[પ૦૩] કુનૂતે નાઝિલહમાં શબ્દોનો વધારો અને તેને પઢવાની સમય મર્યાદા

Chapter : નમાઝ

(Page : 511 to 516)

સવાલ : અમુક સમયથી મસ્જિદોમાં કુનૂતે નાઝિલહ પઢવામાં આવે છે, જેમાં મસનૂન દુઆમાં આવેલ શબ્દો ઉપરાંત અમુક જગ્યાઓના નામો ઉમેરવામાં આવે છે, એક ઈમામ સાહેબ આવા શબ્દો ઉમેરી અને વાકયો વધારી કુનૂતે નાઝિલહ ઘણું લાંબું પઢયા, તો આવી રીતે કુનૂતે નાઝિલહમાં શબ્દો અને વાકયોનો વધારો કરી જમાઅત સાથે પઢાતી ફજરની ફર્ઝ નમાઝમાં પઢી શકાય કે નહિ ? અહિંયા એ બાબત વિવાદ ઉભો થયો છે, તો કુનૂતમાં શબ્દો વધારવા અને લાંબું કુનૂતે નાઝિલહ પઢવા બાબતે શરીઅતનો શું હુકમ છે ? અને આ દુઆ પઢતા રહેવાની શરઈ હદ છે કે નહિ ?

જવાબ : હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની અનેક હદીસોથી કુનૂતે નાઝિલહના વિવિધ શબ્દો અને વાકયો સાબિત છે અને તે શબ્દો અને વાકયો શૈખ ઈબ્રાહીમ હલબી (રહ.)એ ‘શર્હે મુન્યહ (કબીરી)માં હદીસોના હવાલાઓ સાથે નકલ ફરમાવ્યા છે.(‘કબીરી ૪૧૭,૪૧૮)

                હઝરત મૌલાના મુફતી કિફાયતુલ્લાહ સાહેબ (રહ.)એ કુનૂતે નાઝિલહ વિશે એક સવાલના જવાબમાં નીચે નકલ કરવા મુજબ એ પ્રમાણે કુનૂતે નાઝિલહ લખ્યું છે કે જેમાં હદીસ શરીફથી લગભગ બધા શબ્દો અને વાકયોનો સમાવેશ થઈ જાય છે.

અલ્લાહુમ્મહ્‌દિના ફી મન્‌ હદય્ત વ આફિના ફી મન્‌ આફય્ત વ તવલ્લના ફી મન્‌ તવલ્લય્ત વ બારિક્‌ લના ફી મા અઅ્‌તય્ત વ કિના શર્ર મા કઝય્ત. ઈન્નક તક્‌ઝી વ લાયુક્‌ઝા અલય્ક વ ઈન્નહુ લાયઝિલ્લુ મન્‌ વાલય્ત વ લાયઈઝ્‌ઝુ મન આદય્ત, તબારક્‌ત રબ્બના વ તઆલય્ત વ નસ્તગ્‌ફિરુક વ નતૂબુ ઈલય્ક, વ સલ્લલ્લાહુ અલન્નબિય્યિલ્‌ કરીમ. અલ્લાહુમ્મગ્‌ફિર લના વ લિલ્મુઅ્‌મિનીન વલ્‌ મુઅ્‌મિનાતિ વલ્‌ મુસ્લિમીન વલ્‌ મુસ્લિમાતિ વ અલ્લિફ્‌ બય્ન કુલૂબિહિમ્‌ વ અસ્લિહ્‌ ઝાત બય્‌નિહિમ્‌ વન્સુર્‌હુમ્‌ અલા અદુવ્વિક વ અદુવ્વિહિમ્‌. અલ્લાહુમ્મલ્અનિલ્‌ કફરતલ્‌ લઝીન યસુદ્‌દૂન અન્‌ સબીલિક વ યુકઝ્‌ઝિબૂન રુસૂલક વ યુકાતિલૂન અવ્લિયાઅક. અલ્લાહુમ્મ ખાલિફ્‌ બય્ન કલિમતિહિમ્‌ વ ઝલ્‌ઝિલ્‌ અક્‌દામહુમ્‌ વ અન્ઝિલ બિહિમ્‌ બઅ્‌સકલ્લઝી લાયુરદ્‌દ્દુ અનિલ્‌ કવ્‌મિલ્‌ મુજ્‌રિમીન.  (‘કિ. મુફતી ૭/૩૯૭)

                અલ્લામહ નવવી (રહ.)એ વ અસ્લિહ્‌ ઝાત બય્‌નિહિમ્‌ પછી અને વન્સુરહુમ્‌ પહેલાં આ પ્રમાણે અમુક વાકયોનો વધારો નકલ ફરમાવ્યો છે.

