[રપ૭] કુરબાનીના જાનવરનું સ્થળ મોઅતબર હોવાનો મતલબ

Chapter : કુરબાની

(Page : 326-327)

સવાલઃ– જે બે દેશોમાં કુરબાનીના દિવસો સામાન્ય રીતે આગળ પાછળ રહેતા હોય ત્યાં જો પાછળ વખતવાળા દેશનો રહેવાસી પોતાના દેશમાં કુરબાનીનો વખત શરૂ થતાં પહેલાં આગળ વખતવાળા દેશમાં પોતાની કુરબાની ન કરાવી શકે તો ફિકહની કિતાબોમાં લખેલાં આ મસ્અલહનો શું મતલબ છે કે કુરબાનીમાં કુરબાનીના જાનવરનું સ્થળ મોઅતબર ગણાશે, કુરબાનીના માલિકનું સ્થળ મોઅતબર નહિ ગણાય.

જવાબઃ– અત્રે આ હકીકત સમજી લેવી જોઈએ કે સવાલમાં લખેલા મસ્અલહનો સંબંધ કુરબાની વાજિબ થવા સાથે નથી, કારણ કે કુરબાની વાજિબ થવામાં તો કુરબાનીના માલિકનું સ્થળ જ મોઅતબર છે, જેમ કે નમાઝ, રોઝહ, જેવી ઈબાદતોમાં માણસ જયાં રહેતો હોય તે સ્થળનો જ વખત મોઅતબર છે. આ મસ્અલહનો સંબંધ કુરબાની વાજિબ થયા પછી તેના અદા કરવા અને ઝબહ કરવા સાથે છે, એટલે કે આ મસ્અલહનો સંબંધ એવા માણસ સાથે છે કે કુરબાની વાજિબ થવાના સબબના અસ્તિત્વના કારણે જેના ઉપર કુરબાની વાજિબ થઈ ચૂકી છે અને મઝકૂર મસ્અલહનો ભાવાર્થ આ છે કે જે માણસના સ્થળે દસમી ઝુલહજની સુબ્હે સાદિક તુલૂઅ થવાથી તેની ઉપર કુરબાની વાજિબ થઈ ગઈ અને તેની કુરબાનીનું જાનવર બીજા સ્થળે છે અને જાનવર માલિક અને જાનવરના સ્થળમાં શહેર અને નાનું ગામડુ હોવાનો તફાવત છે અને શહેરમાં ઈદની નમાઝ વાજિબ હોવાથી સુબ્હે સાદિક પછી ઈદની નમાઝ પહેલાં કુરબાની ઝબહ કરવી જાઈઝ નથી અને નાના ગામડામાં ઈદની નમાઝ ન થવાથી સુબ્હે સાદિક પછી કુરબાની ઝબહ કરવી જાઈઝ છે, તો આ સૂરતમાં જાનવરના માલિકની કુરબાની ઝબહ કરવામાં જાનવરની જગ્યા મોઅતબર ગણાશે, માલિકની (કુરબાનીવાળા માણસની) જગ્યા મોઅતબર નહિ ગણાય, મતલબ કે જો કુરબાનીનુું જાનવર નાના ગામડામાં હોય તો સુબ્હે સાદિક પછી ઝબહ કરવું જાઈઝ છે, ચાહે તેનો માલિક શહેરમાં હોય અને જો જાનવર શહેરમાં હોય તો ઈદની નમાઝ પછી ઝબહ કરવું પડશે. ઈદની નમાઝ પહેલાં ઝબહ કરવું જાઈઝ નથી, ચાહે તેનો માલિક નાના ગામડામાં હોય.

                આ મસ્અલહના ઉદારહણરૂપે ફિકહની લગભગ બધી કિતાબોમાં શહેરવાસી અને ગામડાવાસીનું વર્ણન છે, જેનાથી એ વાત સમજાય છે કે મઝકૂર મસ્અલહમાં એવા બે સ્થળો મુરાદ છે કે જે બન્‍નવમાં કુરબાનીના દિવસો આગળ પાછળ ન હોય, બલ્કે બન્‍નવ સ્થળોએ ઈસ્લામી તારીખ એક જ હોય, તેમાં એવા બે દેશો મુરાદ નથી કે જે બન્‍નવમાં કુરબાનીના દિવસો અને ઈસ્લામી તારીખ આગળ પાછળ હોય.

Log in or Register to save this content for later.