[ર૦૭] સમાજ કમીટીએ ભલામણરૂપે મહરનું પ્રમાણ નકકી કરવું

Chapter : નિકાહ

(Page : 250-251-252)

સવાલ :– અમારા કસબાની અમારી ઘાંચી બિરાદરી નાની બિરાદરી છે, જેની વસ્તી આશરે ૭૦૦૦ છે. અમારી બિરાદરીમાં નિકાહ અંદરો અંદર જ થાય છે. અપવાદરૂપ કેસોમાં (જેમ કે, વર યા કન્યા ન મળી શકે) જ જ્ઞાતિ બહાર નિકાહ થાય છે, સમગ્ર બિરાદરી પરસ્પર કૌટુંબિક ગાઢ રીતે સંકળાયેલી છે.

                અમારે ત્યાં અંદાજે ઈ.સ. ૧૯૪પથી નિકાહમાં મહરની રકમ ૧૦પ૧ (એક હજાર એકાવન) પ્રચલિત છે. નિકાહ પ્રસંગ વખતે દુલ્હા – દુલ્હન પક્ષો વચ્ચે મહરની રકમ નકકી કરવા બાબતે કોઈ ગંભીર ચર્ચા થતી નથી, બલ્કે જે પ્રચલિત છે તે રકમ ઉપર પક્ષકારો સંમત થઈ જતા હોય છે. પ્રચલિત મહરના કારણે દુલ્હન પક્ષ વધુ મહરની રકમનો પ્રસ્તાવ મૂકતાં ખચકાય છે. આજે ૬૦ વર્ષ ઉપરાંત વીતી ગયા હોવા છતાં અને નિકાહમાં બેફામ ફુઝૂલ ખર્ચાઓ કરવામાં આવતા હોવા છતાં, મહરનું પ્રમાણ યથાવત્‌ છે. જેથી ઘાંચી પંચ તરફથી બિરાદરીને ”મહરે ફાતિમી” માટે ભલામણ કરવામાં આવી છે, જેથી હેસિયતવાળા લોકો એનો અમલ કરે.

                સમાજના કેટલાક સંજિદા હઝરાતમાં આ બાબતે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે પંચે મહરનું પ્રમાણ વધારવું જોઈએ અને ઓછામાં ઓછું દસ ગ્રામ ચાંદી જેટલું રાખવું જોઈએ.

                તો આ સંદર્ભમાં, સમાજની જનરલ બોર્ડની મિટીંગમાં સર્વાનુમતે કે બહુમતે જો મહરનું પ્રમાણ વધારવાનું નકકી થાય તો તે શરીઅતની રૂએ પરવાનગીપાત્ર છે કે કેમ?

                વર્તમાન મોંઘવારીના સમયમાં રૂપિયા ૧૦પ૧/– (એક હજાર એકાવન) મહરની રકમ યોગ્ય નથી, તેવી વ્યાપક ચર્ચાઓના સંદર્ભમાં આ બાબતે ઈસ્લામના આદર્શ જીવન, બંધારણ અનુસાર માર્ગદર્શન આપી આભારી થશો.

જવાબ :– શરીઅતમાં મહરનું ઓછામાં ઓછું પ્રમાણ નકકી કરવામાં આવ્યુંં છે, જે અરબી જૂના વજન પ્રમાણે દસ દિરહમ ચાંદી છે. અને હિન્દુસ્તાની જૂના વજન મુજબ બે તોલા સાડા સાત માશા ચાંદી છે. અને હાલના નવા વજન મુજબ લગભગ ૩૧ ગ્રામ ચાંદી છે. અને રોકડ રકમ અથવા ચાંદી સિવાય બીજી કોઈ વસ્તુ મહરમાં નકકી કરવી હોય તો તે રકમ અથવા બીજી કોઈ વસ્તુ (જે તે સમયના ચાંદીના ભાવ મુજબ)  ૩૧ ગ્રામ ચાંદીની કિંમત બરાબર હોવી જોઈએ. અને તેનાથી ઓછી મહર નકકી કરવી જાઈઝ નથી. અને ૩૧ ગ્રામ ચાંદીથી વધુ પ્રમાણમાં મહર નકકી કરવાની કોઈ મર્યાદા નથી, પરંતુ મહરે ફાતિમી (૧૩૧ તોલા ૩ માશા ચાંદી અથવા તેની કિંમત) થી પણ વધુ પ્રમાણમાં મહર નકકી કરવી યોગ્ય નથી, કારણ કે એથી વધુ મહરને પસંદ કરવામાં નથી આવી. આ વિગત જોતા ચાંદીના હાલના ભાવ મુજબ એક હઝાર એકાવન રૂપિયા મહરને યોગ્ય ન ગણી શકાય, કારણ કે ચાંદી વર્તમાન ભાવ મુજબ ૩૧ ગ્રામ ચાંદીની કિંમતથી વધારે છે, પરંતુ સમાજના લોકો આથી વધુ પ્રમાણ નકકી કરવા માટે (મહરે ફાતિમી પ્રમાણ સુધી) દુલ્હા – દુલ્હનને ભલામણ કરી શકે છે, અલબત્ત તે માટે સમાજના બધા મર્દ ઓરતોને બંધન કરવા સમાજ – કમિટી માટે જાઈઝ નથી.            (શામી–ર)

નોટ :  આ સાથે ફતવો જે સામાજિક કમિટી માટે અભ્યાસ પાત્ર હોય રવાના કરું છું.

Log in or Register to save this content for later.