[રપ૧] મંગેતર સાથે પત્ર વ્યવહાર

Chapter : નિકાહ

(Page : 289-290)

સવાલ :–  મારા એક દોસ્તની એક છોકરી સાથે સગાઈ થઈ છે, પરંતુ હજુ શાદી થઈ નથી, મારો દોસ્ત તેના ઉપર કાગળ લખી દીનની વાતો લખે છે, જેમકે નમાઝ પઢવાની, કુર્આનની તિલાવત કરવાની તાકીદ અને અત્યારના સંજોગો પ્રમાણે ટી.વી., વી.સી.આર., જેવી ખતરનાક બુરાઈઓથી બચવા માટે જોર આપે છે. પરંતુ તેની સાથે કદી રૂબરૂ મુલાકાત થયેલ નથી અને કાગળ લખવાનો હેતુ માત્ર એક જ કે ખરાબ કૃત્યોથી બચેલી રહે, આ છોકરો છોકરીના માં–બાપ અથવા ભાઈ–બહેન સાથે આવી દીની વાતો પહોંચાડી શકે તેમ નથી અને મજકૂર છોકરી તેણે લખેલી દીની વાતો ઉપર અમલ કરે છે. તો શું આ પ્રમાણે સગાઈવાળી છોકરી ઉપર કાગળ લખવો અને દીનની વાતો પહોંચાડવી જાઈઝ છે?

જવાબ :– જે ઓરત સાથે સગાઈ નકકી થઈ હોય પણ શાદી ન થઈ હોય તે ઓરત સગાઈવાળા છોકરા માટે નિકાહથી પહેલાં પરાઈ ઓરત ગણાશે, પરદાની દ્રષ્ટિએ તેની સાથે પત્ની જેવો વર્તાવ કરવો તો જાઈઝ નથી, પરંતુ દીની તબ્લીગ અને તાલીમના હેતુથી કાગળ લખવો જાઈઝ છે. હઝરત સુલયમાન (અલ.)એ સબા દેશની રાણી બિલકીસ ઉપર દીની દઅવત અને તબ્લીગ માટે પત્ર લખી મોકલ્યો હતો અને તેનું વર્ણન કુરઆને પાકમાં સૂરએ નમ્લમાં મવજૂદ છે.

(મ.કુર્આન–ર/પ૬ર)

                ફુકહાએ કિરામ દીની–દુન્યવી જરૂરત માટે અજનબી – પરાઈ ઓરત સાથે વાતચીત કરવાને જાઈઝ લખે છે અને કાગળનો દરજો પરદાની રૂએ રૂબરૂની વાતચીત કરતાં હલકો છે, માટે દીની ઈસ્લાહના હેતુથી પોતાની મંગેતર ઉપર કાગળ લખવા જાઈઝ છે.    (શામી–પ/ર૩૬)

Log in or Register to save this content for later.