[૪૦૧] ઈમામે કિબ્લા રૂખ બેસીને દુઆ કરવી

Chapter : નમાઝ

(Page : 425)

સવાલ :– ફર્ઝ નમાઝ પૂરી કર્યા પછી ઈમામ સાહેબે પોતાનું મુખ મુસલ્લીઓ તરફ કરવું જોઈએ અને પછી દુઆ માગવી જોઈએ, ઈમામ સાહેબ ઝોહર,મગરિબ અને ઈશાની ફર્ઝ નમાઝ પૂરી કર્યા પછી દુઆ પણ તેજ હાલતમાં માંગી લે છે, પોતાનું મોઢું મુસલ્લી તરફ ફેરવતા નથી તો એ બાબત શું હુકમ છે ?

જવાબ :– ઈમામ સાહેબે નમાઝની સલામ ફેરવ્યા પછી કિબ્લારૂખ બેસીને દુઆ માંગવી જાઈઝ છે. અને હદીષ શરીફથી સાબિત છે. હઝરત અબૂ હુરૈરહ (રદિ.) નકલ કરે છે કે હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.) એ નમાઝની સલામ ફેરવ્યા પછી કિબ્લારૂખ હોવાની હાલતમાં પોતાના બન્ને હાથ ઉઠાવ્યા અને દુઆ ફરમાવી કે હે અલ્લાહ વલીદ બિન વલીદને નજાત અતા ફરમાવો. (મઆરિફુસ્‌ સુનન – ૩/૧રર) અલ્લામહ યૂસુફ બિન્નોરી (રહ.) લખે છે કે હઝરત અબૂ હુરૈરહ (રદિ.)ની આ હદીષથી કિબ્લા રૂખ દુઆ કરવાનું પણ સાબિત થાય છે માટે નમાઝ પછી ઈમામ સાહેબે દુઆ કરવાની બન્ને સૂરતો (કિબ્લા તરફ મોઢું કરવાની અને મુકતદીઓ તરફ મોઢું કરવાની) હદીષથી સાબિત છે. (મઆરિફ –૩/૧ર૪) બલકે આજકાલ ઝોહર, મગ્રિબ અને ઈશાની નમાઝ પછી ઈમામ સાહેબ દુઆ કરતી વખતે મુકતદીઓ તરફ મોઢું ન કરે, એ જ અફઝલ છે અને કરાહત મુકત છે કારણ કે ઈમામ સાહેબની સલામ પછી મસબૂક મુકતદીઓ પાછળની સફોમાં નમાઝ પઢતા હોય છે અને નમાઝીની સામે મોઢું કરીને બેસવું મકરૂહ છે. ”ઝખીરહ”માં અલ્‌ અસલ (મબસૂત)થી ઈમામ મુહમ્મદ (રહ.)નું મંતવ્ય નકલ કર્યુ છે કે અગર ઈમામ ચાહે તો મુકતદીઓ તરફ મોઢુ કરે એ શર્તે કે ઈમામની સામે કોઈ માણસ નમાઝ ન પઢતો હોય. (શામી ભા–૧/૪૩૩)

Log in or Register to save this content for later.