Chapter : હજ
(Page : 288-289)
સવાલ :– બોમ્બે મુસાફિર ખાના ઉપર હજ કમિટિવાળા ”બોમ્બે મર્કન્ટાઈલ બેન્ક” તરફથી હાજીઓને એક પાણીનું ડ્રમ, એક મુસલ્લો અને એક પાકિટ એમ ત્રણ વસ્તુઓ હદિયા તરીકે આપે છે તો મજકૂર વસ્તુઓનો ઈસ્તિઅમાલ કોઈ પણ મુસલમાન માટે જાઈઝ છે કે નહિ? આ વિશે બોમ્બે મર્કન્ટાઈલ બેન્કના માજી ઓફિસરનું કહેવું છે કે હજ કમીટીવાળા જે બેંકથી કરાર કરે છે તે બેંક હાજીઓને કોઈ ન કોઈ વસ્તુઓ ભેટ આપે છે, હાલ હજ કમિટિનો મર્કન્ટાઈલ બેંક સાથે જોડ છે, બેંક વ્યાજ યુકત કારોબાર કરે છે અને વ્યાજ સિવાય તેની બીજી કોઈ આવક હોતી નથી.
જવાબ :– આ મસ્અલો તો પોતાની જગ્યાએ સ્પષ્ટ છે કે જે વ્યકિત અથવા સંસ્થાની બધી અથવા મોટા ભાગની આવક હરામ કમાણીની હોય અને તે આપણને કોઈ વસ્તુ ભેટ આપે તો તેવી વ્યકિત અથવા સંસ્થાની ભેટ સ્વીકારવી આપણા માટે જાઈઝ નથી અને એ વાત પણ જાહેર છે કે આજકાલ બેંકોની આવક વ્યાજ જેવા ચોખ્ખા હરામ કારોબારથી થાય છે. (આલમગીરી–પ)
પરંતુ પૂછેલી સૂરતમાં મસ્અલાનું એક બીજું પાસુ વિચારવા પાત્ર છે કે સરકારની દેખરેખ હેઠળ સંચાલન કરતી હજ કમિટિના કાનૂન મુજબ હાજીઓ માટે નિયત બેંકનો ડ્રાફટ રજુ કરવો જરૂરી હોય છે અને લગભગ ટિકિટ અને મુસાફરી ખર્ચનું વિદેશી ચલણ મેળવવા માટે રોકડ રકમ સ્વીકારવામાં આવતી નથી અને શકય છે કે આ સૂરતમાં ડ્રાફટ બનાવવા અને વટાવવા માટે બેંક હાજીઓ પાસેથી સેંકડે અમુક ટકા કમીશન પણ વસૂલ કરતી હોય, જો કાનૂની રીતે ડ્રાફટ કઢાવવો જરૂરી હોય અને બેંકને કમીશન આપવા હાજીઓ મજબૂર હોય તો આ સૂરતમાં જેટલું કમીશન હાજી પાસેથી કાનૂની દ્રષ્ટિએ વસૂલ કરવામાં આવ્યું હોય તેટલી રકમ અથવા તેટલી રકમની વસ્તુ સંબંધિત બેંક પાસેથી ભેટના નામથી લેવી હાજી માટે જાઈઝ છે. કારણ કે હકીકતમાં તેને બેંકની ભેટ ગણવામાં નહિ આવેઃ બલ્કે કમીશન તરીકે બેંકે વસૂલ કરેલી પોતાની રકમ પરત મેળવેલી ગણાશે, ચાહે સંબંધિત બેંક તે વસ્તુઓ ભેટના નામથી આપતી હોય. અલબત્ત, જો ડ્રાફટ બનાવવા – વટાવવા બદલ બેંક હાજી પાસેથી કમીશન ન લેતી હોય અથવા ભેટના નામથી મળતી વસ્તુઓ કમીશનની રકમથી વધુ કિંમતની હોય તો આ સૂરતમાં તે વસ્તુઓ લઈને પૂરેપૂરી અથવા કમીશનથી વધારાના પ્રમાણનો મુસ્લિમ ગરીબોને સદકો કરી દેવો જરૂરી છે. (શામી – ૩)
Log in or Register to save this content for later.