Chapter : નિકાહ
(Page : 146-147-148-149)
સવાલ :– હું ર૬ વર્ષનો છુટાછેડા વાળો એકલો મારા જૈફ વાલિદૈન સાથે રહેનારો યુવક છું, મારી પહેલી શાદીની તલાક ૧૯૮૮ જુનમાં થઈ હતી, તેનાથી મારે ત્રણ અવલાદ છે બે છોકરીઓ અને ૧ છોકરો. જયારે તલાક થઈ ત્યારે બે છોકરીઓ સ્કૂલમાં ભણતી હતી અને છોકરો નાનો ધાવણો આઠ માસનો હતો, પરિણામે મારી તલાક શુદા ઓરત મારી બન્ને દિકરીઓને અમારી પાસે છોડીને નાના ધાવણા બાળકને સાથે લઈ પોતાના માં–બાપને ત્યાં જતી રહી, છોકરો ધાવણથી છુટયા બાદ વરસ–બે વરસનો થાય ત્યારે અમને સોંપી દેવાની તેની પાસે બાંયધરી લીધી હતી, તેમ છતાં તે છોકરો તેણે આજ સુધી તેની પાસે જ રાખેલ છે, અમોને આપેલ નથી કે તેણે બીજી શાદી પણ કરી નથી, મેં પણ હજુ સુધી બીજી શાદી કરી નથી, સગાની અને કરીબી રિશ્તેદારની જ છોકરીને ફારગતી આપી દેવાથી સમાજમાં ઘણા વિપરિત પ્રત્યાઘાતો પડવાથી મારા મામલામાં વચ્ચે પડીને તે જ ઓરત સાથે ફરી સમાધાન કરાવવા કે મારી બીજે શાદી કરાવવા કોઈ કરતાં કોઈ રિશ્તેદારો – સબંધીઓ આગળ આવેલ નથી, અમારા વ્યકિતગત પ્રયત્નોમાં પણ ભૂતકાળ નડતા ગોઠવાયેલી વાત પણ ઘણીવાર રદ થઈ ચુકી છે, આમને આમ ૧પ થી ૧૬ વર્ષનો ગાળો નીકળી ગયો. દરમ્યાન મારી પાસે રહેતી બન્ને દિકરીઓને પઢાવી – ભણાવી દરેક પ્રકારની ઘરેલું તા’લીમ આપી, યોગ્ય ઘરોમાં પરણાવી આપી છે. અને અલ્લાહના ફઝલો કરમથી બન્નેવ દિકરીઓ ખુશ અને સુખી છે, તેમને પણ એક એક ઔલાદ થઈ ચુકી છે.
હવે મારા વાલિદૈન વુધ્દ્વ થવાથી તબિયત નાદુરસ્ત રહે છે, ઘરમાં કોઈ જ તેમની ખિદમત કરનાર નથી આ સંજોગોમાં ઘરમાં કામ કરતી કામવાળી જે જ્ઞાતિએ દૂબળી છે નામ બેબી બેન છે જે દરેક રીતે છેલ્લા બે ત્રણ વર્ષથી અમારી ખૂબ સારી રીતે ખિદમત કરે છે તે વિધવા અને બે છોકરાવાળી બાઈ છે અને સ્વતંત્ર રહે છે, તેનું પોતાનું નાનું ઘર છે. એક છોકરો ૧પ વર્ષનો કાઠિયાવાડ તરફ તેના ફોઈને ત્યાં રહીને નોકરી કરે છે, બીજો છોકરો ૧૦ વર્ષનો તેની પાસે છે, સાથે આ બેબીબેન સર્વ પ્રકારની ઘરેલુ યોગ્યતા અને વાણી–વર્તન વહેવાર– વિવેક વગેરેમાં ખૂબ જ સારી હોવાથી અને અમારા ઘણાં જ પ્રતિકૂળ સંજોગો હોવાથી તેને મેં મારી સાથે શાદી માટે રાજી કરેલ છે, ગૈર મુસ્લિમમાંથી મુસ્લિમ બનાવી ફાતેમા બીબી નામ આપી આલિમા બેન પાસે જરૂરી દીની તાલીમ અપાવી તેમની સાથે નિકાહ કરવાનો મારો પાકો ઈરાદો હોય મારા વાલિદૈન પણ રાજી છે, તો મારો આ અભિગમ આપની દ્રષ્ટિએ શરીઅતની રોશનીમાં કેવો છે? યોગ્ય છે કે અયોગ્ય તે ખુલાસાવાર જણાવવા મહેરબાની કરશો, માહે રમઝાન સુધી તેને જરૂરી તાલીમ અપાવી રમઝાનુલ મુબારક બાદ થતા સમુહ નિકાહના સંમેલનમાં તેની સાથે નિકાહથી જોડાવવાનો પૂરેપૂરો વિચાર છે.
