Chapter : નિકાહ
(Page : 169-170)
સવાલઃ– એક મુસ્લિમભાઈ પોતાની ઓરત તથા અવલાદમાં એક છોકરો અને બે છોકરીઓ તથા બાપની સાથે ઘરમાં રહે છે, શાદી થયાને લગભગ ૧૮ વર્ષ પૂરા થયા, ત્યાર બાદ એ ભાઈએ પોતાની ઓરત તથા બાપની ઈજાઝત લીધા વગર બીકના માર્યા ચોરી છુપીથી કોર્ટમાં રજિસ્ટર્ડ કરાવી એક મોલ્વી સાહેબ તથા વકીલ અને શાહિદની રૂબરૂ નિકાહ કરી લીધા છે, હવે જે ઓરતથી હાલમાં નવા નિકાહ કર્યા છે તે પોતાની પહેલી ઓરતની સગી માસી થાય છે, હવે એ ભાઈની પહેલી ઓરત તથા ઓરતના મા–બાપ અને સગાં–સંબંધીઓ આ નિકાહનો વિરોધ કરે છે, સમાજની દ્રષ્ટિએ ઓરત તથા સગા સંબંધીઓ આ નિકાહને પોતાની ઈઝઝત માટે કલંકરૂપ ગણે છે, પણ આ ભાઈએ શરીઅત પ્રમાણે ચોરી છુપીથી નિકાહ કરી લીધા હોય અને કોર્ટ તેમજ નિકાહના સર્ટિફિકેટ પણ પૂરાવારૂપે રજૂ કરી રહેલ છે, તો આ પ્રમાણે ઓરત અને બાપની ઈજાઝત વગર આ નિકાહ સહીહ ગણાશે કે નહીં ? તેનો ખુલાસાવાર જવાબ આપશો.
તા.કઃ– સદરભાઈએ પોતાની પહેલી ઓરતને તલાક આપી નથી, હાલમાં એની સાથે રહે છે, બન્નેવ ઓરતોને સાથે જ રાખવા માંગે છે નવી ઓરતને નિકાહ બાદ પોતાના ઘરે લાવેલ નથી, આપના તરફથી જવાબ બાદ આગળ નિર્ણય કરશે.
જવાબ :– પહેલી ઓરતના નિકાહમાં હોવા છતાં તે ઓરતની સગી માસીથી કરેલા નિકાહ નાજાઈઝ અને હરામ છે, એક સાથે એવી બે ઓરતોને પોતાના નિકાહમાં રાખવી જાઈઝ નથી જે બે ઓરતો વચ્ચે માસી–ભાણકી હોવાની રિશ્તેદારી હોય, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છેઃ ”પોતાની ઓરતની ભત્રીજી અને ભાણકીથી નિકાહ ન કરી શકાય, અને પોતાની ઓરતની ફોય અને માસીથી પણ નિકાહ ન કરી શકાય” પુછેલી સૂરતમાં પોતાની ઓરતની માસીથી કરેલા નિકાહ દુરસ્ત નથી, માટે તે બીજી ઓરતને પોતાની ઓરત ન સમજવામાં આવે અને પોતાની પત્ની તરીકે તેની સાથે સંબંધ ન રાખે, બલ્કે માસી – સાસુ તરીકે જ સંબંધ રાખે. (હિદાયહ – બદાઈઅ)
Log in or Register to save this content for later.