કુરબાની અને ઝબહના ઝરૂરી મસાઈલ

Chapter : કુરબાની

(Page : 299-300-301-302)

(૧) ઝકાત અને કુરબાનીનો નિસાબ અલગ અલગ છે :

                આ મસ્અલો ખૂબ ધ્યાનપૂર્વક સમજી લેવો જોઈએ કે ઝકાત ફર્ઝ થવાનો માલદારીનો નિસાબ અને ઝકાત લેવાનો ત્થા કુરબાની અને સદકએ ફિત્ર વાજિબ થવાની શર્ત રૂપે માલદારીનો નિસાબ અલગ અલગ છે. ઝકાત ફર્ઝ થવાના નિસાબમાં ફકત સોના ચાંદી, રોકડ અને વેપારના માલની ગણતરી થાય છે અને કુરબાની અને સદકએ ફિત્ર વાજિબ થવાના નિસાબમાં અને ઝકાત હરામ હોવાના નિસાબમાં મજકૂર વસ્તુઓ સિવાય જીવન નિર્વાહની ઝરૂરતોથી વધારે દરેક વસ્તુની ગણત્રી થાય છે, જેમકે ઝરૂરતથી વધારે ખેતીની જમીન, પ્લોટ, ગભાણ, રહેવાના ઘર સિવાય ઘર, વધારાના કપડાં, વધારાના વાસણો વગેરેની પણ માલદારીના નિસાબમાં ગણત્રી થાય છે, માટે જેની ઉપર ઝકાત ફર્ઝ હોય તેની ઉપર તો કુરબાની વાજિબ હોય જ છે, પરંતુ જેના ઉપર કુરબાની વાજિબ હોય તેના ઉપર ઝકાત ફર્ઝ હોવી ઝરૂરી નથી. મતલબ કે ઝકાત કરતાં કુરબાની અને સદકએ ફિત્ર વધુ મુસ્લિમ મર્દો અને ઓરતો પર વાજિબ થાય છે અને કુરબાની અને સદકએ ફિત્રના નિસાબ પર ઈસ્લામી વર્ષ વિતેલું હોવું ઝરૂરી નથી અને જેના ઉપર કુરબાની વાજિબ હોય તેના માટે ઝકાત લેવી જાઇઝ અને હલાલ નથી. ઘણા મુસ્લિમ ભાઈ બહેનો આ મસ્અલાથી નાવાકિફ હોવાના લઈને વાજિબ કુરબાની આપતા નથી અને ઝકાત સ્વીકારે છે.

(ર) નાબાલિગ પર કુરબાની નથી, સદકએ ફિત્ર છે :

                કુરબાની વાજિબ થવા માટે જેવી રીતે માલદાર હોવું શર્ત છે એવી રીતે બાલિગ હોવું અને ગાંડા ન હોવું પણ શર્ત છે. નાબાલિગ માલદાર હોય તો પણ તેની ઉપર કુરબાની વાજિબ નથી અને નાબાલિગ તરફથી તેના માલદાર બાપ કે દાદાએ પણ કુરબાની કરવી ઝરૂરી નથી. અલબત્ત, સદકએ ફિત્ર વાજિબ થવા માટે બાલિગ હોવું અને બુધ્ધિમાન હોવું શર્ત નથી, માટે જો નાબાલિગ છોકરો કે છોકરી માલદાર હોય તો તેના વાલિએ તેના માલમાંથી તેનો સદકએ ફિત્ર અદા કરવો ઝરૂરી છે અને જો નાબાલિગ માલદાર ન હોય તો માલદાર બાપ કે દાદાએ નાબાલિગ છોકરા છોકરી તરફથી સદકએ ફિત્ર અદા કરવો ઝરૂરી છે.

(૩) શોહરે બીવી તરફથી કુરબાની કરવી ઝરૂરી નથી

                શોહરે પોતાની બીવી તરફથી કુરબાની કરવી ઝરૂરી નથી, ચાહે તે માલદાર હોય કે ગરીબ હોય, અલબત્ત, જો બીવી કુરબાની વાજિબ થવા પાત્ર સાહિબે માલ હોય તો તેણે પોતાના પૈસાથી કુરબાની આપવી વાજિબ છે. અલબત્ત, શોહર તેની રજા લઈને તેના તરફથી વાજિબ કે નફલ કુરબાની કરશે તો કુરબાની અદા થઈ જશે.

