[રપ૮] કુરબાની વાજિબ થવાના મસાઈલ

Chapter : કુરબાની

(Page : 327to340)

સવાલઃ– કેવા મુસલમાન મર્દ – ઔરત ઉપર કુરબાની વાજિબ છે અને કોના ઉપર વાજિબ નથી.?

જવાબઃ– જે મુસલમાન મર્દ અથવા ઔરત કુરબાનીના દિવસોમાં આકિલ (બુધ્ધિમાન), બાલિગ, મુકીમ અને માલદાર હોય તેના ઉપર કુરબાની વાજિબ છે. માટે પાગલ, નાબાલિગ છોકરા, છોકરી,મુસાફિર અને શરઈ દ્રષ્ટિએ ગરીબ મુસલમાન ઉપર કુરબાની વાજિબ નથી.    (બદાઈઅ–૪)

સવાલઃ– આકિલ, બાલિગ, માલદાર અને મુકીમ હોય એવા મુસલમાન ઉપર કુબાની વાજિબ છે તો મુકીમ  કોને કહેવાય?

જવાબઃ– જે મુસલમાન પોતાના વતનથી શરઈ સફર એટલે કે ૭૭ કિ.મી. ર૪૯ મીટરના અંતરની મુસાફરી કરી કોઈ આબાદીમાં લગાતાર પંદર દિવસ રહેવાની નિય્યતથી રહેતો હોય તે પણ મુકીમ કહેવાય છે અને જે માણસ મઝકૂર અંતરથી ટૂંકા સફરમાં હોય તે પણ મુકીમના જ હુકમમાં ગણાશે અને મઝકૂર મુકીમ મુસલમાન જો આકિલ, બાલિગ અને માલદાર હશે તો તેની ઉપર કુરબાની વાજિબ થશે. (શામી ૧/પ)

સવાલ :– હાજી ઉપર ઈદની કુરબાની વાજિબ છે કે નહિ? અને ઈદની કુરબાની વતનમાં કરાવી શકે કે નહિ?

જવાબ :– જે માલદાર હાજીની નિય્યત મકકહ મુર્કરમહ પહોંચીને ત્યાંથી જિદ્દહ અથવા મદીનહ મુનવ્વરહ જતાં પહેલાં લગાતાર પંદર દિવસ મકકહ, મિના અરફાત અને મુજદલિફહમાં રહેવાની હોય તે હાજી મુકીમ ગણાશે, માટે તેમની ઉપર તમત્તુઅ અથવા કિરાન હજની કુરબાની સિવાય ઈદની કુરબાની પણ વાજિબ ગણાશે અને તેમણે ફર્ઝ નમાઝો પણ પૂરી પઢવી પડશે, અલબત્ત, તેમણે પોતાની ઈદની વાજિબ કુરબાની પોતાના વતનમાં કરાવવી પણ જાઈઝ છે.

સવાલ :– હજ, તબ્લીગ વેપાર વગેરે હેતુથી દેશ વિદેશનો સફર કરનાર મુસલમાન કયારે મુસાફિર ગણાશે અને મુસાફિર હોવાથી તેની ઉપર કુરબાની વાજિબ થશે કે નહિ?

જવાબ :– જે આકિલ, બાલિગ, માલદાર મુસલમાન કુરબાનીના દિવસોમાં મુસાફિર હોય એટલે કે પોતાના વતનથી ૪૮ માઈલ (૭૭ કિ.મી. ર૪૯ મીટર) અથવા તેથી વધુ અંતરની મુસાફરીમાં હોય અથવા મજકૂર અંતરની મુસાફરી કરીને કોઈ જગ્યાએ પંદર દિવસથી ઓછી મુદ્દત માટે રોકાયો હોય તે મુસાફિર ગણાશે અને તેની ઉપર કુરબાની વાજિબ નહિ થાય, માટે જે માલદાર મુસલમાન ઉપર મુજબ તબ્લીગી કે તિજારતી સફરમાં હોય તેની ઉપર કુરબાની વાજિબ નથી. એવી જ રીતે જે હાજીએ પોતાના વતનથી અથવા મદીનહ મુનવ્વરહથી હજ માટે મકકહ મુકર્રમહ પહોંચીને પંદર દિવસ પહેલાં જિદ્દહ અથવા મદીનહ મુનવ્વરહ જવાનું હોય તેની ઉપર પણ કુરબાની વાજિબ નથી, કારણ કે કુરબાનીના દિવસોમાં તે મુસાફિર ગણાશે.      (શામી–૧/પ)

