Chapter : નિકાહ
(Page : 318-319-320)
સવાલ :– પતિ–પત્ની માટે એક બીજાના શરીરને સ્પર્શવાની અને ચુંબન આપવાની કયાં સુધી ઈજાઝત છે?
(ઈદારા ઈશાઅતેદીન, મુ.માંગરોલ, જિ.જૂનાગઢ)
જવાબ :– ઈસ્લામ ધર્મમાં માનવીની પ્રાકૃતિક મનેચ્છાઓ અને સ્વભાવિક ભાવનાઓ સદંતર કચડી નાખવામાં નથી આવી અને સન્યાસ (રહબાનિય્યત)ને ઈબાદત અને નેકી નથી બતાવવામાં આવી, બલકે ઈન્સાની વંશની હિફાઝત, ઉમ્મતે મુહમ્મદિય્યહનો વિકાસ, વ્યભિચાર, બદનજરી અને બદકારી જેવા ગુનાહિત આચરણ અને અનૈતિક કૃત્યોથી પાકસાફ સમાજની રચના અને મન તથા આત્માને સુખ–શાંતિ મળવા જેવા અનેક પવિત્ર હેતુઓની પ્રાપ્તિ માટે માનવીની મનેચ્છાઓ અને ભાવનાઓને જીવંત રાખી નિકાહની સૂરતમાં તેના મર્યાદિત અને યોગ્ય ઉપયોગને જાઈઝ અને આવકારદાયક ઠરાવવામાં આવેલ છે.
સંભોગથી પહેલાં સંભોગ પ્રેરક વાતો, શરીર સ્પર્શ, ચુંબન તથા પરસ્પર દિલલગી કરવી એ પણ જાઈઝ અને ઈચ્છનીય છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે : તમારામાંથી કોઈ માણસ પોતાની ઓરત સાથે એ રીતે અંગ સંબંધ ન કરે જે રીતે જાનવરો પરસ્પર અંગ સંબંધ કરે છે, બલ્કે (પતિ–પત્ની) બન્ને વચ્ચે સંદેશ વાહક હોવા જોઈએ, કોઈ સહાબીએ પૂછયું કે સંદેશવાહક શું વસ્તુ છે? તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવ્યું કે ચુંબન અને (પ્રેમભરી) વાચચીત. (દયલમી)
ફુકહાએ કિરામ લખે છે કે પતિ – પત્ની માટે એ વાત જાઈઝ છે કે તે એક બીજાના શરીરને અહિંયા સુધી કે ગુપ્ત અંગને સ્પર્શ કરે અને ચુંબનપાત્ર જગ્યાઓને ચુંબન કરે, પરંતુ નાપાકી અને શરમની જગ્યાને ચુંબન કરવું, કરાવવું એ પાશવી રીતભાત છે. (શામી–પ) અને નાપાકીના મોઢામાં જવાનું ગાલિબ ગુમાન પણ છે. માટે આવી હરકતથી બચવુ જરૂરી છે, એવી રીતે પતિએ ઓરતનું સ્તન મોઢામાં લઈ દૂધ પીવું એ પણ નાજાઈઝ છે, માટે એવી હરકતથી પણ બચવું જોઈએ.
અત્રે એ વાત યાદ રાખવી જોઈએ કે પોતાના દાંપત્ય જીવનમાં પોતાની ગમે તે મનેચ્છાને ગમે તે રીતે પૂરી કરવાની શરીઅતમાં ઈજાઝત નથી, બલ્કે પતિ – પત્નીના પારસ્પારિક ગુપ્ત સંબંધ બાબત પણ કુર્આન હદીષમાં ચોકકસ મર્યાદાઓ બતાવવામાં આવી છે અને પરસ્પર પાશવી, નગ્ન અને નિર્લજજ વર્તણૂકથી મનાઈ ફરમાવી છે અને જાઈઝ જાતિય સંબંધમાં પણ શરમ અને પર્દો જાળવવાનો હુકમ આપવામાં આવ્યો છે.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે ”અલ્લાહ તઆલા શરમાળ અને પર્દાવાળો છે અને શરમ તથા પરદાને પસંદ ફરમાવે છે.” (તિરમિઝી શરીફ)
‘હિદાયહ’માં છે બેહતર આ છે કે પતિ–પત્ની એક બીજાના સતર (ગુપ્તઅંગ)ને ન જુએ, કારણ કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે ‘જયારે તમારામાંથી કોઈ માણસ પોતાની પત્ની સાથે જાતિય સંબંધ કરે તો શકય તેટલો પરદો કરે અને બંને જંગલી ગધેડાની જેમ નગ્ન ન થઈ જાય (હદીષ) અને આ પ્રમાણે જોવાથી યાદશકિત ઘટી જાય છે અને આંખો કમઝોર થઈ જાય છે. (શામી–પ/ર૩૪)
હઝરત આઈશહ (રદિ.) ફરમાવે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) વફાત પામ્યા, પરંતુ ન આપે કદી મારું સતર જોયું અને ન મેં કદી આપનું સતર જોયું. (ફ.કદીર–૮)
Log in or Register to save this content for later.