[૯૬] અલ્લાહ – રસૂલને ગવાહ બનાવી કરેલા નિકાહ

Chapter : નિકાહ

(Page : 138-139-140)

સવાલ,,એક મુસ્લિમ છોકરી સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ છે, તેણીએ ખુદા પાકને અને નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને ગવાહ બનાવી તેની જાતને મને બક્ષી દીધી છે, મેં તેણીને જણાવ્યું કે નિકાહ માટે દુનિયામાં બે ગવાહોની પણ જરૂર છે. તેણીએ જણાવ્યું શું તમોને અલ્લાહ અને રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ગવાહી દુનિયાના માણસોથી બેહતર લાગે છે, ઉપર મુજબ અમારી વાતચીત અલ્લાહના ફરિશ્તાઓએ અમારા નામએ અઅ્‌માલમાં નોંધ કરી છે અને હશરના મેદાનમાં નામએ અઅ્‌માલ રજીસ્ટર્ડમાં ઉપર મુજબની વાતચીત લખાયેલી જણાશે. હવે દુનિયાના ગવાહો નહિ હોવાથી દુનિયાવાળાઓને નિકાહની જાણ નથી, હવે દુનિયાને જાણ ખાતર દુનિયાના બે મુસ્લિમ ગવાહો વચ્ચે પોતે ઉપરોકત કરાર (ઈજાબો કબૂલ) જાહેર કરે તો નિકાહ થઈ જશે કે નહિ? વળી તેણીએ કસમ ખાઈને જણાવ્યું હતું કે હું બીજી વ્યકિત સાથે નિકાહ કરીશ નહીં, આ પ્રમાણે તેણીએ વાયદો પણ કર્યો હતો.

                ઉપરોકત પૂછેલી સૂરતનો જવાબ જલ્દી આપવા ગુજારીશ છે.

જવાબઃ– પ્રથમ એ મસ્અલો સમજી લેવો જોઈએ કે નિકાહ જાઈઝ અને દુરસ્ત થવા માટેની શર્તો પૈકી એક શર્ત આ છે કે નિકાહના ઈજાબો  – કબૂલ વખતે એવા બે મુસ્લિમ બાલિગ ગવાહો હાજર હોવા જોઈએ જે મર્દ અને ઓરતના ઈજાબો – કબૂલ સાંભળે, જો ગવાહ વગર ઈજાબો કબૂલ કરવામાં આવે તો અલ્લાહ તઆલા અને રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ગવાહીથી નિકાહ કરવાથી નિકાહ જાઈઝ અને દુરસ્ત નહીં ગણાય. અને એવા નિકાહથી પુરુષ અને સ્ત્રી લગ્ન સંબંધથી નહીં જોડાય અને પોતે પત્ની નહીં બને. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે ગવાહો વિના નિકાહ થઈ શકતો જ નથી. (દારે કુત્ની) બીજી હદીસમાં છે કે જે ઓરતો પોતાની જાતના નિકાહ વિના ગવાહોએ કરી લે તે ઝિનાકાર ઓરતો છે. (તિરમિઝી, ફત્હુલ કદીરઃ ૧૧૧ – ૩)

                ત્રીજી હદીસમાં છે કે નિકાહને લોકો સામે જાહેરમાં કરો. (તિરમિઝી)

                ઉપરોકત હદીસના આધારે પૂરી ઉમ્મત એ વાત ઉપર સર્વ સંમંત છે કે કોઈ નિકાહ સ્ત્રી – પુરુષ એકાંતમાં અને ખાનગીમાં (કમથી કમ ગવાહો સામે પણ જાહેર કર્યા વિના) નિકાહ પઢી લે તો તે નિકાહ શરીઅતની રૂએ દુરસ્ત અને જાઈઝ નહીં ગણાય. જેમ દુનિયામાં બીજા મામલાઓમાં ગવાહ તરીકે અલ્લાહ તઆલા અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ગવાહીનો આસરો લેવો દુરસ્ત નથી, તેમ નિકાહના મામલામાં પણ દુરસ્ત નથી. કુર્આને કરીમમાં ઈન્સાનોને પારસ્પરિક કારોબારમાં ખુદ ઈન્સાનોમાંથી સાક્ષી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

                અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ગવાહીથી નિકાહ કરવા તો ગુનાહથી પણ ખાલી નથી, બલ્કે અમુક આલિમો તો લખે છે કે માણસ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ગવાહીથી નિકાહ કરે તો કાફિર થઈ જાય છે, કારણ કે ગવાહ તેને જ બનાવવામાં આવે, જે ગવાહીથી સંબંધિત મામલાને જોવે – જાણે અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને ગવાહ બનાવવાથી એ સાબિત થાય છે કે આપને ગવાહ બનાવનાર એવી માન્યતા રાખે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) આલિમુલ ગૈબ છે, હાલાંકે આલિમુલ ગૈબ હોવું તો માત્ર અલ્લાહ તઆલાની જ સિફત છે.     (દુર્રે મુખ્તાર –શામીઃર /ર૭૬)

                માટે તમારા માટે અત્યંત જરૂરી છે કે જો તમો તે સ્ત્રી સાથે નિકાહ કરવા ચાહો તો કમથી કમ બે મુસ્લિમ ગવાહો સમક્ષ તમો બન્‍ને પોતાના નિકાહના ઈજાબો – કબૂલ જાહેર કરી નિકાહ કરો, ત્યાર પછી જ તમારા નિકાહ દુરસ્ત થશે અને ત્યાર પછી જ તમો બન્‍ને માટે સાથે મળી પતિ – પત્ની તરીકેનું જીવન ગુજારવું હલાલ અને જાઈઝ ઠરશે.     (શામી–ર)

Log in or Register to save this content for later.