સવાલ :– જે મુસલમાન કુરબાનીના શરૂ વખતમાં પોતાના વતનમાં મુકીમ હતો અને છેલ્લા વખતમાં લાંબી મુસાફરી કરી તો તેના ઉપર કુરબાની વાજિબ ગણાશે કે નહિ?

 જવાબ :– જે આકિલ, બાલિગ, માલદાર, મુસલમાન કુરબાનીના શરૂના વખતમાં મુકીમ હોય અને કુરબાની કરતા પહેલાં કુરબાનીના છેલ્લા સમયમાં શરઈ મુસાફિર થઈ ગયો તો હવે તેના ઉપર કુરબાની વાજિબ નહિ ગણાય. (આલમગીરી–પ)

સવાલ :– જે મુસલમાન કુરબાનીના શરૂ દિવસોમાં મુસાફિર હતો અને છેલ્લા દિવસે મુકીમ થઈ ગયો તો તેના ઉપર કુરબાની વાજિબ ગણાશે કે નહિ?

જવાબ :– મઝકૂર પ્રકારના માલદાર મુસલમાન ઉપર મુકીમ થઈ ગયા પછી કુરબાની વાજિબ ગણાશે. (આલગમીરી–પ)

સવાલ :– છોકરો અથવા છોકરી બાલિગ થાય અને તે આકિલ અને માલદાર હોય તો તેના ઝિમ્મે કુરબાની વાજિબ થઈ જાય છે, તો તે બાલિગ કયારે ગણાશે?

જવાબ :– જે છોકરા – છોકરીની ઉમર ઈસ્લામી તારીખ મુજબ પૂરા પંદર વર્ષની થાય ત્યારે તે બાલિગ ગણાય છે અને છોકરાની ઉંમર ઈસ્લામી પંદર વર્ષથી ઓછી હોય, પરંતુ તેને એહતિલામ થાય અને છોકરીની ઉંમર પંદર વર્ષથી નાની હોય, પરંતુ તેને માસિક આવે તો તેવા છોકરા – છોકરી પણ બાલિગ ગણાશે, જો તે આકિલ, માલદાર અને મુકીમ હશે તો તેની ઉપર કુરબાની વાજિબ ગણાશે. (શામી–પ)

સવાલ :– પુત્ર–પુત્રી તરફથી કુરબાની કરવાની જવાબદારી તેના પિતાની અને પત્ની તરફથી કુરબાની કરવાની જવાબદારી તેના પતિની છે કે નહિ?

જવાબ :– આકિલ, બાલિગ, મુકીમ, માલદાર પુત્ર – પુત્રીએ અને પત્નીએ પોતાની વાજિબ કુરબાની પોતાના માલમાંથી પોતે કરવાની રહેશે, તેમના તરફથી કુરબાની કરવાની જવાબદારી તેમના પિતાની કે પતિની નહિ ગણાય. અલબત્ત, તેમના પિતા કે પત્નીના પતિ તેમની ઈજાઝત લઈને તેમની વાજિબ કુરબાની કરવા ચાહે તો કરી શકે છે.

સવાલ :– કુરબાની વાજિબ થવા પાત્ર માલદારીના નિસાબમાં કઈ કઈ વસ્તુઓ ગણવામાં આવશે?

