Chapter : નમાઝ
(Page : 462-463)
સવાલ : રમઝાન મુબારકના મહિના દરમ્યાન ઉમરહ માટે ગયેલા ભાઈઓથી જાણવા મળ્યું છે કે તરાવીહની નમાઝમાં ઈમામ સાહેબ મસ્જિદે હરામના તુર્કી હરમમાં ઉભા રહી ઈમામત કરે છે, તે દરમ્યાન મતાફનો અમુક હિસ્સો ખાલી હોય છે, તે સિવાય મતાફની બાકી જગ્યામાં તરાવીહ પઢનાર મુક્તદીઓ પણ ઈમામ સાહેબ સાથે તરાવીહ પઢે છે. મતાફની જગ્યા પૂરી થયા બાદ તુર્કી હરમ શરૂ થાય છે, જ્યાં ઉભા રહી ઈમામ સાહેબ તરાવીહ પઢાવે છે અને તુર્કી હરમથી નીચે ખુલ્લા મતાફમાં મુક્તદીઓની ચાર–પાંચ સફો થાય છે અને મુક્તદીઓની આ સફો ઈમામથી આગળ બને છે અને આ સફો વાળા ઈમામ કરતાં કઅબહ શરીફથી વધુ નજીક ઉભા રહીને તરાવીહ જમાઅત સાથે પઢે છે તો ઈમામથી આગળ મતાફમાં સફો બનાવી જમાઅતથી તરાવીહ પઢનાર મુક્તદીઓની નમાઝ સહીહ રીતે અદા થયેલી ગણાશે કે નહિ ? જવાબ : પ્રથમ આ વાત સમજી લેવી જોઈએ કે મસ્જિદે હરામમાં તરાવીહ કે ફર્ઝ નમાઝ ઈમામ સાથે જમાઅતથી પઢતી વખતે મુક્તદીઓએ બીજી મસ્જિદોની જેમ ઈમામની પાછળ એ રીતે સફ બનાવી ઉભા રહેવું જરૂરી નથી કે તેમનું મોઢું ઈમામની પીઠ તરફ હોય અથવા ઈમામની સાથે એ રીતે ઉભા રહેવું પણ જરૂરી નથી કે ઈમામ અને મુક્તદીઓનું મોઢું એક જ દિશામાં હોય અને સીધી લાઈનમાં સફો બનાવવી પણ જરૂરી નથી. અલબત્ત, ઈમામ સા. અને દરેક મુક્તદીનું મોઢું કાબા શરીફ તરફ હોવું જરૂરી છે. હા, જે મુક્તદીઓ કઅબહ શરીફની ઈમામ સાહેબ વાળી દિશામાં ઉભા રહે તો તેમનું ઈમામ સાહેબની પાછળ ઉભા રહેવું જરૂરી છે અને કોઈ પણ મુક્તદીએ ઈમામથી આગળ એ રીતે ઉભા રહેવું કે ઈમામના મોઢા તરફ તેની પીઠ થાય અથવા ઈમામ સાહેબ વાળી દિશામાં ઈમામની ડાબે–જમણે ઉભેલા મુક્તદીઓના મોઢા તરફ તેની પીઠ થાય એ જાઈઝ નથી અને એ પ્રમાણે કઅબહ શરીફની ઈમામ સાહેબ વાળી દિશામાં ઈમામથી આગળ ઉભા રહેનાર મુક્તદીઓની નમાઝ જાઈઝ અને સહીહ નહિ થાય.
અલબત્ત, જે મુક્તદીઓ ઈમામ સાહેબ વાળી દિશા સિવાય કઅબહ શરીફની અન્ય દિશાઓમાં ઈમામ સાહેબ કરતાં કઅબહ શરીફથી વધુ નજીક સફ બનાવી ઉભા રહે, જેમ કે સવાલમાં લખવા મુજબ અને આકૃતિમાં બતાવ્યા મુજબ ઈમામ સાહેબ હજરે અસ્વદ અને રુકને યમાની વચ્ચે આવેલ કઅબહ શરીફની દિશામાં તુર્કી હરમમાં કઅબહ શરીફથી દૂર ઉભા રહે અને મુક્તદીઓ કઅબહ શરીફની બીજી દિશાઓમાં ખુલ્લા મતાફમાં ઈમામ સાહેબ કરતાં કઅબહ શરીફથી નજીક ઉભા રહી જમાઅત સાથે તરાવીહ પઢે તો તેમની નમાઝ જાઈઝ અને સહીહ ગણાશે.
ખુલાસો આ છે કે મસ્જિદે હરામમાં જમાઅતની નમાઝમાં ગોળાઈમાં સફો થાય છે તો કઅબહ શરીફની જે દિશામાં ઈમામ સાહેબ ઉભા રહેતા હોય તે દિશામાં સફોના પૂરા વર્તુળની ચોથાઈ (૧/૪) ગોળાઈમાં કોઈ મુક્તદીએ ઈમામથી આગળ ઉભા રહી એટલે કે ઈમામ સાહેબ કરતાં કઅબહ શરીફથી વધારે નજીક ઉભા રહી જમાઅત સાથે નમાઝ પઢવી જાઈઝ નથી અને કઅબહ શરીફની અન્ય ત્રણ દિશાઓમાં સફોના પૂરા વર્તુળની ત્રણ ચોથાઇ (૩/૪) ગોળાઈમાં મુક્તદીઓએ ઈમામ સાહેબ કરતાં કઅબહ શરીફથી વધુ નજીક ઉભા રહી જમાઅત સાથે નમાઝ પઢવી જાઈઝ છે. (શામી ભા. ૧/૬૧૩)
Log in or Register to save this content for later.