Chapter : નિકાહ
(Page : 316-317)
સવાલઃ– નિકાહ પછી વલીમો કરવામાં આવે છે અને વલીમામાં ટેબલ મુકવામાં આવે છે, તો આ રીતે ટેબલ મુકવું જાઈઝ છે? અને અમુક માણસો આમ કરે છે કે છોકરાના વાલિદના હાથમાં, વાલિદહના હાથમાં પરબિડિયું આપે છે તો આ રીતે પૈસા લેવા દુરસ્ત છે? અને અમુક માણસો ઘરમાં નોટ લઈને બેસે છે તો જે માણસોને ખબર હોય છે તે ત્યાં જઈને પૈસા આપી આવે છે, તો શું આ તરીકો અપનાવવો જાઈઝ છે? જલ્દી જવાબ આપવા વિનંતી કરું છું, અલ્લાહ આપને સિહત અને આફિયતથી નવાજે. (આમીન)
જવાબ :– વલીમહની દઅવત કોઈ વળતર અને રોકડ લીધા વગર માત્ર શાદીની ખૂશીમાં ખવડાવવી એ સુન્નત છે.
દઅવત ખવડાવીને ટેબલ મૂકી વહેવાર લેવો એ દુરસ્ત નથી અને એ રીતે વહેવાર લઈ ખવડાવેલી દઅવત વલીમો નહીં ગણાય, બલ્કે હોટલના ખાણાની જેમ કિમત વસૂલ કરીને ખવડાવેલું ગણાશે.
વળી, તેને હદિયો ગણવામાં આવે તો આવો હદિયો જે સામાજિક રિવાજ અને દિલની ખુશી વગર માત્ર સામાજિક દબાણ અને શરમના કારણે આપવામાં આવે એ હલાલ નથી.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે સાંભળો તમે ઝુલમ ન કરો, સાંભળો કોઈ માણસનો માલ તેની દિલી રાજી ખુશી વગર લેવો હલાલ નથી. (મિશ્કાત શરીફ)
અને વાલિદ કે વાલિદહને રિવાજી પરબિડીયું આપવાનો કે નોટબુકમાં રિવાજી વહેવાર લખાવવાનો પણ આ જ હુકમ છે.
વળી, આવા વહેવાર સામાજિક દ્રષ્ટિએ એક પ્રકારનું કર્ઝ ગણવામાં આવે છે અને સામાજિક દબાણથી હોય છે અને તેમાં પરસ્પર વધ ઘટ પણ કરવામાં આવે છે.
જેમાં વ્યાજની શંકા છે, માટે એ દ્રષ્ટિએ પણ આવા શાદી પ્રસંગના લેવડ–દેવડના રિવાજો નાજાઈઝ છે, ગરીબ માણસો સામાજિક દબાણ અને રિવાજના કારણે બીજા પાસેથી કર્ઝ લઈને પણ આવી લેવડ દેવડ કરે છે, જે જાઈઝ નથી, મતલબ કે શરીઅતની દ્રષ્ટિએ આવા રિવાજો ત્યાગ પાત્ર છે. (શામી ભા. ૪/ પ૧૩)
Log in or Register to save this content for later.