[૪ર૧] નીચેનું જમાઅતખાનુ બંધ હોવાથી ઉપરના ભાગમાં જમાઅત કરવી

Chapter : નમાઝ

(Page : 446-447-448)

સવાલ :– અહિંયા વડોદરા શહેરની મધ્યમાં ન્યાયમંદિર એરિયામાં ખજૂરી મસ્જિદ આવેલી છે જેના ત્રણ મજલા છે, સૌથી નીચે ગ્રાઉન્ડ ફલોર હિસ્સો નાનો હોવાને લઈ, તેમાં કુદરતી હવા – ઉજાસ આવવાનો કોઈ રસ્તો નથી. મેઈન દરવાજાને છોડી ચારે તરફ દુકાનો છે, જેના કારણે એક પણ બારી નથી, અને મેઈન દરવાજા સામે પણ પથારાઓ તેમજ અવર જવરનો આમ રસ્તો હોવાથી તહેવારોની સીઝન વખતે લોકોની ભીડ, વેચનારાઓનો અવાઝ, માંગનારોઓની દરવાજા પર ભીડ વગેરે રહેવાથી ગુંગણામણ ભર્યુ વાતાવરણ રહે છે અને ગરમીના લઈ જમાઅતખાનાના પંદર પંખા બે એકજેસફેન, સહનમાં બે પંખા હોવા છતાં નમાઝીઓ નમાઝ પૂરી થતાં સુધીમાં પરસેવાથી રેબઝેબ થઈ જાય છે અને નમાઝ પછી તિલાવત, ઝિકરમાં બેસવા ચાહે તો પણ બેસી શકતા નથી અને એટલા માટે જમાઅત શરૂ થયા પછી નીચે જગ્યા હોવા છતાં ઘણા મુસલ્લીઓ ઉપરના હિસ્સામાં જઈ જમાઅતમાં શરીક થાય છે, બલ્કે કેટલાક તો પેહલેથી જ ઉપરના હિસ્સામાં રહે છે કારણ કે ઉપરના બન્નેવ વિશાળ મજલામાં ત્રણ તરફ બારીઓના લઈ કુદરતી હવા ઉઝાસ હોય છે, આવા સંજોગોમાં અમારો ઈરાદો એવો છે કે જમાઅત ઉપરના હિસ્સાથી શરૂ થાય એટલે કે ઈમામ સાહેબ ઉપરના હિસ્સામાં જ જમાઅતથી નમાઝ પઢાવે, તો મસ્અલાની દ્રષ્ટિએ શું હુકમ છે ?

જવાબ :– મજકૂર સવાલના જવાબ માટે પ્રથમ અમુક મસાઈલ જાણી અને સમજી લેવા મુનાસિબ છે.

(૧) ગ્રાઉન્ડ ફલોર (ભોંય તળિયા) ઉપર બનેલી માળ વગરની મસ્જિદો કે જેમાં મસ્જિદની પ્રથમ બુનિયાદ વખતે ધાબાથી ઉપરના ભાગની કે જમાઅતખાનાથી નિચેના ભાગની શરઈ મસ્જિદથી ખારિજ (બહાર) હોવાની નિય્યત હોતી નથી, તેવી મસ્જિદોનો ઉપરનો ભાગ આકાશ સુધી અને નીચેનો ભાગ પાતાળ સુધી શરઈ મસ્જિદમાં દાખલ છે. (શામી–૧)

(ર) આવી મસ્જિદોને શહીદ કરી નવેસરથી બહુમાળી બનાવવામાં આવે તો તેનો ભોંય તળિયાવાળો ભાગ અને ઉપરનો માળો મસ્જિદ જ ગણાશે અને તેમાં નમાઝ પઢવાથી મસ્જિદનો સવાબ મળશે અને નવી તા’મીરમાં ઉપર નીચેના ભાગમાં મસ્જિદ સિવાય માત્ર મદ્રસા, મકાન, સામાન મુકવાના રૂમ તરીકે અથવા તકરીર માટેના હોલ તરીકે નિય્યત કરવી જાઈઝ અને દુરૂસ્ત નથી.         (શામી – ૩ , અહકામે મસ્જિદ)

(૩) મસ્જિદના ધાબા ઉપર ચઢવું ચાહે નમાઝ પઢવા માટે હોય તો પણ મકરૂહ છે.                       (શામી – ૧)

(૪)  બહુમાળી મસ્જિદનો પહેલો માળ કે બીજો, ત્રીજો માળ મસ્જિદનું ધાબુ નહિ બલકે મસ્જિદનું જમાઅત ખાનું ગણાશે અને ઉપલા માળોએ ચઢવું અને નમાઝ પઢવી મકરૂહ નહીં ગણાય.