જવાબ :– કુરબાની વાજિબ થવા પાત્ર માલદારીના નિસાબમાં સોનું, ચાંદી, રોકડ રકમ, વેપારનો માલ–સામાન, કંપનીના શેરો જરૂરતથી વધારાનું ઘર પ્લોટ (ગભાણ), જરૂરતથી વધારાનું સ્કૂટર, સાઈકલ, ગાડી, ટ્રેકટર, ઘોડો, બળદ, કપડાં, વાસણો, પલંગ, તકિયા, વધારાનું ફર્નિચર અને અન્ય વધારાની વસ્તુઓ ગણવામાં આવશે. (શામી – પ, આલમગીરી–પ, બઝ્‌ઝાઝિયહ વગેરે)

સવાલ :– મુસલમાન પાસે કેટલા પ્રમાણમાં સોનું હોવાથી તે માલદાર ગણાય છે? અને તેના ઝિમ્મે કુરબાની વાજિબ થાય છે?

જવાબ :– જે આકિલ, બાલિગ, મુકીમ મુસલમાન મર્દ – ઔરત પાસે  કુરબાનીના દિવસોમાં કુરબાની વાજિબ થવા પાત્ર માલમાંથી ફકત સાડા સાત તોલા (૮૭ ગ્રામ, ૪૮૦મિલી ગ્રામ) અથવા તેથી વધુ સોનું હોય અને તે કર્ઝ મુકત હોય તો તે માલદાર છે અને તેના ઉપર કુરબાની વાજિબ છે.        (શામી–પ)

સવાલઃ– કોઈ આકિલ, બાલિગ, મુકીમ મુસલમાન પાસે કુરબાની વાજિબ થવા પાત્ર માલમાંથી કેટલા પ્રમાણમાં ચાંદી હોય તો તે માલદાર ગણાય અને તેના ઝિમ્મે કુરબાની વાજિબ થાય?

 જવાબ :– મઝકૂર પ્રકારના મુસલમાન પાસે કુરબાનીના દિવસોમાં કુરબાની વાજિબ થવા પાત્ર માલમાંથી સાડા બાવન તોલા (૬૧ર ગ્રામ – ૩૬૦મિલી ગ્રામ) અથવા તેથી વધુ ફકત ચાંદી હોય અને તે કર્ઝ મુકત હોય તો તે માલદાર ગણાશે અને તના ઉપર કુરબાની વાજિબ થશે.     (શામી,પ)

સવાલઃ– કોઈ આકિલ, બાલિગ, મુકીમ મુસલમાન પાસે કેટલા રોકડ રૂપિયા હોય તો તે માલદાર ગણાય અને તેની ઉપર કુરબાની વાજિબ થાય?

જવાબઃ– મઝકૂર પ્રકારના મુસલમાન પાસે કુરબાનીના દિવસોમાં ચાલતા ચાંદીના ભાવથી સાડા બાવન તોલા અથવા તેથી વધુ ચાંદીની કિંમતના બરાબર ફકત રોકડા રૂપિયા હોય અને તે કર્ઝ મુકત હોય તો તે માલદાર ગણાશે અને તેના ઝિમ્મે કુરબાની વાજિબ ગણાશે. (શામી, પ)

સવાલઃ–  મુસલમાન દુકાનદાર પાસે કેટલા પ્રમાણમાં વેપારનો માલ હોવાથી તે માલદાર ગણાય છે અને તેના ઝિમ્મે કુરબાની વાજિબ થાય છે?

જવાબઃ– આકિલ, બાલિગ, મુકીમ મુસલમાન પાસે કુરબાની વાજિબ થવા પાત્ર માલમાં સાડા બાવન તોલા (૬૧ર ગ્રામ – ૩૬૦મીલી ગ્રામ) અથવા તેથી વધુ કિંમતનો માત્ર વેપારનો  માલ હોય અને તે કર્ઝ મુકત હોય તો તે માલદાર ગણાય છે અને તેના ઉપર કુરબાની વાજિબ થાય છે.     (શામી–પ)

સવાલ :– મુસલમાન શેરધારક પાસે કેટલી કિંમતના શેર હોવાથી માલદાર ગણાય છે અને તેના ઉપર કુરબાની વાજિબ થાય છે ?

