વિગતવાર જણાવ્વા મહેરબાની કરશો.

                                જવાબ : – પ્રથમ સૂરતમાં ઈસ્લામ કમિટીએ શોહર બીવીના રિશ્તેદારોથી મળી બંનેવમાં સુલહ સફાઈની કોશિશ કરાવવી જોઈએ, જો સુલહ સફાઈની કોશિશ સફળ ન થાય અને કષુર શોહરનો જણાય તો કમિટી તેને તલાક આપી દેવા સલાહ આપી શકે છે. ફરજ પાડી શકતી નથી.                  (દુ. મુખ્તાર શામી : પપ૮ – પ૬૦ ભા.ર)

                હા, શોહર જો પત્ની તરીકેના બધા હકકો પુરા કરી શકતો નથી અને કરતો નથી તો તેના પર જરૂરી છે કે તલાક આપી દે. અને ફકત ઓરતને તંગ કરવા પોતાના નિકાહમાં ન રોકી રાખેે. યા તો તેની સાથે સદવર્તન કરે નહીં તો તેને શરીઅતના કાયદા મુજબ તલાક આપી દે.

                (સૂરએ બકરહ : ર૩૧, દુર્ર, શામી : ૪૧૬ – ભાગ – ર)

                (ર) આ સૂરતમાં જો શોહર શરીઅત મુજબ ઓરતનું ભરણ પોષણ કરે છે, પરંતુ ઓરતની ઈચ્છા મુજબની સગવડો પૂરી કરતો નથી તો એમાં શોહરનો કોઈ કષુર નહીં ગણાય, તે છતાં જો ઓરત તેના નિકાહમાં રહેવા ન ચાહતી હોય અને બંનેવ પતિ – પત્નીમાં સુલહ–સફાઈની આશા ન હોય તો ઓરતને પોતાના પતિથી ખુલઅ કરવાની સલાહ આપવામાં આવે અને પતિને ખુલઅ કરી લેવા સમજાવવામાં આવે તો કોઈ વાંધો નથી.       (દુ. શામી : પપ૮ ભા. ર)

                (૩) જો શોહર પોતાના નિકાહમાં રાખી પોતાની ઓરત તરીકેના બધા હકકો આપવા રાજી હોય તો ચાહે શોહર બોલાવવા માટે ન આવે, ઓરત માટે જરૂરી છે કે પતિની ઈચ્છા મુજબ પોતે પતિના ઘરે ચાલી જાય અને આ સૂરતમાં જો ઓરત જ જવા ન ઈચ્છતી હોય અને પતિના નિકાહમાંથી અલગ થવા માંગે તો તેણે ખુલઅ કરી લેવા કહેવામાં આવે. અને પતિને પણ એ વિશે સમજાવવામાં આવે તો વાંધો નથી.                  (દુ. શામી : પપ૮ ભા. ર)

                અને જો પતિ ઓરત તરીકેના હકકો અદા ન કરતો હોય અને સુલહ સફાઈની કોઈ આશા ન હોય, તો પતિને તલાક દઈ દેવાની સલાહ આપવામાં આવે તો વાંધો નથી.     (દુ.શામીઃ ર/પ૬૧, ર/૪૧૬)

                (૪) જો પતિ પોતાની ઓરત તરીકેના બધા હકકો આપવા રાજી હોય તો પત્નીને ત્યાં જવા સમજાવવામાં આવે, જો ઓરત પતિનો કોઈ કસૂર ન હોવા છતાં જવા ન ચાહતી હોય તો ખુલઅ કરી લેવા કહેવામાં આવે. અને જો પતિ ઓરત તરીકેના બધા હકકો આપતો ન હોય અથવા શકિતમાન હોવા છતાં ભરણ પોષણ ખર્ચ ન આપતો હોય અને બોલાવતો પણ ન હોય અને તલાક પણ ન આપતો હોય તો પણ કમિટી ઓરતને ખુલઅ કરી લેવા સલાહ આપે. જો શોહર ન બોલાવે અને ભરણ પોષણ ખર્ચ પણ ન કરે અને ” ખુલઅ” પણ ન કરે તો ઓરત શરઈ પંચાયત માં અરજી કરે. અને ”શરઈ પંચાયત” તથા અરજી કરવા વિગેરેની વિગત સંબંધિત કિતાબોનો અભ્યાસ કરી કે આલિમોથી પુછી જાણવામાં આવે.               (અલ હીલહ : ૮૧)

Log in or Register to save this content for later.