[ર૯૪] કોઈના ખોવાયેલ જાનવરની કુરબાની

Chapter : કુરબાની

(Page : 369)

સવાલ :– બકરીઓ ચરાવનારને જંગલમાંથી એક બકરી મળી છે અને તે બકરી ચાર માસથી તેની પાસે છે, કોઈ માણસ તે બકરીને ઢુંઢવા આવતો નથી અને બકરીના માલિકની ખબર નથી તો આવી બકરી ખરીદીને તેની કુરબાની કરી શકાય અથવા તેને ખરીદી તેનું દૂધ વાપરી શકાય?

જવાબઃ– પ્રથમ તો આવી કોઈ માણસની ખોવાયેલી બકરી તેના માલિકને પહોંચાડવાની નિય્યતથી લેનારે બકરીનું એલાન કરવું જરૂરી છે, જે જગ્યાએથી બકરી મળી છે તેની આસપાસની આબાદીઓમાં જાહેર જગ્યાઓ ઉપર જેમકે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, પંચાયત ઓફિસ, મસ્જિદના દરવાજા બહાર, લાયબ્રેરી અને હોટલ પર ખોવાયેલું જાનવર મળવાનું અને માલિકે પોતાની નિશાની બતાવી પોતાનું જાનવર ફલાણા ઠેકાણેથી લઈ જવાનું એલાન લગાડવામાં આવે.

                આ પ્રમાણે એલાન કર્યા પછી એટલી મુદ્દત વીતી જાય કે માલિક તરફથી બકરી ઢુંઢવાની આશા ન રહે અને મજકૂર બકરી પકડીને પોતાની પાસે રાખનાર માણસ પોતે ગરીબ હોય તો તે પણ આ બકરીની કુરબાની કરી શકે છે અને કુરબાની માટે ખરીદનાર બીજી માલદાર કે ગરીબ વ્યકિતને વેચી શકે છે અને કિંમત પોતાના ઉપયોગમાં લઈ શકે છે. અને ખરીદનાર તેની કુરબાની પણ કરી શકે છે.

                જો મજકૂર બકરી પકડીને પોતાની પાસે રાખનાર માણસ શરઈ દ્રષ્ટિએ માલદાર હોય તો તે બકરી કુરબાની વગેરે માટે પોતાના ઉપયોગમાં નથી લઈ શકતો. અલબત્ત, માલદાર માણસ મજકૂર બકરીની કિંમત તેના માલિક માટે અમાનત રાખવાના હેતુથી વેચી શકે છે. અને ખરીદનાર તેને કુરબાની માટે ખરીદી શકે છે અને માલદાર માણસ માલિક મળવાની નિરાશા પછી આવી બકરી કોઈ ગરીબ માણસને માલિક તરફથી સદકા પેટે પણ આપી શકે છે અને તે ગરીબ પાસેથી કોઈ ત્રીજો માણસ કુરબાની માટે ખરીદી શકે છે, બાકી મજકૂર બકરાના ખરીદ વેચાણ અને સદકો કરવા માટે ઉપરની વિગત મુજબ પ્રથમ એલાન કરવું અને માલિકની ઢુંઢ કરી લેવી જરૂરી છે. (શામી ૩/૩ર૧)

Log in or Register to save this content for later.