[ર૮૯] જરસી ગાય ની કુરબાની અને તેનો ગોશ્ત ખાવો

Chapter : કુરબાની

(Page : 364-365-366)

સવાલ :– જરસી ગાય બાબત વિગત જણાવશો. જે ગરદનથી પૂછડાં સુધી સપાટ હોય છે. અમૂક લોકોનું કહેવું છે કે આ ગાયનો અવાજ ભૂંડ જેવો હોય છે અને ઈન્જેકશનો દ્વારા સુવ્વરના વીર્યથી પેદા કરવામાં આવે છે તો આવી ગાયના ગોશ્ત અને દૂધનો શું હુકમ છે ? અને આવી ગાય અથવા તેના પેટથી પેદા થયેલ વાછરડો કે વાછરડી કુરબાનીમાં જાઈઝ ગણાય કે નહિ? અને તેનો વેપાર થઈ શકે કે નહિ?

જવાબ :– જો શરીઅતની રૂએ વિશ્વાસપાત્ર ગણાય એવી ખબરથી એ વાતની સંતોષકારક જાણ ન થઈ હોય કે સામાન્ય ગાયને ઈન્જેકશન વડે ભૂંડનું વીર્ય આપીને જ જરસી ગાય પ્રાપ્ત કરવામાં આવે છે અને જરસી ગાયનું બચ્ચું પણ સુવ્વરના વીર્યથી જ પ્રાપ્ત કરવામાં આવે છે, તો માત્ર સુની સુનાઈ ખબરનો એઅતેબાર નહિ કરવામાં આવે અને એવી ખબરના આધારે તે ગાય અને તેના બચ્ચાઓને હરામ  જાનવરોમાંથી નહિ ગણવામાં આવે.

                અને જો વિશ્વાસપાત્ર ખબરથી મઝકૂર વાતની જાણ થઈ હોય તો દુર્રેમુખ્તાર અને શામીના પહેલા ભાગમાં નકલ કરેલ મસ્અલા મુજબ જયારે તે જાનવર સામાન્ય ગાયથી જનમ્યું છે તો તેના ઉપર ગાય હોવાનો હુકમ લાગશે અને તેનું દૂધ તથા ગોશ્ત હલાલ ગણાશે. અને તેનો વેપાર પણ જાઈઝ રહેશે ચાહે તે જાનવર શકલ સૂરત અને અવાજમાં ભૂંડને મળતું આવતું હોય. અને દુર્રેમુખ્તાર તથા શામીના પાંચમાં ભાગમાં નકલ કરેલ મસ્અલા મુજબ એહતિયાતની વાત એ છે કે ભૂંડના વીર્યથી સામાન્ય ગાયના પેટથી જન્મેલા જાનવરનું માથું – મોઢું અને ખોરાક જોવામાં આવે. જો તેનું માથું – મોઢું ભૂંડના જેવું હોય અને તે માત્ર ગાય ખાતી હોય એવો ખોરાક ખાતું હોય અને ભૂંડનો ખોરાક ન ખાતું હોય તો તે જાનવર વિષે ગાય હોવાનો હુકમ લાગશે. અને તેનું દૂધ અને ગોશ્ત હલાલ ગણાશે. પરંતુ તેનું ભૂંડ જેવું માથું – મોઢું હલાલ નહિ ગણાય, માટે ઝબહ કર્યા પછી તેટલો ભાગ કાપી લઈ ફેંકી દેવામાં આવશે. અને તે જાનવરનુ ખરીદ વેચાણ જાઈઝ ગણાશે. પરંતુ માથું – મોઢું ખોડવાળું હોવાના કારણે તેની કુરબાની દુરસ્ત નહિ ગણાય.

                અને જો તેનો ખોરાક માત્ર ભૂંડ જેવો હોય તો ભૂંડના વીર્યથી જન્મ લેનાર મઝકૂર જાનવર હલાલ નહિ ગણાય અને તે ભૂંડના હુકમમાં ગણાશે. તેનું દૂધ તથા ગોશ્ત હલાલ નહિ ગણાય. અને તેની કુરબાની અને વેપાર પણ જાઈઝ નહિ ગણાય.

                અને જો ભૂંડના વીર્યથી પેદા થનાર મઝકૂર જાનવર બન્‍નવ પ્રકારનો ખોરાક એટલે કે ગાય અને ભૂંડ બન્‍નવનો મખસૂસ ખોરાક ખાતું હોય તો પછી તેના અવાજ ઉપરથી ગાય કે ભૂંડ હોવાનો હુકમ લગાડવામાં આવશે. જો તેને માર મારતાં માત્ર ગાયની જેમ અવાજ કાઢે તો તે ગાય કહેવાશે અને તેના દૂધ – ગોશ્ત અને કુરબાની વિશે ઉપરોકત હુકમ લાગુ પડશે અને જો માત્ર ભૂંડની જેમ અવાજ કાઢે તો તેને ભૂંડ કહેવાશે અને તેના દૂધ, ગોશ્ત, કુરબાની અને વેપાર વિશે ભૂંડનો હુકમ લાગુ પડશે. આ વિગત સામે રાખીને જરસી ગાયનો પ્રત્યક્ષ અભ્યાસ કરવાથી તેનો શરઈ હુકમ સારી રીતે સમજી શકાય છે.   (દુર્રે મુખ્તાર–શામી –પ/૧પ૦,૧૯૭)

Log in or Register to save this content for later.