તો આપ મુરબ્બી મને યોગ્ય જવાબ સલાહ–સુચનો અને આપનું શરઈ રીતે અતિ કિંમતી માર્ગદર્શન આપી આભાર ફરમાવશો.
તા.ક.:– પહેલી ઓરતને તલાક આપ્યા બાદ સમાજમાં પહેલા આઘાતજનક પ્રત્યાઘાતને કારણે ૧૯૮૮ થી ૧૯૯૮ સુધીના દસ વર્ષ સુધી તેજ ઓરત સાથે ફરીથી સમાધાન કરી હલાલો કરાવી ફરી નિકાહ કરવાના તમામ પ્રયત્નો નિષ્ફળ નિવડયા.
હમણા આ બેબી બેન જેની ઉંમર ૩પ વર્ષ છે, તેઓ બે વર્ષથી અમારા ઘરનું સર્વ કામ કાજ નિષ્વાર્થભાવે મામૂલી તનખાથી કરે છે, તેમણે મારી અને પોતાની દુઃખી જિંદગીનો એકલવાયાપણાનો પૂરેપૂરો વિચાર કરીને મને મારા કામ ધંધામાં કયારેક નાણાંભીડ આવી પડે ત્યારે પણ તરત મને આર્થિક સહાય વગર માંગ્યે આપે છે. મારા વાલિદૈનની ખિદમત પણ ખૂબ જ સંતોષકારક રીતે કરે છે. એવી મારી આર્થિક અને પરિવારિક કોઈ પણ મુશ્કેલીઓમાં હંમેશા તન – મન – ધનથી સમર્પિત રહીને મારું તથા મારા વાલિદૈનનું દિલ જીતી લીધુ છેં અને ઘરસંસાર માંડવા તથા ચલાવવાની તમામ આવડત ધરાવતી હોવાથી તેના મામૂલી રંગરૂપ કે નાતજાતની પરવા ન કરીને માત્ર તેના અખ્લાક – આદર્શો અને સર્વ રીતે નિસ્વાર્થ ભાવે સમર્પણની નેક ભાવનાથી પ્રભાવિત થઈને હું તેની સાથે નિકાહ કરવા તૈયાર છું, જેનો તેણે સહર્ષ સ્વીકાર પણ કર્યો છે. બસ આપ મુરબ્બીના યોગ્ય માર્ગદર્શનનો ઈન્તેઝાર છે.
જવાબઃ– આપે પોતાની અને પોતાના ઘરની જે પરિસ્થિતી વર્ણન કરી છે અને એક પછાત જાતિની બેવા બહેનના ઈસ્લામ સ્વીકાર પછી નિકાહ કરવાની જે વાત લખી છે તે ખૂબ જ આવકારદાયક છે. સ્વેચ્છાએ, સ્વખૂશીથી મજકૂર બહેનનો ઈસ્લામ સ્વીકાર એ જ મોટી ખૂશીની બાબત છે. વળી આવી નિરાધાર અને પોતાને ત્યાં મજૂરી નોકરી કરતી બહેનથી નિકાહ કરવા અને તેને ઈસ્લામી તા’લીમ આપવી – અપાવવી એ એક હદીસની દ્રષ્ટિએ ઘણી ફઝીલતની વાત અને કાર્ય છે.
તે બહેન જલ્દી ઈસ્લામ સ્વીકાર કરી લે અને આપ તેનાથી જલ્દી શાદી કરી લો અમુક કારણોથી એ પણ બેહતર છે. તાકે પરાઈ ઓરતથી બે પરદગી અને બદનઝરીના ગુનાહનો સંભવ ન રહે, નિકાહ પછી પણ તમો તેને ઈસ્લામી તા’લીમ આપી અપાવી શકો છો, સમૂહમાં નિકાહ કરવા કોઈ જરૂરી નથી. (શામી ભા.ર)
Log in or Register to save this content for later.