[પ૦૪] વિત્રની નમાઝમાં ઈમામ કુનૂત ભૂલી જાય અને અમુક મુકતદીઓ રુકૂઅ છોડી આપે

Chapter : નમાઝ

(Page : 516 to 519)

સવાલ : રમઝાનુલ મુબારકમાં વિત્રની નમાઝ જમાઅતથી પઢવામાં આવે છે, તેમાં અમારે ત્યાં એવું બન્યું કે વિત્રની ત્રીજી રકાતમાં તકબીર કહીને દુઆએ કુનૂત પઢવાને બદલે ભૂલથી ઈમામ સાહેબ રુકૂઅમાં ચાલ્યા ગયા, પાછળથી મુકતદીઓએ અલ્લાહુ અકબર કહી લુકમો આપ્યો, પરંતુ ઈમામ સાહેબ રુકૂઅમાં જ રહ્યા અને દુઆએ કુનૂત માટે ઊભા ન થયા, પાછળ ત્રીસ–પાંત્રીસ મુકતદીઓમાંથી ફકત બે–ત્રણ મુકતદીઓએ ઈમામ સાહેબની ઈત્તિબાઅ કરી રુકૂઅમાં ગયા અને બાકીના બધા જ મુકતદીઓ કયામની હાલતમાં રહ્યા અને રુકૂઅમાં ન ગયા, ત્યારબાદ ઈમામ સાહેબ રુકૂઅમાંથી ઊભા થયા અને બંને સજદાઓ કરી અત્તહિય્યાત પઢી સજદએ સહવ કરી નમાઝ પૂરી કરી અને જે મુકતદીઓ ઈમામ સાહેબના રુકૂઅ વખતે કયામની હાલતમાં રહ્યા હતા તે રુકૂઅ કર્યા વગર ઈમામ સાહેબ સાથે બંને સજદાઓમાં શરીક થઈ ગયા અને તેઓએ પણ ઈમામ સાહેબ સાથે સજદએ સહવ કરી નમાઝ પૂરી કરી લીધી. તો આ સૂરતમાં અમુક પ્રશ્નો ઉપસ્થિત થયા છે તેના જવાબો જણાવશો.

(૧)     ઈમામ સાહેબ અને ઈમામની ઈકિતદા કરનાર બે ત્રણ મુકતદીઓની નમાઝનો શું હુકમ છે ? સહીહ થઈ કે નહિ ?

(ર)     બાકીના મુકતદીઓ વિત્રની નમાઝ જમાઅત સાથે દોહરાવવાનું કહે છે, શું એ યોગ્ય છે ? અને તેમનો ત્રીજી રકાતનો રુકૂઅ છૂટી ગયો છે તો તેમની નમાઝ દુરૂસ્ત ગણાશે કે નહિં ?

(૩)     જે ઈમામ સાહેબે વિત્રની નમાઝ પઢાવી તે ઈમામ સાહેબ ફરીથી વિત્રની નમાઝ પઢાવી શકે ?

(૪)     શું એ જ જમાઅત ખાનામાં બીજા ઈમામ સાહેબ વિત્રની નમાઝ જમાઅત સાથે પઢાવી શકે ?

(પ)     ત્રીસ–પાંત્રીસ મુકતદીઓમાંથી બે–ત્રણ મુકતદીઓની નમાઝ સહીહ થઈ હોય અને વધારે પ્રમાણમાં મુકતદીઓની વિત્રની નમાઝ સહીહ ન થઈ હોય તો તેઓ જાતે નમાઝ દોહરાવવાને બદલે બીજી વખત જમાઅત સાથે નમાઝ પઢવાનું કહી શકે?