‘વજ્‌અલ્‌ ફી કુલૂબિહિમિલ્‌ ઈમાન વલ્‌ હિક્‌મત વ સબ્બિત્‌હુમ્‌ અલા મિલ્લતિ રસૂલિલ્લાહિ સલ્લલ્લાહુ અલય્‌હિ વ સલ્લમ વ અવ્‌ઝિઅ્‌હુમ્‌ અંય્યૂફૂ બિઅહ્‌દિકલ્લઝી આહદ્‌તહૂમ્‌ અલૈહિ.                       (‘અલ્‌ અઝકાર પ૮)

                હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી અમુક પ્રસંગોએ પ્રસંગ અનુસાર કુનૂતે નાઝિલહમાં અમુક માણસોના અને કબીલહના નામ લેવા પણ સાબિત છે. કુનૂતે નાઝિલહમાં કોઈ મખ્સૂસ કે મનકૂલ દુઆ પઢવી જરૂરી નથી અને અરબી ભાષામાં પોતાના શબ્દોમાં એવી દુઆ માંગવી જાઈઝ છે કે જેમાં લોકોની પરસ્પરની વાતચીત જેવા વાકયો ન હોય, પરંતુ મસનૂન અને મઅસૂર દુઆએ કુનૂત પઢવી બેહતર છે, તા કે મસનૂન અને મઅસૂર દુઆની બરકત હાસિલ થાય અને જમાઅતની ફર્ઝ નમાઝમાં દુઆનું પ્રમાણ પણ સચવાયેલું રહે, દુઆ એટલી લાંબી ન થઈ જાય કે લાંબી દુઆના કારણે નમાઝ લંબાવવાના કારણે સામાન્ય નમાઝીઓને અને ખાસ કરી મઅઝૂર નમાઝીઓને બોજરૂપ લાગે અને ગભરામણ પેદા થવા લાગે અને લોકોની વાતચીત જેવા શબ્દો દુઆમાં શામેલ થવાથી પણ હિફાઝત રહે.    (‘કબીરી ૪૧૭, ‘મબસૂત ૧/૧૬પ)

    હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે,

‘‘જયારે તમારામાંથી કોઈ (ઈમામ બનીને) લોકોને નમાઝ પઢાવે તો (દરેક વાતમાં મસનૂન પ્રમાણની રિઆયત કરીને) ટૂંકી અને હલકી નમાઝ પઢાવે, કારણકે મુકતદીઓમાં અમુક લોકો કમઝોર, બીમાર અને ઘરડા પણ હોય છે અને જયારે પોતાની એકલી નમાઝ પઢે તો જેટલી ચાહે લાંબી પઢે.

                એક રિવાયતમાં કામ અને જરૂરતવાળા માણસનું પણ વર્ણન છે. (‘સહીહૈન શરીફ)

                એટલે જ હઝરાત ફુકહાએ કિરામ (રહ.)એ ઈમામ માટે મસનૂન પ્રમાણથી વધારે લાંબી કિરાઅત, અઝકાર અને દુઆઓ  પઢી નમાઝ લાંબી પઢાવવાને મકરૂહે તહરીમી અને નાજાઈઝ લખેલ છે, બલ્કે મનફરિદ (એકલા નમાઝ પઢનાર) નમાઝી માટે પણ ફર્ઝ નમાઝમાં સુન્નતથી સાબિત ન હોય એવી દુઆને મકરૂહ લખેલ છે.

(‘શામી ૧/૩૭૯, ‘કબીરી ૩પ૮,૩૬૪)

                રહી વાત કુનૂતે નાઝિલહ પઢવાની મુદ્દત અને સમય મર્યાદાની, તો એ બાબત ફિકહની અરબી કિતાબોમાં કોઈ ચોખવટ મળતી નથી, પરંતુ હદીસ શરીફની શરહમાં અને ઉર્દૂ ફતાવાની કિતાબોમાં ફિકહના માહિર ઉલમાએ કિરામ (રહ.)ના બે મંતવ્યો જોવા મળે છે. હઝરત મૌલાના હકીમુલ ઉમ્મત થાનવી (રહ.)એ શાબાન સન હિજરી ૧૩૩૯ માં એક ફતવામાં લખ્યું છે કે,

‘‘લેકિન ઉસૂલે દિરાયત સે યું સમજમેં આતા હે કે મુન્તહા ઉસકા હુસૂલે મકસૂદ યા કુનૂત મિન હુસૂલિલ્‌ મકસૂદ હે.      (‘ઈમ્દાદુલ ફતાવા ૧/૭૯૧)

                મતલબ આ છે કે મકસદ પ્રાપ્ત થતાં સુધી અથવા મકસદ પ્રાપ્ત થવાની આશા પડી ભાગતાં સુધી કુનૂતે નાઝિલહ પઢવું જોઈએ, તેની કોઈ સમય મર્યાદા નથી અને તે પછી રબીઉલ્‌ અવ્વલ સન હિજરી ૧૩પ૧ ની એક મજલિસમાં કુનૂતે નાઝિલહ પઢવાની મુદ્દત વિશે એક મૌલવી સાહેબના મૌખિક સવાલના જવાબમાં આ પ્રમાણે ફરમાવ્યું કે,

