Chapter : નિકાહ
(Page : 245-246-247-248-249-250)
સવાલ :– મારું ગામ ઈલોલ, સાબરકાઠામાં મુખ્ય બે વિભાગ છે, બન્ને વિભાગમાં મસ્જિદ, મદ્રસાનો વહીવટ અલગ છે, મારા વિભાગ ઈલોલ (પહાડિયામાં) એહલે સુન્નત વલ જમાઅતની બે પાર્ટીઓ છે, એહલે સુન્નત વલ જમાઅત કદીમ, જેના લગભગ ૧રપ મકાન છે, બીજી પાર્ટી એહલે સુન્નત વલ જમાઅત જદીદ, જેના લગભગ ૪૦ મકાન છે. બન્ને પાર્ટીઓનો વહીવટ જુદો છે. બન્નેવનું બંધારણ પણ જુદું છે. હું એહલે સુન્નત વલ જમાઅત કદીમનો સભ્ય છું, જેમાં લગભગ ૬૦ ઉલમાએ કિરામ છે.
(૧) એહલે સુન્નત વલ જમાઅત કદીમે ૧રપ મકાન માટે ગામનું બંધારણ બનાવેલ છે, જેમાં એક નિયમ એ પણ છે કે એહલે સુન્નત વલ જમાઅતનો છોકરા–છોકરીની શાદી ૩૦ ગ્રામ સોના મહરમાં જ કરવી. માલદાર હોય કે ગરીબ, એક ભાઈ હોય કે અનેક ભાઈ હોય, દરેક માટે આ નિયમ છે અને ૩૦ (ત્રીસ) ગ્રામ સોના મહરમાંથી પાંચ ગ્રામ સોનું મહેરમાં રોકડું આપવું અને ગરીબ માણસ માટે એક બારી મુકવામાં આવી છે કે ગરીબ પાંચ ગ્રામ સોનું મહર રોકડું ન આપી શકતો હોય તો પ્રમુખશ્રીને જાણ કરે અને પ્રમુખ શ્રી તેને ગરીબ કહે તો તે માણસ (૩૦) ત્રીસે ત્રીસ ગ્રામ સોનું ઉધાર રાખી શકે છે. નહીં તો રપ ગ્રામ સોનું ઉધાર અને પાંચ ગ્રામ સોનું રોકડું આપવું, આ નિયમ છે, તો શું આ રીતે મહરનું નક્કી બંધારણ પૂરી કોમ (માલદાર હોય કે ગરીબ) માટે બનાવવું જાઈઝ છે કે ના જાઈઝ, તે સ્પષ્ટ જવાબ આપી પૂરી કૌમ ઉપર એહસાને અઝીમ ફરમાવશો.
(ર) અને ઉપર જણાવેલ મહર બીવી દસ વર્ષ સુધી માફ કરી જ નથી શકતી અને દસ વર્ષ પછી જયારે બીવી માફ કરવા ઈચ્છે તો બે ગવાહોની શાક્ષી વાળી સહી પ્રમુખશ્રીને લેખિત રજૂ કરે ત્યારે જ મહર દસ વર્ષ પછી માફ થઈ શકે, તેના પહેલાં તો ઉપર જણાવેલ મહર માફ થઈ જ શકતી નથી, તો શું આવો પણ કાનૂન બનાવવો જાઈઝ છે કે નાજાઈઝ તે લખી આભારી કરશો.
આ નિયમ બનાવવાની શું મસલેહત છે અને શું ફાયદો છે, તેમજ આ નિયમથી શું નુકસાન થઈ રહયું છે અને ભવિષ્યના જે નુકસાન અનુમાન થઈ રહયા છે, તે પણ આપને જણાવી દઉં.
