[ર૦૮] પૂરા સમાજ માટે એક ચોકકસ મહર ફરજિયાત કરવી

Chapter : નિકાહ

(Page : 252-253-254-255-256)

સવાલ :– મહરની શરઈ હેસિયત શું છે? ઓછામાં ઓછી મહર કેટલી હોવી જોઈએ ? વધુમાં વધુ મહરનું પ્રમાણ શું હોવું જોઈએ? મહર નકકી કરવાનો હક કોનો છે? નિકાહ પઢનાર મિયાં–બીવીનો કે અવલિયાનો ? શું એક સમાજ કે કૌમ મહર નકકી કરી શકે છે? પૂરા સમાજ અને બિરાદરી માટે ઝબરદસ્તી એક જ મહર નકકી કરવું કેવું છે? એક જ મહર નકકી કર્યા બાદ કોઈ ઓછી વધારે મહરથી નિકાહ પઢાવે તેને સમાજના નિયમનું ભંગ કરનાર માની તેનાથી ફંડના નામે દંડ લેવું કેવું છે?

જવાબ :–  અલ્લાહ તઆલા નિકાહ કરનાર પુરૂષોને સંબોધીને ફરમાવે છે  وَاُحِلَّ لَکُمْ مَاوَرَائَ ذٰلِکُمْ (સૂરએ નિસાઅ) આગળ વર્ણન કરેલી હરામ ઓરતો સિવાય બીજી ઓરતો તમારા માટે હલાલ કરવામાં આવી છે. એટલે કે તમો તેમને પોતાના માલ વડે નિકાહમાં લાવવા ચાહો (તો એ હલાલ છે).

                આ આયતે કરીમાથી માલૂમ પડયૂ કે નિકાહ સાથે મહર પતિના ઝિમ્મે લાઝિમ અને વાજિબ થઈ જાય છે. માટે જો મહર ન હોવાની શર્તે નિકાહ કરવામાં આવે તો પણ નિકાહથી મહર લાઝિમ અને વાજિબ જઈ જાય છે.                                                                                                                                                                                           (શામી–ર/૩૩પ)

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ ઓછામાં ઓછી મહર દસ દિરહમ એટલે લગભગ ૩૧ ગ્રામ ચાંદી નકકી ફરમાવી છે. સૂનને બયહકી વગેરેમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની હદીષ વર્ણન કરવામાં આવી છે કે કોઈ મહર દસ દિરહમથી ઓછી નથી હોઈ શકતી.                 (શામી – ર/૩ર૯)

                મહરના વધુમાંવધુ પ્રમાણની કોઈ હદ નકકી નથી. નિકાહ કરનાર મર્દ ઓરત પરસ્પર પોતાની એકબીજાની રજામંદીથી ૩૧ ગ્રામ ચાંદીથી અથવા તેની કિંમતથી ગમે તેટલા વધુ પ્રમાણમાં મહર નકકી કરી શકે છે, અલબત્ત ઘણી જ ઉંચી મહર નકકી કરવી, અહિંયા સુધી કે મહરે ફાતિમી અને મહરે મસનૂનથી પણ વધારે મહર નકકી કરવી મકરૂહ છે. જો મર્દની આર્થિક સ્થિતિ સારી હોવાથી તે પોતે સ્વેચ્છાએ વધુ મહર નકકી કરવા ચાહે તો બેહતર અને અફઝલ એ છે કે સુન્‍નતના મુતાબિક મહરે નબવી અને મહરે ફાતિમી નકકી કરે.  અને મહરે ફાતિમી ૧૩૧ તોલા ત્રણ માશા ચાંદી છે.

                નિકાહ કરનારે પોતાની આર્થિક સ્થિતિથી વધુ મહર નકકી કરવી એ શરીઅતમાં ઈચ્છનીય નથી. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે વધુ બરકત વાળો નિકાહ તે છે કે જેમાં ખર્ચ ઓછો હોય. (મિશ્કાત શરીફ–ર૬૮) અને હઝરત ઉમર (રદિ.) ઉંચી અને વધુ મહર નકકી કરવાથી મના ફરમાવતા હતા.

(ઈબ્ને માજા – ૧૩પ)

                બાલિગ મર્દ અને બાલિગ ઓરતના નિકાહમાં મહર નકકી કરવાનો અધિકાર નિકાહ પઢનાર મર્દ અને ઓરતનો છે, તેમાં કોઈ અન્ય વ્યકિતને અહિંયા સુધી કે એ બન્‍નેવના વાલીઓને પણ તેમાં તેઓની મરજી વિરૂધ્ધ દખલ દેવાનો કે મહર નકકી કરવાનો કોઈ જ હકક કે અધિકાર નથી. જેમ કે કુર્આને કરીમની ઉપરોકત આયતથી અને ફિકહની દરેક કિતાબના મહરને લગતા મસાઈલથી આ વાત સારી રીતે સમજી શકાય છે. અલબત્ત જો બાલિગ ઓરત મહરે મિષ્લથી ઘણી ઓછી મહરમાં એટલે કે મહરે મિષ્લથી અડધી કે તેથી ઓછી મહરમાં નિકાહ કરે તો તેણીના માત્ર અસબહ વલી જો ચાહે તો શરઈ અદાલતમાં ઓછી મહર બાબત વાંધો ઉઠાવી શકે છે.           (શામી– ર/૩૦૪/૩ર૪)