જવાબઃ– મજકૂર પ્રકારના મુસલમાન પાસે કોઈ એક કે અનેક કંપનીઓના શેરો હોય અને તે શેરોની કુરબાનીના દિવસોમાં જે કિંમત થતી હોય, તે કિંમતમાંથી એટલો ભાગ ખરીદ – વેચાણ માટેના કાચા અને તૈયાર માલમાં અને રોકડ મૂડીમાં લાગેલો હોય જે સાડા બાવન તોલા અથવા તેથી વધુ ચાંદીની કિંમતના બરાબર હોય અને તે કર્ઝ મુકત હોય તો તે માલદાર ગણાશે અને તેના ઝિમ્મે કુરબાની વાજિબ ગણાશે. (બઝ્‌ઝાઝિય્યહ કમ હિંદિય્યહ –૬)

સવાલઃ– જે મુસલમાન પાસે ઉપરોકત પ્રમાણમાં ચાંદીની કિંમત બરાબર અથવા તેથી વધુ કિંમતનું એવું ઘર અથવા ગભાણ (પ્લોટ) હોય જે તેના રહેવાના ઘર સિવાય હોય તો તે માલદાર ગણાય કે નહિ? અને તેના ઉપર કુરબાની વાજિબ થાય કે નહિ?

 જવાબ :– જે આકિલ, બાલિગ, મુકીમ મુસલમાન પાસે રહેવાના ઘર ઉપરાંત વધારાનું અથવા વેચવાનું ઘર અથવા ગભાણ (પ્લોટ) હોય અને તે સાડા બાવન તોલા અથવા તેથી વધુ ચાંદીની કિંમત બરાબર હોય અને તે કર્ઝ મુકત હોય તો તે માણસ માલદાર ગણાશે અને તેના ઉપર કુરબાની વાજિબ થશે. (આલમગીરી–પ)

સવાલઃ– જે મુસલમાન પોતાની માલિકીનું રહેવાનું ઘર છોડી બીજા સ્થળે ભાડાના ઘરમાં રહેતો હોય તો તેના ઉપર કુરબાની વાજિબ થશે કે નહિ ?

જવાબ :– જે આકિલ, બાલિગ, મુકીમ મુસલમાને પોતાનું રહેવાનું ઘર બીજાને ભાડે અથવા વાપરવા આપેલું હોય અથવા તે ખાલી પડેલું હોય અને કર્ઝ મુકત રીતે તે ઘરની કિંમત સાડા બાવન તોલા અથવા તેથી વધુ ચાંદીની કિંમતના બરાબર હોય તો તે માણસ આ ઘરના કારણે માલદાર ગણાશે અને તેના ઉપર કુરબાની વાજિબ ગણાશે. (બઝ્‌ઝાઝિય્યહ કમ હિંદિય્યહ–૬)

સવાલઃ– જે મુસલમાન પાસે ભાડાની આવક માટે મકાનો અથવા દુકાનો હોય તો તે માલદાર ગણાય? અને તેની ઉપર કુરબાની વાજિબ થાય કે નહિ?

જવાબ :– જે મુસલમાન પાસે ભાડાની આવક માટે મકાનો અથવા દુકાનો હોય અને તેની આવકથી તેની પૂરા વર્ષની ખાવા,પીવા, પહેરવા વગેરે જરૂરતો પૂરી થતી હોય અને તે આવકમાંથી કુરબાનીના દિવસોમાં સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર બચત હોય તો તે બચત કર્ઝ મુકત હોય તો તે મુસલમાન આવી બચતના કારણે માલદાર ગણાશે અને તેના ઝિમ્મે કુરબાની વાજિબ થશે.    (આલમગીરી–પ, શામી–ર)

સવાલ :– જે મુસલમાન પાસે ખેતીની જમીન હોય, શું તે માલદાર ગણાય ? અને શું તેના ઉપર કુરબાની વાજિબ થાય કે નહિ?