ત્રીસ ગ્રામ સોનું મહરમાં રાખવાની મસ્લેહતો : પહેલાં જયારે મરજિયાત મહર હતી ત્યારે સ્ત્રીને તલાક પડતી, તો અમુક વાલી કોર્ટે જતાં અને ભરણ પોષણનો દાવો કરતાં, કોર્ટ પતિ પાસેથી ભરણ પોષણ લઈને પત્નીને આપતી. કેમકે મુતલ્લકાને જિંદગી ગુજારવા કોર્ટ સિવાય બીજો કોઈ આસરો ન હતો અને વારસો પણ મળતો નથી, આ જ સુધી કોઈ એક વ્યકિતએ વારસો આપ્યો નથી, તો ઓરતને વારસો ન મળે તો કોર્ટમાં જવાની જ, તો મહર ત્રીસ ગ્રામ રાખી. કારણ કે મુતલ્લકાનો વાલી કોર્ટમાં ન જાય અને ઓરતને બાપનો વારસો ન મળે તો પણ મુતલ્લકા આસાનીથી ૩૦ ગ્રામ સોના મહરમાં પોતાની જિંદગી ગુજારી શકે અને ૩૦ ગ્રામ સોનું મુતલ્લકા પાસે હોય તો ભાઈ પણ મુતલ્લકાને પોતાની પરવરિશમાં લે, પહેલા ગામના લોકો તલાક આપવા વાળા પાસેથી દંડ લેતા અને તે દંડ ઓરતને આપતા, તે નાજાઈઝ હતું, તો મહર ૩૦ ગ્રામ સોનું રાખી, જેથી મુતલ્લકાનો વાલી તલાક આપવાવાળા પાસેથી દંડ પણ ના માગી શકે. સામાન્ય અને નાની નાની બાબતોમાં જે તલાકો પડી શકતી હતી તે ૩૦ ગ્રામ સોનું મહરમાં રાખવાથી તો તલાકો રૂકેલી (પ્રતિબંધ) દેખાય છે, ગામના અમુક ઉલમાનું કહેવું છે કે ગરીબ માણસ જિંદગીભર આ મહર આપી ના શકયો અને તેની મોત આવી ગઈ તો તે નાદાર ગણાશે. અને ઈન્દલ્લાહ, ઈન્દન્નાસ તે પકડાશે નહીં. તો ૩૦ ગ્રામ મહર સોનું ગરીબ માટે શું નુકસાન છે? હવે હું ૩૦ ગ્રામ સોનું મહરમાં રાખવાના નુકસાનો બતાવું.
(૧) અમારી છોકરી બહાર પણ જઈ શકતી નથી, કારણ કે જે લેવા આવે તેને ૩૦ ગ્રામ મહર આપવી પડે. જેથી છોકરા બહારની છોકરીઓ લાવશે, કારણ કે બહાર ગામોમાં યાની અતરાફમાં મહર મરજિયાત છે. તો ગામની છોકરીઓનો ભવિષ્યમાં ભરાવો થશે, જેથી ઝિના અને બીજા ગુનાહ દેખાઈ રહયા છે.
(ર) ઉપરની મહર ગરીબ માણસ અદા કરી શકતો નથી, છતાં પણ તેને ફર્ઝ છે કે ૩૦ ગ્રામ મહર સોનું રાખે.
(૩) અમે સાત ભાઈ છે, એક એક ભાઈને બે, ત્રણ, ચાર, પાંચ, છ, અવલાદ એમ છે, તો કેટલા ગ્રામ સોનું મહરમાં જોઈએ, હાંલાકે મારી પાસે બધી મિલકત પણ તેટલી નથી, હજુ તો સાત ભાઈ વચ્ચે રહેવાના ત્રણ મકાન છે અને બધા ભાઈઓને હાલ મકાનની સખ્ત જરૂરત છે.
(૪) નાફરમાન નાશિઝા સ્ત્રીને તલાક કેવી રીતે આપવી, ત્રીસ ગ્રામ મહર સોનું તાત્કાલીક આપવું પડે, વળી બીજી બહાર ગામથી લાવે ત્યારે, કારણ કે ગામની લાવે તો બીજુ ૩૦ ગ્રામ સોનું મહર રાખવી પડે.
(પ) الدِّینُ یسر વાળી હદીસથી આ નિયમ ટકરાય છે.
(૬) فانکحوا ما طاب لکم من النساء વાળી આયત ઉપર અસર પડે છે, ચાર પત્નીઓ લાવવી હોય તો કેટલા ગ્રામ સોનું રોકડું અને કેટલા ગ્રામ સોનું ઉધાર જોઈએ.
(૭) ગરીબ માણસ માટે તલાકનો દરવાજો બિલકુલ બંધ થઈ જાય છે, ૬૦ ગ્રામ સોનું હોય ત્યારે જુનીને તલાક આપી નવી લાવી શકે.
(૮) વારસો આપો તેનો નિયમ બનાવો.
(૯) ૮૦% લોકો વ્યાજમાં પડેલા છે, માટે વ્યાજ ન ખાવું તે નિયમ બનાવો. ૩૦ ગ્રામ સોનું મહરના કારણે કૌમ વધુ વ્યાજમાં ફસાતી જણાય છે.
(૧૦) ફાહિશાને તલાક આપવી હોય તો શું કરવું?
(૧૧) નાની નાની બાબતોમાં તલાક રોકવાથી ફાયદો, પણ મોટી બાબતમાં તલાક કેવી રીતે આપવી, તલાક આપવાની સાથે ૩૦ ગ્રામ સોનું મહર રોકડું આપવું પડે.
