[૧૩૪] લાપતા પતિની ઓરતના બીજા નિકાહ

Chapter : નિકાહ

(Page : 175-176)

સવાલ :– અમારે ત્યાં એક છોકરીની શાદી પચાસ વર્ષના એક માણસ સાથે થઈ હતી. આ શાદીને છ–સાત વર્ષ થઈ ગયા છે. મજકૂર માણસ તેની આ પત્ની સાથે બે વર્ષ સુધી રહયો. આ દરમિયાન આ છોકરીને હમલ રહી ગયો અને હમલને સાત મહિના થયેથી, તે માણસ આ ઓરતને તેના માં–બાપના ઘરે મૂકી ગયો અને ત્યાં તેણે બાળકને જન્મ આપ્યો. છેલ્લા ચાર વર્ષોથી આ ઓરત પોતાના પિયરમાં છે, તેના માં–બાપ હયાત નથી, તેણી પોતાના કાકાને ત્યાં રહે છે. આ ઓરત હજુ યુવાન છે અને આ ઓરતના પતિનો કોઈ પત્તો નથી અને તેના સગા–સંબંધીઓ કહે છે કે અમોને એ પણ ખબર નથી કે તે હયાત છે કે  મરી ગયો છે. તો મજકૂર ઓરત કોઈ ગલત પગલું ભરે તેથી પહેલાં અમારે શું કરવું જોઈએ? શું આ ઓરતની બીજા કોઈ પુરૂષ સાથે શાદી કરાવી શકાય છે? જો આ ઓરતની બીજા કોઈ પુરૂષ સાથે શાદી ન કરાવી શકાતી હોય તો હવે તેના માટે શું ઉપાય છે? તે બતાવશો.

જવાબ :– લાપતા પતિની ઓરત માટે હનફી ફિકહમાં હુકમ આ પ્રમાણે છે કે તે લાપતા પુરૂષની આબાદીના તેની ઉંમરના બધા લોકો વફાત ન પામે ત્યાં સુધી તે લાપતા માણસને હયાત સમજવામાં આવશે અને મજકૂર ઓરત તેના નિકાહમાં બાકી ગણાશે માટે જો ઓરત સબ્ર કરી શકતી હોય તો મજકૂર મુદ્દત સુધી તેણે રાહ જોવી અને હનફી ફિકહની પાબંદી કરવી જરૂરી છે અને ત્યાં સુધી બીજા નિકાહ કરવા જાઈઝ નથી, જયારે પતિની આબાદીના પતિના હમ ઉમર લોકોની વફાત સુધી પતિનો કોઈ પત્તો ન મળે તો પોતાના સ્થળથી નજદીક હોય એવા કોઈ દારૂલ ઉલૂમના મુફતી સાહેબથી ઓરત પોતાની પરિસ્થિતિ રજૂ કરી શરઈ પંચાયત વિશે અને તેમાં પોતાના લાપતા પતિની વફાતનો ફેંસલો મેળવવા બાબત અરજી આપવાની રેહબરી હાસિલ કરે અને તેઓની રેહબરી મુજબ કાર્યવાહી પૂરી થયા પછી અને પતિની વફાતનો ફેસલો મેળવ્યા પછી ઈદ્દતે વફાત પૂરી કરીને બીજા કોઈ પુરૂષ સાથે નિકાહ કરવા જાઈઝ બનશે.

                અને જો મજકૂર ઓરતના જવાન હોવાથી આટલી લાંબી મુદ્દત રાહ જોવામાં તેને ગુનાહમાં સંડોવાય જવાનો ભય હોય અથવા તેના ભરણ પોષણની કોઈ વ્યવસ્થા ન થઈ શકતી હોય તો આવી સખત મજબૂરીની સૂરતમાં એ વાતની ગુંજાઈશ છે કે માલિકી ફિકહ પ્રમાણે લાપતા પતિના નિકાહમાંથી મુકત થવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે અને આ કાર્યવાહી માટે પણ ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં શરઈ પંચાયતમાં અરજી આપવી અને તેનાથી ફેસલો મેળવવો જરૂરી છે. માટે આ બીજી સૂરતમાં પણ પોતાના સ્થળથી નજદીકના કોઈ દારૂલ ઉલૂમના મુફતી સાહેબથી પોતાની પરિસ્થિતીની રજૂઆત કરી શરઈ પંચાયત અને તેમાં અરજી દેવાની પધ્ધતિની માહિતી પ્રાપ્ત કરવામાં આવે અને તેઓના માર્ગદર્શન મુજબ અમલ કર્યા પછી અને શરઈ પંચાયતની કાર્યવાહી સંપૂર્ણ થયા પછી અને તેના સભ્યોને યોગ્ય જણાય તે મુજબ પતિની વફાત અથવા તલાકનો ફેસલો મળ્યા પછી ઈદ્દત પૂરી કરીને જ બીજા નિકાહ કરવા જાઈઝ બનશે. ઉપરોકત લખેલી વિગત મુજબ શરઈ પંચાયતની કાર્યવાહી અને ફેસલા વિના હાલ તુરત બીજા નિકાહ કરવાની કોઈ સૂરત જાઈઝ નથી. ફકત શરઈ પંચાયતની કાર્યવાહી વડે જ અમુક વર્ષો પછી બીજા નિકાહ કરવાની ગુંજાઈશ નીકળી શકે છે.                     (અલ હીલતુન નાજિઝહ)

Log in or Register to save this content for later.