[રર૧] મદીનહ મુનવ્વરની ”ખાકે શિફા” ની હકીકત અને ફઝીલત

Chapter : હજ

(Page : 277-278-279)

સવાલઃ– મદીનહ શરીફમાં કઈ એવી જગ્યા છે કે જયાંથી લોકો માટી લાવે છે અને મશહૂર છે કે તે માટીને ”ખાકે શિફા” કહેવામાં આવે છે? ખરેખર આ માટીની હકીકત શું છે? સાથે જ એનો પણ ખુલાસો કરશો કે અગર એ શીફા માટે ઈસ્તિમાલ કરવાનું વર્ણન હોય તો તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે? કયા કયા રોગો ઉપર ? કઈ કઈ રીતે એને ઉપયોગ કરવામાં આવે?

જવાબ :– મદીનહની માટીને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ બીમારીના ઈલાજ અને ઉપાય માટે બતાવી છે. અલ્લામા ઝુર્કાની (રહ.) નકલ કરે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એક વાર બનૂ હારિષ કબીલહના લોકો પાસે તશરીફ લઈ ગયા, તે લોકો બીમાર હતા. તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ તેમની બીમાર પૂર્સી ફરમાવી, તે લોકોએ કહયું કે યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અમે તાવમાં સપડાયેલા છીએ. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ ફરમાવ્યું કે તમારી પાસે તો સુઐબ મવજૂદ છે (સુઐબ મદીનહ મુનવ્વરહની એક ખાસ જગ્યાનું નામ છે) જે બુત્હાન વાદીમાં આવેલી છે, તેમણે પૂછયું કે યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અમે સુઐબને શું કરીએ? આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ જવાબ આપ્યો કે ત્યાંની માટી લઈને પાણીમાં નાખો પછી તમારામાંથી કોઈ માણસ આ દુઆ ”બિસ્મિલ્લાહિ તુરાબુ અર્દિના બિરીકિ બઅઝિના શિફાઉન લિમરીઝીના બિઈઝ્‌ઝતિ રબ્બિના”પઢીને પાણીમાં ફૂંક મારે, તે લોકોએ એ પ્રમાણે કાર્યવાહી કરી તો તાવ જતો રહયો.

                હઝરત સાબિત બિન કૈસ બિન શમ્માસ (રદિ.) કહે છે કે તેઓ બીમાર હતા તો હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તેમની બીમાર પુર્સી માટે આવ્યા અને આ પ્રમાણે દુઆ પઢી કે ”અઝ્‌હિબિલ્‌ બઅ્‌સ રબ્બન્નાસ” પછી બુતહાન મેદાનની એક મુઠ્ઠી માટી લઈને પાણી ભરેલા એક મોટા પ્યાલામાં નાખી અને તે પાણી મારી ઉપર વહાવવાનો (એટલે કે તે પાણીથી ગુસલ કરવાનો) હુકમ આપ્યો અને તે મુજબ પાણી વહાવવામાં આવ્યું.

                શૈખ મજ્‌દુદ્દીન ફીરોઝાબાદી અને શૈખ જમાલ મતરી (રહ.) એ લખ્યું છે કે મજકૂર માટીથી શિફા પ્રાપ્ત કરવાનો તરીકો આ છે કે આ ”ખાકે શિફા” (માટી) પાણીમાં નાખી તે પાણીથી ગુસલ કરવામાં આવે.

                અલ્લામા સમહુદી (રહ.) લખે છે કે એ પ્રમાણે ઉપાય મુનાસિબ છે કે ખાકે શિફા પાણીમાં નાખી મજકૂર દુઆઓ પઢી પાણીમાં દમ કરવામાં આવે પછી તે પાણી બીમારને પીવડાવવામાં આવે અને તેનાથી તે ગુસલ પણ કરે.

                એક હદીષમાં છે કે એક માણસ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સેવામાં હાજર થયો. જેના પગમાં એક ચાંદુ હતું, આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ ચટાઈનો એક છેડો ઉઠાવીને પોતાની અંગુઠા સામેની આંગણી ઉપર થૂક લગાવીને માટી ઉપર મૂકી અને આ દુઆ પઢી ”બિસ્મિલ્લાહિ રીકુ બાઝિના બિતુર્બતિ અર્દિના લયુશ્ફા સકીમુના બિઈઝ્‌ઝતિ રબ્બિના” અને મજકૂર આંગળી તેના ચાંદા ઉપર મૂકી તો તેને તકલીફથી આરામ મળી ગયો, જાણે કે તેને બાંધેલી દોરી ખોલી નાખવામાં આવી.

                અને ખાસ બુત્હાન વાદીની સૂઐબ માટી વગર હદીસોમાં મદીનહ તય્યિબહના ગુબારને પણ દરેક બીમારીનો ઉપાય બતાવવામાં આવ્યો છે, અને અમુક હદીષોમાં મદીનહના ગુબારને રકતપિત્ત અને કોળની બીમારી માટે ઉપાય બતાવવામાં આવ્યો છે.

                ઉપરની વિગતથી માલૂમ પડયું કે મજકૂર સુઐબ માટીને તાવ માટે પાણીમાં નાખી દુઆ પઢી પીવામાં ત્થા ગુસલમાં ઉપયોગ કરવામાં આવે, અને કોઈ શરીર ઉપર દેખાતી ચાંદા, ઝખમ, રકતપિત્ત, કોળની તકલીફમાં હદીષમાં બતાવેલ તરીકા મુજબ મજકૂર માટી અને મદીનહનો ગુબાર ઉપયોગ કરવામાં આવે. આ બધી વિગત વફાઉલ વફા–૧/૬૭,૬૯ ઉપર અને તારીખે મદીનહ મુનવ્વરહમાં–૭૧ થી ૭૪ સુધી વર્ણવામાં આવી છે.

Log in or Register to save this content for later.