‘‘મુદ્દતસે ઈસ મસ્અલહકી તલાશમેં થા કે કુનૂતે નાઝિલહ અગર પળ્હે તો કબ તક પળ્હા કરે, બહોતસે ઉલમાઅસે દર્યાફત કિયા, કિસીને શાફી જવાબ નહીં દિયા, અબ બિહમ્દિલ્લાહ હદીસસે સમજમેં આ ગયા કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)સે એક માહસે ઝાઈદ મનકૂલ નહીં, હાલાંકે હવાદિસ બાદમેં ભી બાકી રહતે થે, ઈસસે ઝિયાદત ઝિયાદત અલલ્‌ મનકૂલ હે. (‘મલફૂઝાતે હકીમુલ ઉમ્મત ૪/૧૯૦)

                ઉપરના ફતવા અને કથનથી માલૂમ પડે છે કે હઝરત હકીમુલ ઉમ્મત (રહ.)નું પહેલું મંતવ્ય કુનૂતે નાઝિલહ પઢવાની મુદ્દત નકકી ન હોવાનું હતું અને બીજું અને છેલ્લું મંતવ્ય કુનૂતે નાઝિલહ  પઢવાની મુદ્દત વધુથી વધુ એક મહિનો હોવાનું હતું.

હઝરત મૌલાના ઝફર અહમદ ઉસ્માની (રહ.)એ પણ લખ્યું છે કે :–

હઝરત અનસ (રદિ.)ની આ હદીસમાં કુનૂતે નાઝિલહ પઢવાની મુદ્દતનું વર્ણન છે, માટે કુનૂત એટલી મુદ્દત સુધી પઢવું જોઈએ જેટલી મુદ્દત સુધી હઝરત નબી કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી કુનૂત પઢવું સાબિત છે અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી એક મહિના સુધી પઢવું સાબિત છે.

જેમકે, હઝરત અનસ (રદિ.)ની હદીસમાં છે કે,

આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ એક મહિના સુધી કુનૂતે નાઝિલહ પઢયું અને પછી પઢવાનું છોડી દીધું. માટે કુનૂત પઢવા વિશે નબવી સુન્નતની પૈરવીની આ જ મુદ્દત ગણાશે. (‘ઈઅ્‌લાઉસ્સુનન ૬/૧૧૮)

હઝ. મૌ. મુફતી કિફાયતુલ્લાહ સાહેબ (રહ.) એક ફતવામાં લખે છે :

બલ્કે જયારે કોઈ આમ આફત ઉપસ્થિત થાય તો તે આફત બાકી રહે ત્યાં સુધી કુનૂતે નાઝિલહ પઢવું જાઈઝ છે.

અને આ વાતના સમર્થનમાં એક હદીસ નકલ કરેલ છે કે,

હઝરત અબૂ હુરયરહ (રદિ.)એ ફરમાવ્યું કે,‘‘હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ એક મહિના સુધી ઈશાની નમાઝમાં દુઆએ કુનૂત પઢી. [જેમાં હઝરત વલીદ બિન વલીદ (રદિ.), હઝરત સલમહ બિન હિશામ (રદિ.) અને કમઝોર મુસલમાનો માટે મકકહ મુકર્રમહના કાફિરોની તકલીફો અને અત્યાચારોથી નજાતની દુઆ ફરમાવી અને મુઝર કબીલહના લોકો માટે સખત પકડની અને હઝરત યૂસુફ (અલૈ.)ના ઝમાનાના દુકાળ જેવા દુકાળની બદદુઆ ફરમાવી.]

હઝરત અબૂ હુરયરહ (રદિ.)એ ફરમાવ્યું કે,

‘‘એક દિવસ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ દુઆએ કુનૂત ન પઢી, તો મેં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી એ વાતની રજૂઆત કરી.

આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું કે,

‘‘શું તમોએ જોયું નથી કે તે મુસલમાન કેદીઓ (જેમના માટે નમાઝમાં દુઆ કરાતી હતી તેઓ) છૂટીને મદીનહ મુનવ્વરહ આવી ગયા છે.                     (‘અબૂ દાવૂદ ર૦૪)

હઝરત મુફતિયે આઝમ (રહ.)આ હદીસના અનુસંધાનમાં આગળ લખે છે કે,

આ હદીસથી માલૂમ પડયું કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું એક મહિના સુધી કુનૂતે નાઝિલહ પઢવું અને પછી છોડી દેવું એ કુનૂતે નાઝિલહની જરૂરત બાકી ન રહેવાના કારણે હતું.          (‘કિ. મુફતી ૩/૩૯૮)

                ઉપરની વિગતનો ખુલાસો આ છે કે જયાં સુધી  મુસ્લિમો ઉપર આમ આફતનું વાતાવરણ બાકી રહે ત્યાં સુધી ફજરની નમાઝમાં કુનૂતે નાઝિલહ પઢવાનું ચાલું રાખવું જાઈઝ છે, અલબત્ત એક મહિના પછી નમાઝમાં પઢવાનું બંધ કરીને નમાઝથી બહારની દુઆઓમાં દુઆએ કુનૂતે નાઝિલહ શામેલ કરવામાં આવે અને આફત દૂર થતાં સુધી નમાઝથી બહાર દુઆ કરવામાં આવે એ પણ જાઈઝ છે.

Log in or Register to save this content for later.