[ર૦ર] મહરનું લઘુત્તમ અને ગુરૂત્તમ પ્રમાણ

Chapter : નિકાહ

(Page : 240-241-242)

સવાલ :– શરીઅતમાં મહરનું ઓછામાં ઓછું અને વધુમાં વધુ પ્રમાણ કેટલું છે? અને તે પ્રમાણ રૂપિયાની ચલણી નોટોથી નકકી કરવામાં આવશે કે ચાંદીથી નકકી કરવામાં આવશે? પૂછવાનું કારણ એ છે કે ઘણા સમયથી સાધારણ રીતે ૧ર૭ રૂપિયા મહર નકકી કરવામાં આવે છે અને હાલની મોંઘવારીમાં ચાંદીના ભાવમાં પણ ઘણો વધારો થયો છે, જેથી વિગતથી ચોખવટ કરશો.

જવાબ :– સુનને બયહકીમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નુ ફરમાન છે કે ”લા મહર અકલ્લ મિન અશ્‍રતિ દરાહિમ” જેનો ભાવાર્થ એ છે કે કોઈ પણ મહર દસ દિરહમથી ઓછી ન હોવી જોઈએ અને મજકૂર હદીષના આધારે ફિકહની કિતાબોમાં પણ મહરનું ઓછામાં ઓછું પ્રમાણ દસ દિરહમ લખવામાં આવ્યું છે. (શામી–ર)

                નબવી યુગમાં એક ચોકકસ પ્રમાણમાં ચાંદીના સિકકાને દિરહમ કહેવામાં આવતો હતો અને હઝરત મવલાના મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.)ની સંપૂર્ણ વિશ્વાસ પાત્ર અને ખૂબ જ કાળજીપૂર્વક કરેલી વિસ્તૃત તહકીક મુજબ એક દિરહમનું વજન હિન્દુસ્તાની જુના વજન પ્રમાણે ત્રણ માશા, એક પૂર્ણાંક રતી અને ૧/પ રતી થાય છે અને એ હિસાબે દસ દિરહમની ચાંદી જૂના વજન મુજબ અઢી તોલા અને દોઢ માશા ચાંદી થાય છે.               (જ.ફિકહ–૧/૪ર૩)

                આજ કાલ પ્રચલિત મેટ્રિક પધ્ધતિના નવા તોલમાપના હિસાબે એક તોલો ૧૧.૬૬ ગ્રામ બરાબર થાય છે અને એ હિસાબે મહરનું ઓછામાં ઓછું પ્રમાણ એટલે દસ દિરહમની ચાંદીનું પ્રમાણ નવા તોલમાપના હિસાબે ૩૦.૬૧ ગ્રામ થાય છે અને ગ્રામની કસરને પૂરા ગ્રામ ગણી લેવામાં આવે તો પૂરી ૩૧ ગ્રામ ચાંદી થાય છે.

                મહરનું ઓછામાં ઓછું પ્રમાણ ઉપરની વિગત મુજબ ચાંદીથી નકકી કરવામાં આવશે, જો મહરમાં ચલણી નોટો નકકી કરવી અને આપવી હોય તો કમથી કમ એટલા પ્રમાણમાં નોટો નકકી કરવી જરૂરી છે કે જે તે દિવસના ચાંદીના ચાલુ બજાર ભાવ પ્રમાણે ૩૧ ગ્રામ ચાંદીની કિંમતના બરાબર હોય.

                ૧ર૭ ચાંદીના રૂપિયા એક સમયમા મહરે ફાતમી ગણાતી હતી, જયારે ખાલિસ ચાંદીનો રૂપિયો પ્રચલિત હતો. ખાલિસ ચાંદીનો રૂપિયો બંધ થયા પછી પણ ૧ર૭ રૂપિયા ચલણી નોટોના રૂપમાં મહર તરીકે નકકી કરવાનો સિલસિલો બાકી રહયો, જેને આજકાલ મહરે મિસ્લ તો કહી શકાય છે, પરંતુ હવે તેને મહરે ફાતમી કેહવી દુરસ્ત નથી અને જો કોઈ વખત ચાંદીનો ભાવ એટલો વધી જાય કે ૧ર૭ રૂપિયાની ચલણી નોટોથી ૩૧ ગ્રામ ચાંદી ન ખરીદી શકાય તો આ સૂરતમાં ૧ર૭ રૂપિયા મહર નકકી કરવી દુરસ્ત નહિ ગણાય, બલ્કે એટલા રૂપિયા નકકી કરવા જરૂરી છે જેનાથી ૩૧ ગ્રામ ચાંદી ખરીદી શકાય.

                મહરના વધુમાં વધુ પ્રમાણની કોઈ હદ નકકી નથી. ૩૧ ગ્રામ ચાંદીથી અથવા તેની કિંમતથી ગમે તેટલા વધુ પ્રમાણમાં મહર નકકી કરી શકાય છે, અલબત્ત ઘણી જ ઉંચી અહિંયા સુધી કે મહરે ફાતમી અને મહરે મસ્નૂનથી પણ ઘણા વધુ પ્રમાણમાં મહર નકકી કરવી મકરૂહ છે. જો વધુ મહર નકકી કરવી જ હોય તો બેહતર અને અફઝલ એ છે કે સુન્‍નતના મુતાબિક મહરેનબવી અને મહરે ફાતમી નકકી કરવામાં આવે અને મહરે મસનૂનનુંુ પ્રમાણ એકસો એકત્રીસ તોલા ત્રણ માશા ચાંદી છે અને આજની ચલણી નોટો નકકી કરવી હોય તો મજકૂર વજનની ચાંદીની કિંમતના બરાબર ચલણી નોટો નકકી કરવામાં આવે.  (ઈ.મુફતીન–પ૬૩)

Log in or Register to save this content for later.