(૧ર) અમારા પીર જે મુંબઈવાસી હતા, આલીમ ન હતા ઉપરની બુરાઈઓ હતી, જેનાથી બચવા આ મહર રાખવાનો મશ્વરો આપેલો.
ઉપરના ફાયદા, મસ્લિહતો અને નુકસાનો આપને જણાવ્યા, પરંતુ અમે તો જાહિલ છીએ, આપ અમોને કુર્આન અને હદીસથી ઉપરનો નિયમ જાઈઝ છે કે ના જાઈઝ તે જવાબ આપી શુક્રિયાનો મોકો આપશો.
નોંધ :– અમારા જિલ્લામાં અમારી બિરાદરીના દસ ગામ છે. જયાં અમારા ગામના ઉલમાથી પણ મોટા આલિમો છે, ત્યાં આવો નિયમ નથી, આ નિયમ બનાવવામાં અમારા ગામના અમુક ઉલમા સંમત છે અને અમુક સંમત નથી.
જવાબઃ– શરઈ દ્રષ્ટિએ નિકાહની મહર એ ઓરતોનો હક છે, મહરનું ઓછામાં ઓછું પ્રમાણ શરીઅતે નક્કી કરી દીધું છે અને તે દસ દિરહમ ચાંદી છે, જેની અઢી તોલા દોઢ માશા ચાંદી થાય છે. અને નવા વજન પ્રમાણે ૩૧ ગ્રામ ચાંદી થાય છે, મહરના વધુથી વધુ પ્રમાણની કોઈ મર્યાદા નથી, ગમે તેટલા વધુ પ્રમાણમાં મર્દ અને ઓરત રાજી ખુશીથી રાખી શકે છે, જો કે ઘણી ઊંચી મહર નક્કી કરવી ઈચ્છનીય અને કરાહતથી ખાલી નથી.
બાલિગ મર્દ અને ઓરતના નિકાહમાં દસ દિરહમ ચાંદીથી વધારે મહરનું કોઈ પણ પ્રમાણ નક્કી કરવાનો અધિકાર નિકાહ કરનાર મર્દ અને ઓરતને છે, તેઓ બન્ને પરસ્પરની રાજીખુશીથી દસ દિરહમ અથવા દસ દિરહમ ચાંદીથી વધારે જે કંઈ મહર નક્કી કરવા ચાહે તે કરી શકે છે. તેઓની ઈચ્છા અને મરજી વિરૂધ્ધ જઈને અને શરીઅતે નક્કી કરેલા કમથી કમ પ્રમાણને છોડીને કમથી કમ મહરનું બીજુ કોઈ ખાસ પ્રમાણ નક્કી કરવું અને જમાઅતના દરેક મર્દ અને ઓરતને તેટલા જ પ્રમાણમાં મહર લેવા – દેવાના પાબંદ કરવા એ શરીઅતની રૂએ જાઈઝ નથી.
અલબત્ત, જો કોઈ છોકરી પોતાની મહરે મિસ્લથી ઓછા પ્રમાણમાં મહર નક્કી કરી લે અને છોકરીનો વાલી મહરે મિસ્લથી ઓછી મહર નક્કી કરવાથી રાજી ન હોય તો તે શરઈ કાઝી અને તે ન હોય તો શરઈ પંચાયત સમક્ષ મહર ઓછી હોવા બાબત પૂરી મહરે મિસ્લ આપવા છોકરાને પાબંદ કરી શકે છે. (શામી–ર/૩ર૪)
કોઈ છોકરીની મહરે મિસ્લ એટલે છોકરીના પોતાના જ ખાનદાનમાંથી એવી ઓરતની નક્કી થયેલી મહર કે જે ઓરત તેના નિકાહ વખતે જાહિરી અને બાતિની ગુણો એટલે કે ઉમર, ખૂબસૂરતી, માલદારી, સમજદારી, દીનદારી, કુંવારી કે પરણિત હોવું, પાકદામન, ઈલ્મ, અખ્લાક વિગેરે ગુણો પોતાના બરાબર ધરાવતી હોય. (શામી–ર/૩પ૪)
(ર) ઓરત કોઈ જાતના દબાણ વગર પોતાની જમાઅતની રજા વગર મહર માફ કરી શકે છે, અમુક મુદ્દત સુધી મહર માફ કરવા ઉપર જમાઅતનો પ્રતિબંધ મુકવો જાઈઝ નથી, અલબત્ત, જમાઅત કમિટી એક સલાહ અને મશ્વરો આપી શકે છે.
Log in or Register to save this content for later.