                મુસ્લિમોના કોઈ સમાજ તરફથી કે કોઈ વ્યકિત તરફથી સમાજના દરેક નિકાહ કરનાર મર્દ અને ઓરત માટે મહરનું કોઈ એક ચોકકસ પ્રમાણ નકકી કરવું જાઈઝ નથી, જયારે શરીઅતે તેનું માત્ર લઘુત્તમ પ્રમાણ નકકી કર્યું છે અને તેનાથી ઓછી મહર નકકી કરવી જાઈઝ નથી, પરંતુ શરીઅતે દરેક વ્યકિત માટે કોઈ ચોકકસ પ્રમાણ નકકી કર્યું નથી કે દરેક નિકાહમાં દસ દિરહમ કે તેથી વધુ આટલી જ મહર હોવી જોઈએ, બલકે દરેક નિકાહ પઢનાર શરીઅતે નકકી કરેલ લઘુત્તમ પ્રમાણને સામે રાખી ગમે તેટલી મહર નકકી કરી શકે છે. માટે કોઈ સમાજ કે વ્યકિતને સમાજના દરેક નિકાહ કરનાર માટે મહરનું કોઈ ચોકકસ પ્રમાણ નકકી કરવાનો કોઈ હક કે અધિકાર નથી અને જો કોઈ સમાજ કે વ્યકિત ઝબરદસ્તી એવો કોઈ નિયમ બનાવશે તો તે શરીઅતના વિરૂધ્ધ કરનાર અને મુસ્લિમ પર્સનલ લોનું ઉલ્લંઘન કરનાર અને ઝુલ્મી તથા ગુનાહિત કૃત્ય ગણાશે.

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ નિકાહ કરનાર દરેક વ્યકિત માટે કોઈ ચોકકસ પ્રમાણ નકકી ફરમાવ્યું નથી, બલકે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) દરેક વ્યકિતની આર્થિક સ્થિતિ મુજબ મહર નકકી કરવા ફરમાવતા હતા. એક અન્સારી સહાબી (રદિ.) જે ઘણા ગરીબ હતા, તેઓએ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સમક્ષ એક ઓરતથી નિકાહ કરવાની ઈચ્છા વ્યકત કરી તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ ફરમાવ્યું કે (મહર માટે) તમારી પાસે કંઈક છે? તેઓએ ના પાડી તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે જાઓ અને હમણાં કમસે કમ લોઢાની એક વીંટી (મહર માટે) લઈ આવો.  (બુખારી શરીફ–ર/૭૭૪)

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો મજકૂર તરીકો જાણી લીધા પછી શું કોઈ મુસ્લિમ સમાજ કે વ્યકિત એવી હિંમત દાખવી શકે ખરી કે માલદાર ગરીબ દરેક માટે તેમની મરજી વિરૂધ્ધ મહરનું કોઈ ચોકકસ પ્રમાણ નકકી કરે, હાલાંકે  શરીઅતથી બીજાની મહર નકકી કરવાનો તેને કોઈ હકક અને અધિકાર પણ નથી.

                જો મહરના કોઈ એક પ્રમાણ વિશે કોઈ સામાજિક ફરજિયાત નિયમના આધારે નિકાહ પઢનારની મરજી વિરૂધ્ધ મહરની લેવડ દેવડ કરવામાં આવશે તો તે મહર હલાલ અને જાઈઝ નહીં ગણાય. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે સાંભળો ! તમે ઝુલ્મ ન કરો, કોઈ માણસનો માલ તેની દિલી ખુશી વગર બીજા માટે હલાલ નથી.          (મિશ્કાત શરીફ–રરપ)

                મુસ્લિમ સમાજનો દરેક વ્યકિત શરીઅતના હુકમનું પાલન કરવાનો પાબંદ છે. તે ગેર શરઈ નિયમનું પાલન કરવાનો પાબંદ નથી, માટે જો કોઈ નિકાહ પઢનાર મહરના સામાજિક નિયમથી વિરૂધ્ધ પોતાની મરજીથી શરીઅતની હદમાં રહીને કોઈ મહર નકકી કરે તો તે વિના શંકાએ જાઈઝ છે અને સમાજે એવી વ્યકિત પાસેથી એક જાઈઝ કૃત્ય કરવા બદલ ફંડના નામથી દંડ લેવો નાજાઈઝ અને હરામ છે અને એ એક બીજો ગુનાહ અને ઝુલમ છે.  (શામી–૩)

                અલ્લાહ તઆલા આપણા સૌના દિલોમાં શરીઅતની ઈઝ્‌ઝત અને અઝમત અતા ફરમાવે અને આપણા અમલ અને કર્તવ્યથી મુસ્લિમ પર્સનલ લોની હિફાઝત કરવાની આપણને સૌને તૌફીક ફરમાવે આમીન!

Log in or Register to save this content for later.