જવાબઃ– જે આકિલ, બાલિગ, મુકીમ મુસલમાન પાસે પોતાની ખેતીની જમીન હોય અને તેની આવકથી તેની વાર્ષિક જરૂરતો પૂરી થતી હોય અને કુરબાનીના દિવસોમાં તેની પાસે સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર બચત હોય અને તે કર્ઝ મુકત હોય તો તે બચતના કારણે તે માલદાર ગણાશે અને તેના ઝિમ્મે કુરબાની વાજિબ ગણાશે. (શામી–ર,  આલમગીરી–પ)

સવાલઃ– જે મુસલમાન પાસે પોતાની સવારી માટે સ્કૂટર, ગાડી, સાયકલ કે ઘોડામાંથી કોઈ એક કે અનેક વસ્તુઓ હોય તો તે માલદાર ગણાય કે નહિ ? અને તેના ઉપર કુરબાની વાજિબ થાય કે નહિ?

જવાબઃ– જે આકિલ, બાલિગ, મુકીમ મુસલમાન પાસે પોતાની સવારી માટે મઝકૂર વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ હોય તો તે તેની જરૂરતોમાં શામેલ ગણાશે, તેને માલદારીના નિસાબમાં નહિ ગણાય. અલબત્ત, જો તેની પાસે પોતાની સવારીના ઉપયોગ માટે બે સ્કૂટરો, બે ગાડીઓ, બે સાઈકલો, બે ઘોડાઓ હોય તો બેમાંથી એક સાધન માલદારીના નિસાબમાં ગણાશે અને તેની કિંમત કર્ઝ મુકત રીતે સાડા બાવન તોલા (૬૧ર ગ્રામ – ૩૬૦ મીલી ગ્રામ) ચાંદીની કિંમત બરાબર હશે તો તે બીજા સાધનના કારણે માલદાર ગણાશે અને તેના ઉપર કુરબાની વાજિબ ગણાશે.         (આલમગીરી–પ)

સવાલ :– જે મુસલમાન પાસે પોતાના ઉપયોગ માટે માલવાહક સાધન હોય, જેમકે ટ્રેકટર કે ટેમ્પો તો તે માલદાર ગણાય કે નહિ ? અને તેના ઉપર કુરબાની વાજિબ થાય કે નહિ?

જવાબ :– જે આકિલ, બાલિગ, મુકીમ, મુસલમાન પાસે પોતાના ઉપયોગ માટે કોઈ એક માલવાહક સાધન હોય તો કુરબાની વાજિબ થવા પાત્ર માલદારીના નિસાબમાં નહિ ગણાય, બલ્કે તેની જરૂરતોમાં શામેલ ગણાશે. અલબત્ત, જો તેની પાસે બે માલવાહક સાધનો હોય જેમકે બે ટ્રેકટરો, બે ટેમ્પા હોય તો એક સાધન જરૂરતનું ગણાશે અને બીજુ સાધન વધારાનું ગણાશે અને તે કુરબાની વાજિબ થવા પાત્ર માલદારીના નિસાબમાં ગણવામાં આવશે, જો બીજા વધારાના સાધનની કિંમત કર્ઝ મુકત રીતે સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર હશે તો તેવો મુસલમાન માલદાર ગણાશે અને તેના ઝિમ્મે કુરબાની વાજિબ ગણાશે. (આલમગીરી–પ)

સવાલ :– જે મુસલમાન પાસે ભાડાની આવક માટે સવારીનું અથવા માલ હેરાફેરીનું સાધન હોય તો તે કુરબાની વાજિબ થવા પાત્ર માલદાર ગણાશે કે નહિ?