જવાબ : (૧)    પૂછેલી સૂરતમાં ઈમામ સાહેબે મસ્અલહ મુજબ સહીહ તરીકો ઈખ્તિયાર કર્યો છે કે ભૂલથી દુઆએ કુનૂત છૂટી જાય અને ઈમામ સાહેબ રુકૂઅ કરી લે તો મુકતદીઓએ લુકમો ન આપવો જોઈએ અને ઈમામ સાહેબની જેમ રુકૂઅ કરી લેવો જોઈએ અને ઈમામે કોઈ મુકતદીના લુકમાથી દુઆએ કુનૂત પઢવા માટે રુકૂઅમાંથી ઊભા ન થવું જોઈએ અને ભૂલથી દુઆએ કુનૂત છૂટી જવા બદલ નમાઝની છેવટમાં સજદએ સહવ કરી નમાઝ પૂરી કરવી જોઈએ.

                માટે આ ઘટનામાં ઈમામ સાહેબની અને રુકૂઅમાં જનાર બે–ત્રણ મુકતદીઓની નમાઝ પૂરી અને સહીહ થઈ ગઈ છે, એટલે ઈમામ અને રુકૂઅ કરનાર મુકતદીઓએ વિત્રની નમાઝ લોટાવવાની જરૂરત નથી અને તેમણે વિત્ર લોટાવવી સહીહ પણ નથી.           (‘શામી ૧/૪૪૯)

                ( ર)    જે મુકતદીઓ રુકૂઅ કર્યા વગર કયામથી સીધા સજદહમાં ગયા હતા તેવા મુકતદીઓની વિત્રની નમાઝ રુકૂઅ છૂટી જવાથી સહીહ અને જાઈઝ થઈ નથી, માટે તેવા મુકતદીઓએ વિત્રની નમાઝ ફરી પઢવી જરૂરી છે અને જો આવી સૂરતમાં તે જ રાત્રે વિત્ર લોટાવે તો જેમની વિત્રની નમાઝ ફાસિદ થઈ જવાથી સહીહ અદા થઈ નથી તેમનામાંથી કોઈ એક માણસ ઈમામ બને અને જમાઅત સાથે ફરી પઢે એ જાઈઝ છે.

                (૩)     ઈમામ સાહેબ પહેલી વખત સહીહ તરીકાથી વિત્ર પઢી ચૂકયા છે અને તેમની વિત્રની નમાઝ એક વાર સહીહ રીતે અદા થઈ ચૂકી છે એટલે તેઓ ફરીવાર વિત્રના ઈમામ ન બની શકે, કારણકે તેઓ ફરીવાર ઈમામ બની જે નમાઝ પઢશે તે નફલ ગણાશે અને નફલ નમાઝ પઢનાર પાછળ (વિત્રની) વાજિબ નમાઝ પઢનારની ઈકિતદા જાઈઝ નથી અને નફલની ત્રણ રકાત પઢવી જાઈઝ પણ નથી.     (‘શામી ૧)

                (૪)     બીજા ઈમામ સાથે પણ જમાઅત ખાનામાં બીજીવાર વિત્રની જમાઅત ન કરવી જોઈએ, ચાહે તો એકલા એકલા પઢી લે, ચાહે તો બીજી કોઈ જગ્યાએ જમાઅત કરી પઢે.       (‘અહસનુલ ફતાવા ૩)

                (પ)     જે ઈમામ સાહેબની વિત્રની નમાઝ પહેલી વખત સહીહ રીતે અદા થઈ ગઈ છે, તેમને ફરીવાર પઢવા ન કહી શકાય અને બીજા કોઈને તે જ રાત્રે જમાઅતખાનામાં પઢાવવા પણ ન કહી શકાય.

                અને જો ફાસિદ થયેલી વિત્રની નમાઝ તે જ રાતે અદાની સૂરતમાં લોટાવવામાં ન આવે અને વિત્ર કઝા થઈ જાય તો બીજા કોઈ વખતે વિત્રની કઝા નમાઝ જમાઅત સાથે ન પઢવામાં આવે, બલ્કે જમાઅત વગર એકલા એકલા કઝા કરવામાં આવે.                        (‘શર્હે મુન્યહ)

Log in or Register to save this content for later.