Chapter : હજ
(Page : 296-297)
સવાલ :– એક માણસે પોતાની ફર્ઝ હજ પઢી લીધી છે, છતાં તે માણસ અવાર નવાર હજમાં જાય છે અને થોડી ઘણી ચીજ વસ્તુઓ જીવન જરૂરિયાતની અહિંઆથી લઈ જાય છે અને ત્યાં સઉદિય્યહ જઈ વેચે છે અને ત્યાં સઉદિય્યહથી અમુક વસ્તુઓ ખરીદીને અહિઆ વેચવા માટે લાવે છે અને વેચે છે, તે માણસને હજનો જેટલો ખર્ચ થાય છે તેટલો નફો તો નથી જ મળતો, અમો અને તેમના ઘરવાળા તેમને કહીએ છીએ કે આ રીતે અવાર નવાર હજ કરવા શા માટે જવું પડે અને ૪૦ દિવસ જમાઅતમાં જવાનું કહીએ તો નથી જતા અને કહે છે કે હજમાં નમાઝોનો અનેક ઘણો સવાબ મળે છે અને નફલ તવાફો, ઉમરહ અને હજનો સવાબ મળે છે, મજકૂર માણસ હજમાં વેપારની નિય્યતથી નથી જતાં, પરંતુ ત્યાંથી ખજૂર, તસ્બીહ કે ઘરવાળા માટે કોઈ વસ્તુ લાવવા હજના ખર્ચના રપ ટકા નફો કરી લે છે તો આ પ્રમાણે હજમાં જવું અને વેપાર કરી રપ ટકા નફો કમાવવો જાઈઝ છે કે નહિ?
જવાબ :– પૂછેલી સૂરતમાં નફલ હજની ફઝીલતો અને અન્ય નેક નિય્યતથી હજ માટે સફર જાઈઝ બલ્કે અફઝલ છે અને હજનો સફર ખર્ચ પૂરો કરવા માટે કાયદા વિરૂધ્ધ ન હોય તો અને ગુનાહિત કામોના સાધનો ન હોય એવી જીવન જરૂરિયાતની જાઈઝ વસ્તુઓ ત્યાં લઈ જઈને અને ત્યાંથી લાવીને થોડી તિજારત કરી લેવી એ પણ જાઈઝ છે, બલ્કે લોકોને મદીનહ મુનવ્વરની ખજૂર બરકતરૂપે ખવડાવવા માટે અને તસ્બીહ વગેરેનો હદિયો આપવા માટે ત્થા પોતાના ઘરવાળાઓની જરૂરતની વસ્તુઓ માટે અમુક ટકા નફો પ્રાપ્ત કરવાના હેતુથી હજના સફરમાં થોડો વેપાર કરી લેવો તો સવાબવાળો વેપાર છે. (ફ.મહમૂદિય્યહ – ૧ર/૩૬૩, ઝુ.મનાસિક –૧/૩૬)
અલબત્ત, જો હાજીની આર્થિક સ્થિતિ સારી હોય અને મજકૂર હેતુઓ માટે વેપાર કરવાની જરૂરત ન હોય તો હજના સફરમાં થોડો વેપાર પણ ન કરવો વધુ બેહતર છે, તાકે વસ્તુઓ વેચવા અને ખરીદવાની ફિકરથી હજના સફરની ઈબાદતોની એકાગ્રતા અને ધ્યાનમાં કોઈ ખલલ ન પડે. (બહર–ર, મહમૂદિય્યહ–ર)
અને હજના પાંચ દિવસો જેમાં હજના આ’માલ અદા કરવાના હોય છે, તેમાં ખરીદ વેચાણથી બચવું અને માત્ર ઈબાદતમાં જ મશગૂલ રહેવું એ ખૂબ અફઝલ અને મહત્વની બાબત છે. (મઆરિફુલ કુર્આન–૧/૪૮૭)
રહી વાત જમાઅતમાં જવાની તો હજના સફરમાં પણ તા’લીમ, તબ્લીગનું કામ ઘણી સરળતા અને સંતોષથી થઈ શકે છે અને ઉત્સાહ રાખતા ભાઈઓ આ હકીકતથી સારી રીતે વાકિફ છે.
Log in or Register to save this content for later.