જવાબ :– જે આકિલ, બાલિગ, મુકીમ, મુસલમાન પાસે ભાડાની આવક માટે સવારીનું અથવા માલ હેરાફેરીનું એક અથવા અનેક સાધનો હોય તો તે ભાડા આવક માટેની દુકાન અને મકાનની જેમ કુરબાની વાજિબ થવા પાત્ર માલદારીના નિસાબમાં નહિ ગણાય, ચાહે તે સાધનો ગમે તેટલી કિંમતના હોય. અલબત્ત, જો ભાડા બચત વગેરે રોકડ રકમ કુરબાનીના દિવસોમાં કર્ઝ મુકત રીતે ૬૧ર ગ્રામ – ૩૬૦  મીલી ગ્રામ ચાંદીની કિંમતના બરાબર અથવા તેથી વધુ હશે તો તે માણસ માલદાર ગણાશે અને તેના ઝિમ્મે કુરબાની વાજિબ થશે.  (શામી–ર)

સવાલ :– જે મુસલમાન ખેડૂત પાસે બળદ હોય તો તે કુરબાની વાજિબ થવા પાત્ર માલદાર ગણાશે કે નહિ?

જવાબ :– જે આકિલ, બાલિગ, મુકીમ મુસલમાન ખેડૂત પાસે બે બળદ હોય તો તે તેની જરૂરતમાં શામેલ ગણાશે, માલદારીના નિસાબમાં નહિ ગણાય. અલબત્ત, જો તેની પાસે બેથી વધુ બળદ હશે તો તે વધારાની વસ્તુ તરીકે કુરબાની વાજિબ થવા પાત્ર માલદારીના નિસાબમાં ગણાશે, જો તે વધારાના બળદની કિંમત કર્ઝ મુકત રીતે સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર અથવા તેથી વધુ હશે તો તે માલદાર ગણાશે અને તેના ઉપર કુરબાની વાજિબ થશે. (આલમગીરી – પ)

સવાલ :– જે માણસ પાસે સીવેલા કપડાં ઘણા જોડ છે અને કાપડના પીસ પણ ઘણા છે અને તે વેપારના નથી, બલ્કે ભેટ તરીકે મળેલ છે, તો તે કુરબાની વાજિબ થવા પાત્ર માલદાર ગણાશે કે નહિ?

જવાબ :– જે આકિલ, બાલિગ, મુકીમ, મુસલમાન મર્દ ઔરત પાસે ત્રણ જોડથી વધારે સીવેલા અથવા વગર સીવેલા માત્ર કપડાં (નિસાબમાં બીજું કંઈ ન હોય) એટલા હોય કે તેની કિંમત કર્ઝ મુકત રીતે સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર અથવા તેથી વધુ હોય તો તે કુરબાની વાજિબ થવા પાત્ર માલદાર ગણાશે અને તેના ઝિમ્મે કુરબાની વાજિબ થશે.         (બઝ્‌ઝાઝિય્યહ કમ હિન્દિય્યહ – ૬)

સવાલ :– જે મુસલમાન પાસે ઝરૂરતથી વધારે અમૂક વાસણો, પલંગ, ગોદડાં, કપડાં, તકિયા હોય તો તે કુરબાની વાજિબ થવા પાત્ર માલદાર ગણાશે કે નહિ?

જવાબ :– જે આકિલ, બાલિગ, મુકીમ મુસલમાન પાસે જરૂરતથી વધારાના અમૂક વાસણો, અમૂક પલંગ, અમૂક ગોદડાં, તકિયા, ત્રણ જોડથી વધુ અમૂક કપડાં હોય (નિસાબમાં બીજુ કંઈ ન હોય) અને આ બધુ મળી કુલ એટલી કિંમતનું હોય કે તે કર્ઝ મુકત રીતે સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર હોય તો તે કુરબાની વાજિબ થવા પાત્ર માલદાર ગણાશે અને તેના ઝિમ્મે કુરબાની વાજિબ થશે. (આલમગીરી–પ)