(૪) માલિક પર કુરબાની વાજિબ થયા પછી જ વકીલ તેની કુરબાની ઝબહ કરી શકે છે :

                માલદાર મુકીમ માણસ જે સ્થળે રહેતો હોય તે સ્થળે દસમી ઝુલહજની સુબ્હે સાદિક તુલૂઅ થવાથી તેના ઉપર કુરબાની વાજિબ થાય છે, તેથી પહેલાં તેના ઉપર કુરબાની વાજિબ થતી નથી અને કોઈ માણસ પર કુરબાની વાજિબ થતાં પહેલાં તેની વાજિબ કુરબાની ઝબહ કરવી જાઇઝ નથી. માટે જે માલદાર લોકો પોતાની વાજિબ કુરબાની બીજી જગ્યાએ કરાવે છે, તેમની કુરબાની તેમના ઉપર કુરબાની વાજિબ થયા પછી જ કરવી ઝરૂરી છે, જો તેથી પહેલાં એટલે કે માલિકે કુરબાની માલદારના સ્થળે દસમી ઝૂલહજની સુબ્હે સાદિક થતાં પહેલાં તેમની કુરબાની બીજી જગ્યાએ ઝબહ કરવામાં આવશે તો તે અદા નહિ થાય અને વાજિબ થયા પછી બીજીવાર કરવું ઝરૂરી રહેશે. માટે બીજી જગ્યાએ પોતાની વાજિબ કુરબાની કરાવનાર માલદાર ભાઈઓ પોતાના વકીલને આ વાતની ખાસ સૂચના આપે કે તેમની કુરબાની તેમના સ્થળે સુબ્હે સાદિક થયા પછી જ ઝબહ કરવામાં આવે.

(પ) હાજી પર ઈદની કુરબાની :

                હજ પઢવા જનાર ભાઈ બહેનો માટે હવે મકકહ મુકર્રમહ, મિના, મુઝદલિફહ અને વુકૂફે અરફાતના દિવસો મુકીમની મુદ્દતમાં ગણાય છે, માટે મોટા ભાગના આફાકી હાજીઓ હવે હજના દિવસોમાં મુકીમ હોય છે, માટે જો તેઓ માલદાર પણ હોય તો તેમણે હજની કુરબાની ઉપરાંત ઈદની માલદારીની વાજિબ કુરબાની પણ આપવી પડશે, ચાહે આ કુરબાની હરમમાં આપે કે પોતાના વતનમાં આપે બન્‍નવ જગ્યાએ જાઈઝ છે.

(૬) ઝબહનો ગેર મકરૂહ તરીકો :

                જાનવર ઝબહ કરવા માટે ઝબહ કરનારે ‘બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર’ પઢીને ઝબહ કરવું, અને જાનવરની અન્‍નનળી, શ્વાસનળી અને તેની આજુબાજુની બે નસો જેમાંથી લોહી વહે છે, આ ચાર વસ્તુઓ કાપવી જોઈએ. જો આ ચારમાંથી ત્રણ કપાશે તો પણ જાનવર હલાલ થઈ જશે અને સામાન્ય રીતે જાનવરના મોઢાની નીચે તેના ગળામાં જે ગાંઠ હોય છે તે જગ્યા કાપવામાં આવે છે, હાલાંકે મજકૂર ગાંઠની નીચે સીના તરફથી જાનવર એ રીતે ઝબહ કરવું જોઈએ કે પૂરી ગાંઠ મોઢા તરફ બાકી રહે તાકે મજકૂર ચાર નળીઓ કપાવવામાં કોઈ શંકા ન રહે અને ચાર નળીઓ કપાઈ ગયા પછી જાનવર ઠંડુ પડતાં પહેલાં ગરદનની સફેદ રગ કાપવાની કોશિષ કરવી એ મકરૂહ છે, માટે તેનાથી બચવું જોઈએ.

                જયાં સુધી ઝબહ કર્યા પછી જાનવર ઠંડુ ન પડે ત્યાં સુધી તેના શરીરની વાઢ કાપ શરૂ ન કરવી જોઈએ, ન તેનું માથુ કાપી અલગ કરવું જોઈએ, અને ન તેનુ ચામડું ઉતારવાનું શરૂ કરવું જોઈએ, ઠંડુ પડતાં પહેલાં વાઢ–કાપ વગેરે મકરૂહ છે.

(૭) દરેક છરો પકડી ઝબહ કરનારે ‘બિસ્મિલ્લાહ’ પઢવી :

                સામાન્ય રીતે કુરબાનીનુ મોટું જાનવર ઝબહ કરવામાં આવે તો અનેક માણસો ભેગા થાય છે. તો તેવા સમયે જે માણસના હાથમાં છરો હોય અને જે ઝબહ કરે તે માણસે ‘બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર’ પઢવું ખાસ ઝરૂરી છે. બીજા હાજર લોકોએ પઢવું ઝરૂરી અને પુરતું નથી.

                એવી જ રીતે મૂળ ઝબહ કરનારના હાથમાંથી કોઈવાર બીજો માણસ છરો લઈને અથવા મૂળ ઝબહ કરનાર સાથે છરો પકડીને ઝબહ કરવામાં મદદરૂપ થાય છે તો આવી સૂરતમાં બીજા માણસે પણ બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર’ પઢવું ઝરૂરી છે જો ઈરાદા પૂર્વક અથવા એવુું સમજીને કે મૂળ ઝબહ કરનારની બિસ્મિલ્લાહ પૂરતી છે, બીજો માણસ બિસ્મિલ્લાહ નહીં પઢે અને છરાથી ઝબહ કરવામાં મદદરૂપ થશે તો ઝબહ કરેલું જાનવર હરામ થઈ જશે. (શામી – પ)

Log in or Register to save this content for later.