Chapter : કુરબાની
(Page : 322-323)
સવાલઃ– કોઈ પણ માણસ પોતાના દેશમાં ૧૦મી ઝુલહજ થતા પહેલાં એટલે કે પોતાના જીમ્મે કુરબાની વાજિબ થતા પહેલાં બીજા એવા દેશમાં કે જયાં ૧૦મી ઝુલહજ એક દિવસ પહેલાં થઈ છે, કોઈ વ્યકિત પાસે પોતાની કુરબાની પોતાના દેશની ઈદથી એક દિવસ પહેલાં કરાવી શકે?
જવાબઃ– પ્રથમ એક ફિકહી હકીકત સમજી લેવી જોઈએ કે કુરબાનીને લગતી બે વસ્તુઓ અલગ – અલગ છે. એક કુરબાનીનું વાજિબ થવું બીજું વાજિબ કુરબાની અદા કરવી. બીજી વાત આ સમજી લેવી જોઈએ કે પોતાના શિરે કુરબાની વાજિબ થવા માટે પોતાના દેશમાં ૧૦ મી ઝુલહજ સુબ્હે સાદિક તુલૂઅ થવી જરૂરી છે. એથી પહેલાં કુરબાની વાજિબ થતી નથી અને ત્રીજી વાત આ પણ સમજી લેવી જોઈએ કે પોતાના શિરે કુરબાની વાજિબ થતાં પહેલાં પોતાની વાજિબ કુરબાની અદા કરવી અને ઝબહ કરવી જાઈઝ નથી.(બદાઈઅઃ ૪/૧૯૮, શામી–પ/૧૯૮)
આ ફિકહી મસાઈલ સમજી લીધા પછી મૂળ સવાલનો જવાબ સમજવો સરળ છે કે પૂછેલી સૂરતમાં એક દેશનો રહેવાસી પોતાની કુરબાની બીજા દેશમાં કરાવી તો શકે છે, પરંતુ બીજા દેશમાં તેની કુરબાની પહેલા દિવસે કરવી જાઈઝ નથી. કારણ કે હજુ તેના ઉપર કુરબાની વાજિબ થઈ નથી. અલબત્ત, બીજા દેશમાં બીજા દિવસે એ રીતે તેના તરફથી કુરબાની કરવી જાઈઝ છે કે કુરબાનીના માલિકના દેશમાં ૧૦મી ઝુલહજની સુબ્હે સાદિક તુલૂઅ થઈ ગયા પછી એટલે કે તેના ઉપર કુરબાની વાજિબ થયા પછી તેની કુરબાની ઝબહ કરવામાં આવે.
ફતાવાની ભરોસાપાત્ર અને પ્રખ્યાત, પ્રચલિત અરબી કિતાબો કે ફતાવામાં જેના હવાલાઓ ટાંકવામાં આવે છે, જેમકે મબસૂત, ફત્હુલ કદીર, હિદાયહ આખિરૈન, બદાઈઉસ્સનાઈઅ, ફતાવા આલમગીરી, અલ્ બહરુર્રાઈક, રદ્દુલ મુહતાર (શામી), તબયીનુલ હકાઈક (ઝયલઈ), ખુલાસતુલ ફતાવા, ફતાવા બઝ્ઝાઝિયહ, ફતાવા કાઝીખાન, તહ્તાવી, મજ્મઉલ અન્હુર, બિનાયહ(અયની)માં લખવામાં આવેલા કુરબાનીના મસાઈલમાં કોઈ મસ્અલહ આ પ્રમાણે નથી કે એક દિવસ પાછળ ઈદવાળા દેશના રહેવાસીની કુરબાની એક દિવસ આગળ ઈદવાળા બીજા દેશમાં તેના ઉપર કુરબાની વાજિબ થતાં પહેલાં કુરબાનીના પહેલા દિવસે કરવી જાઈઝ છે. અલબત્ત, આ કિતાબોમાંથી ઘણી કિતાબોમાં આ મસ્અલહનું વર્ણન છે કે કોઈ વ્યકિત ઉપર કુરબાની વાજિબ થતાં પહેલાં તેની કુરબાની (પોતાના દેશમાં કે બીજા દેશમાં) ઝબહ કરવી જાઈઝ નથી.
Log in or Register to save this content for later.