સવાલ :– જો કોઈ મુસલમાન પાસે કુરબાની વાજિબ થવા પાત્ર નિસાબમાં શામેલ ગણાતી હોય એવી વિવિધ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ પણ માલદારીના નિસાબ બરાબર ન હોય, પરંતુ તેની પાસે તેમાંથી અનેક વસ્તુઓ નિસાબથી ઓછા પ્રમાણમાં હોય અને તે અનેક થોડી થોડી વસ્તુઓ ભેગી ગણવામાં આવે તો નિસાબના પ્રમાણમાં થઈ જાય તો તેવા મુસલમાન ઉપર કુરબાની વાજિબ થાય કે નહિ?

જવાબઃ– ઉપરોકત સવાલો અને જવાબોમાં જે અનેક વસ્તુઓ કુરબાની વાજિબ થવા પાત્ર માલદારીના નિસાબમાં ગણવામાં આવી છે તો તેમાંથી કોઈ એક પણ વસ્તુ નિસાબના પ્રમાણમાં ન હોય, પરંતુ જે આકિલ, બાલિગ, મુકીમ મુસલમાન પાસે તે અનેક વસ્તુઓમાંથી કોઈ બે અથવા બેથી વધુ વસ્તુઓ થોડી થોડી મળીને સાડા બાવન તોલા (૬૧ર ગ્રામ – ૩૬૦ મીલી ગ્રામ) ચાંદીની કિંમત બરાબર હોય. જેમ કે કોઈ મુસલમાન પાસે મઝકૂર અનેક વસ્તુઓમાંથી સાડા સાત તોલાથી ઓછું સોનું અને સાડા બાવન તોલા ચાંદીથી ઓછી ચાંદી હોય અને તે બન્‍નવની કિંમત કર્ઝ મુકત રીતે સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર હોય અથવા કોઈ મુસલમાન પાસે મઝકૂર નિસાબથી ઓછુ સોનું અને નિસાબથી ઓછા રોકડ રૂપિયા હોય અને જો સોનાની કિંમત અને રોકડ રૂપિયા મળીને સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર હોય તો તે મુસલમાન માલદાર ગણાશે અને તેની ઉપર કુરબાની વાજિબ ગણાશે.       (શામી – ર)

સવાલ :– જે મુસલમાનની બેંકમાં રકમ જમા હોય અથવા બચતપત્રો, વિકાસપત્રો, સર્ટીફિકટો અને બોન્ડઝમાં મૂડી રોકાણ હોય તેના ઉપર કુરબાની વાજિબ થાય કે નહિ?

જવાબ :– જે આકિલ, બાલિગ મુકીમ મુસલમાનની રકમ બેંકના ફિકસ, સેવીંગ અથવા કરન્ટ ખાતાઓમાંથી કોઈ પણ ખાતામાં જમા હોય અથવા તેની રકમના બચતપત્રો, વિકાસપત્રો, નેશનલ સર્ટીફિકટો અને નર્મદા બોન્ડઝ વગેરેમાં રોકાણ હોય (અને તે સિવાય માલદારીના નિસાબમાં બીજુ કંઈ ન હોય) અને તે મૂડી રોકાણ સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર હોય અને તે કર્ઝ મુકત હોય તો તે મુસલમાન માલદાર ગણાશે અને તેના ઉપર કુરબાની વાજિબ થશે.(શામી – ર)

સવાલ :– કયા પ્રકારની ઉધાર રકમ કુરબાની વાજિબ થવાના નિસાબમાં શામેલ કરવામાં નહિ આવે?