(કિ.મુફતી – ૩, ઈ.અહકામ – ૧ /૪૬૬, ફતાવા મહમૂદિય્યહ –૧૮)

(પ) જે મસ્જિદ બહુમાળી હોય અને ઉપલા માળે નમાઝ પઢવા માટે કોઈ ઉઝર ન હોય તો ગ્રાઉન્ડ ફલોરમાં જમાઅતની નમાઝ પઢવી અફઝલ અને મુનાસિબ છે, કારણ કે જમીન વાળા ભાગમાં નમાઝ પઢવી એ તવારુસે અમલી (પ્રણાલિકાગત તરીકો) છે અને ઉપલા માળે નમાઝ પઢવાથી નીચેનો ભાગ વેરાન થઈ જવાનો અને નમાઝથી ખાલી રહેવાનો ભય છે અને આગળ જતા ભંડાર કે રૂમ તરીકે ઉપયોગ થવાનો સંભવ છે.      (મહમૂદિય્યહ – ૧૦, અહ.ફતાવા–૩, રહીમિય્યહ–૯)

(૬) જો કોઈ ઉઝર વગર ઈમામ ઉપલા માળે ઉભા રહે અને જમાઅતથી નમાઝ પઢવામાં આવે તો અમુક મુફતીયાને કિરામ (રહ.) તેને ખિલાફે અફઝલ , ખિલાફે તવારુષે અમલી અને મકરૂહે તનઝીહી ગણાવે છે અને અમુક મુફયિતાને કિરામ વિના કરાહતે જાઈઝ ફરમાવે છે.(અહ.ફતાવા – ૩, રહીમિય્યહ – ૯, મહમૂદિય્યહ –૧૦,કિ.મુફતી–૩ , ફતાવા દા.ઉલૂમ – ૪)

(૭) જો કોઈ ઉઝર ના કારણે ઉપલા માળે જમાઅતની નમાઝ પઢવામાં આવે તો વિના કરાહતે જાઈઝ છે.

(અહ.ફતાવા–૩, ફ.દા.ઉલૂમ –૪, કિ.મુફતી –૩, મહમૂદિય્યહ –૧૮)

(૮) હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.)થી ઉઝર ના કારણે એક મહિના સુધી ઘરના ઉપલા માળે નમાઝ પઢવી અને તે દરમિયાન અમુક વખતે હઝરાત સહાબએ કિરામ (રદિ.)ને ઉપલા માળે જમાઅતથી નમાઝ પઢાવવી પણ સાબિત છે.                       (બુખારી શરીફ – ૧/પપ)

                હવે પૂછેલી સૂરતમાં નમાઝની જમાઅત નીચે કરવાની સૂરતમાં જયારે મસ્જિદના દરવાજા સિવાય બધી બાજુથી બંધ હોવાના અને નમાઝીઓની ભીડના કારણે મસ્જિદના ભોંય તળિયા વાળા ભાગનું વાતાવરણ નમાઝીઓને ગભરામણ, ગરમી અને ગુંગણામણ વાળું લાગતું હોય અને ઉપલા માળનું વાતાવરણ શાન્તિમય અને ખુશૂઅ અને ધ્યાન થી નમાઝ પઢવા માટે વધુ અનુકૂળ હોય તો ઈમામ સાહેબ અને મુકતદીઓએ ઉપરના પહેલા માળે ઉભા રહી જમાઅત કરવી અને પહેલો માળ ભરાઈ જાય ત્યારે બાકીના નમાઝીઓએ ગ્રાઉન્ડ ફલોરમાં ઈમામની પાછળ પહેલી સફ બને એ રીતે ઈમામની ઈક્‌તિદામાં નમાઝ પઢવી અને એવી જ રીતે કમઝોર અને બિમાર મુકતદીઓએ નીચેના ભાગમાં ઉભા રહી ઉપરના માળે ઉભા રહેલા ઈમામ સાહેબની ઈકિતદા કરવી એ વિના કરાહતે જાઈઝ છે.

                અલબત્ત ઉપરનો પહેલો માળ ભરાઈ જાય તો બાકીના લોકો બીજા માળે ન જાય બલકે નીચે ગ્રાઉન્ડ ફલોરમાં ઉભા રહે અને ફજર વખતે ઠંડક હોય છે અને બજારની મસ્જિદ હોવાથી ફજરની નમાઝમાં નમાઝીઓ પણ ઘણી ઓછી સંખ્યામાં હોય છે, માટે ફજરની નમાઝ ગ્રાઉન્ડ ફલોરમાં જ કરવામાં આવે, તાકે નીચેના ભાગનો મસ્જિદ તરીકેનો ઉપયોગ બાકી રહે અને નીચેના નમાઝીઓ માટે ઈમામ સાહેબની તકબીરો વિગેરેની અવાઝ પહોંચાડવાનો ખામી યુકત મજબૂત બંદોબસ્ત કરવામાં આવે, તાકે તેમની ઈકિ્‌તદા અને નમાઝમાં કોઈ ખલલ ન પળે.                          (ફ. દારૂલ ઉલૂમ –૪, કિ. મુફતી – ૪, ફ.મહમૂદિય્યહ – ૧૬,૧૮, અહસનુલ્‌ ફતાવા –૩, ઈમ. અહકામ –૧)

Log in or Register to save this content for later.