Chapter : નિકાહ
(Page : 287-288)
સવાલ :– શાદીમાં ફુલહાર નાખવા અંગેનો ફતવો વાંચ્યો છે તેને ફુઝૂલખર્ચી અને નાજાઈઝ બતાવવામાં આવ્યું છે, પરંતુ કેટલાક હાથમાં ફૂલની કલગી લઈને નિકાહ પઢવા જાય છે તો નિકાહ પઢવા જાય ત્યારથી ફૂલની કલગીનો તેમજ કંઠાનો ઉપયોગ કરી શકાય કે કેમ? તે લખી જણાવશો.
જવાબ :– શાદી પ્રસંગે ફૂલનો કંઠો કે કલગીનો ઉપયોગ સહેરાના ઉપયોગની જેમ જાઈઝ નથી અને ફુઝૂલખર્ચી છે. કારણ કે એ કંઠો કે કલગીમાં જે ફૂલો વપરાય છે તે કોઈ મન ચાહત ખુશ્બૂ માટે હોતા નથી. ફકત ઝીનત અને શોભા માટે જ હોય છે. વળી આ બધી રસમો ગેરોના ધાર્મિક કે વ્યવહારિક રીત રિવાજ છે. અને ત્યાંથી જ મુસલમાનોમાં પ્રચલિત થઈ છે; કારણ કે કોઈ હદીષ કે સહાબી અથવા ઈમામે મુજતહિદના મંતવ્ય કે કૃત્યથી આ પ્રમાણે શાદીમાં ફૂલોનો ઉપયોગ તો સાબિત નથી પણ એથી ઉલટું કુર્આન અને હદીષ શરીફમાં રીત – રિવાજોમાં ગેર કોમોનું અનુકરણ કરવાથી રોકવામાં આવેલ છે.
અલ્લાહ તઆલા ફરમાવે છે કે
અને (હે મુસલમાનો) તમો ઝાલિમો તરફ (અથવા જે લોકો તેઓની જેમ ફાસિક ફાજિર હોય તેમની તરફ દિલી દોસ્તીથી અથવા તેઓના વ્યવહારિક કૃત્યો અને રહેણી કરણીમાં ભાગીદાર બની કે અનુકરણ કરી)ના ઢળી પડો. વલણ ન રાખો, નહિ તો તમને દોઝખની આગ લાગી જશે. (સૂરએ હૂદ)
કાઝી બયઝાવી (રહ.) ”રૂકુન” શબ્દની તફસીર કરતાંં ફરમાવે છે કે શકલ સૂરત અને ફેશનમાં એવી જ રીતે રહેણી કરણીના તરીકાઓમાં ગેરોનું અનુકરણ કરવું એ બધુંજ આ આયતે કરીમાની મનાઈમાં શામેલ છે.
(ત.મઝહરી–પ/૧ર૩ સૂરએ હૂદ)
હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું છે કે જે વ્યકિત આદતો કૃત્યો અને પહેરવેશમાં જે કૌમ કે જમાઅતનું અનુકરણ કરશે તેની ગણત્રી તે કૌમ કે જમાઅતમાંથી થશે. (મિશ્કાત શરીફ–૩૭પ)
Log in or Register to save this content for later.