જવાબ :– ઓરતની ઉધાર મહર, નોકરિયાતના પ્રોવિડન્ડ ફંડની જમા રકમ, કોઈ ભાડાના કે એજન્સી વગેરેના કારોબારમાં ડિપોઝિટ રૂપે મૂકેલી રકમ અને મુદ્દતી લ્હેણી રકમ કુરબાની વાજિબ થવા પાત્ર માલદારીના નિસાબમાં શામેલ નહિ ગણાય. માટે જો કોઈ મુસલમાન પાસે મઝકૂર રકમો સિવાય બીજી કોઈ રકમો નિસાબમાં શામેલ થતી હોય એવી વસ્તુ કર્ઝ મુકત રૂપે નિસાબના પ્રમાણમાં ન હોય તો તેના ઉપર કુરબાની વાજિબ નહિ થાય. (આલમગીરી, બઝઝાઝિય્યહ)

સવાલઃ– ઝકાતના નિસાબની જેમ કુરબાની વાજિબ થવા માટે કુરબાનીના નિસાબની માલિકી ઉપર એક ઈસ્લામી વર્ષ વીતવું શર્ત છે?

જવાબઃ– કુરબાનીના નિસાબની માલિકી ઉપર એક ઈસ્લામી વર્ષ વીતવું જરૂરી નથી, બલ્‌કે જો કોઈ આકિલ, બાલિગ, મુકીમ મુસલમાન કુરબાનીના ત્રીજા દિવસે ગુરૂબે આફતાબ પહેલાં કુરબાની વાજિબ થવા પાત્ર નિસાબનો માલિક બને તો પણ તેના ઉપર કુરબાની વાજિબ થઈ જશે. (શામી–પ/ર૦૦)

સવાલઃ– સંયુકતરૂપે રહેતા માલદાર કુટુંબના દરેક સભ્ય ઉપર કુરબાની વાજિબ છે કે ફકત મુખ્ય વ્યકિત ઉપર કુરબાની વાજિબ છે ?

જવાબઃ– સંયુકત માલદાર કુટુંબમાં કુરબાનીના નિસાબની વસ્તુઓની માલિક જો કોઈ એક સ્વતંત્ર વ્યકિત જ હોય અને સંયુકત કુટુંબમાં રહેતા બીજા સભ્યો કુરબાનીના નિસાબની વસ્તુઓની માલિકીમાં ભાગીદાર ન હોય અને તેઓ પોતે અંગત અને સ્વતંત્ર રીતે પણ કુરબાની વાજિબ થવા પાત્ર નિસાબના માલિક ન હોય તો આ સૂરતમાં કુટુંબની ફકત મુખ્ય વ્યકિત જ માલદાર ગણાશે અને ફકત તેના ઉપર જ કુરબાની વાજિબ થશે, કુટુંબના બીજા સભ્યો ઉપર કુરબાની વાજિબ નહિ ગણાય.

                જો સંયુકત કુટુંબમાં રહેતા અનેક આકિલ, બાલિગ, મુકીમ, મુસલમાન મર્દો અને ઔરતો કુરબાની વાજિબ થવા પાત્ર નિસાબની વસ્તુઓની માલિકીમાં ભાગીદાર હોય અને તે સંયુકત માલિકીની વસ્તુઓ એટલા પ્રમાણમાં હોય કે દરેક આકિલ, બાલિગનો ભાગ કર્ઝ મુકત રૂપે નિસાબના પ્રમાણમાં હોય તો સંયુકત કુટુંબમાં રહેતા તેવા દરેક આકિલ, બાલિગ, મુકીમ મર્દ ઔરત ઉપર કુરબાની વાજિબ ગણાશે. જેમકે સંયુકત કુટુંબના પાંચ આકિલ, બાલિગ સભ્યોની સંયુકત માલિકીનું કર્ઝ મુકતરૂપે ૪૦ તોલા સોનું હોય, અથવા તેમની સંયુકત માલિકીમાં કર્ઝ મુકતરૂપે ર૬ર૧/ર તોલા ચાંદી હોય તો તેવો દરેક આકિલ, બાલિગ, મુકીમ સભ્ય માલદાર ગણાશે અને દરેક ઉપર કુરબાની વાજિબ થશે. (બદાઈઅ–૪/૧૯૭, ઈનાયહ કમ ફ.કદીર–૮)

Log in or Register to save this content for later.