Chapter : નિકાહ
(Page : 150-151-152)
સવાલઃ– હું તમારું ‘દારુલ ઉલૂમ’નું નિયમિત વાંચન કરતી યુવતી છું અને તેમાં આવતા તમામ લેખોની મદદથી મારી ઘણી સમસ્યાઓ દૂર થઈ છે અને ઈમાન પાકુ થયું છે, ખાસ કરીને ”ફતવા વિભાગ’માં આવતા પ્રશ્નોના જવાબથી ઘણી સમસ્યા દૂર થઈ છે.
આ પત્ર લખતી વખતે મને ખૂબ સારી રીત ખબર છે કે ઈસ્લામમાં પે્મ લગ્ન કે કોઈકની સાથે પ્રેમ હોવો એ બાબતને સ્થાન જ નથી, મહેરબાની કરીને મને ખરાબ ના માનશો. હું એક ચુસ્ત મુસ્લિમ ઘરની, અલ્લાહની હિદાયતથી પાંચ વખતની નમાઝ પઢતી યુવતી છું અને મારા ઘરમાં અલ્લાહની મહેરબાનીથી સારું દીન છે. અને એ જ કારણથી મારે આ પત્ર લખવો પડયો છે, મારે મારા મા–બાપની ના ફરમાની નથી કરવી, મારે તો હમેશા મારા મા–બાપ મારાથી ખૂશ રહે અને એમના દિલમાંથી મારા માટે દુઆઓ નિકળે એવું જ ઈચ્છું છું કારણ કે મા – બાપ નારાજ હોય તો અલ્લાહ નારાજ રહે છે અને જેનાથી અલ્લાહ નારાજ હોય તો તેની દુન્યા અને આખિરત બન્ને બગડે છે, એટલે જ મહેરબાની કરીને મારી સમસ્યાનો ઉકેલ દીની રીતે કુર્આનની રીતે આપવા ખૂબ – ખૂબ વિનંતી.
હવે મૂળ વાત પર આવું છે, એક હિન્દુ યુવક મને પસંદ કરે છે અને મને પણ એ યુવક ગમે છે, એ યુવક મારા માટે (મારી સાથે શાદી કરવા માટે) કશું પણ કરવા તૈયાર છે, આ યુવક સંપૂર્ણપણે આજીવન મુસ્લિમ બનવા માટે તૈયાર છે, આજની તારીખે તે ફજરની નમાઝ અને ઈશાની નમાઝ સારી રીતે અદા કરે છે, તેને પાંચેવ કલમા, દુરૂદ શરીફ, આયતુલ કુરસી, દુરૂદે ઈબ્રાહીમ, દુઆએ માસૂરા, અત્તહિય્યાત, ખુબ સારી રીતે આવડે છે. ”અલમ તર” થી લઈને અલહમ્દુ સુધીની દસ સૂરત સારી રીતે આવડે છે.
ઈસ્લામની બીજી સુન્નતો જેમ કે ખાવાની રીત, ગુસલની રીત, વુઝુનો તરીકો, ખાવાની દુઆ, સુવાની દુઆ વગેરે ઘણું બધું આવડે છે, તે હંમેશા બેસીને પેશાબ કરે છે અને હાથ – પાણી ભુલ્યા વિના લે જ છે.
સૌથી મહત્વની વાત કે તે યુવક ”સુન્નત” (ખત્ના) કરાવ્વા પણ તૈયાર છે અને આજીવન મુસ્લિમ બનીને રહેવા તૈયાર છે. મારી સાથે નિકાહ કરી હજ કરવા જવા પણ સંપૂર્ણ તૈયારી બતાવે છે.
હવે આ બધુ વાંચ્યા પછી તમે દીની રીતે, કુર્આનની રોશનીમાં મને જણાવો કે આ યુવક સાથે મારા નિકાહ કેટલા શકય અને કેટલા યોગ્ય છે? મહેરબાની કરીને મારા પ્રશ્નનો જેમ બને તેમ જલ્દી જવાબ આપવા વિનંતિ, કારણ કે તમારા જવાબ પછી જ હું ઘરમાં મારા મમ્મી પપ્પાને વાત કરીશ.
અને આ વાત માટે મારા મમ્મી – પપ્પા કેવી રીતે રાજી થશે ? એમને સમજાવવાનો કોઈ રસ્તો તમે જ મને બતાવશો.
જવાબઃ– ઓરત માટે કોઈ પરાયા પુરુષથી સંબંધ રાખવો અને ખાસ કરીને ગેર મુસ્લિમ પુરુષ સાથે એ સખત ગુનાહનું અને હરામ કૃત્ય છે, જેવી રીતે નમાઝને ફર્ઝ સમજી પઢો છો, બીજી નેકીઓ કરો છો, એવી જ રીતે દીન–ઈમાનની હિફાઝત માટે હરામ કૃત્યોથી બચવું જરૂરી છે.
તમારા પ્રયાસોથી એક ગેર મુસ્લિમ ભાઈને ઈમાનની દોલત મળે એ પણ ખૂબ જ નેકીનું કામ છે, પરંતુ નવ મુસ્લિમ સાથે શાદી કરવા માટે તમારા મમ્મી – પપ્પાની રઝામંદી અને તેમની ફરમાબરદારી જરૂરી છે, જો તમે પપ્પાની મરજી વિરૂધ્ધ નવ મુસ્લિમ સાથે નિકાહ કરશો તો એ નિકાહ બરાબર નહિ ગણાય, એટલે આ બાબત તમારે સૌ પ્રથમ પપ્પાને સમજુત કરવા અને રાજી કરવા જરૂરી છે, જો તમારા પપ્પા–મમ્મી રાજી થઈ જાય તો તમે નવમુસ્લિમ દીનદાર પુરુષ સાથે નિકાહ કરી શકો છો અને મહાન નેકી હાસિલ કરી શકો છો, પરંતુ જો તમારા પપ્પા રાજી ન હોય તો તમારા માટે મજકૂર નિકાહ નેકી નહીં ગણાય. (શામીઃ ર)
Log in or Register to save this content for later.