[ર૧૧] ઉમરહના વીઝા પર જઈ ત્યાં સંતાઈને રહેવું અને હજ કરવું

Chapter : હજ

(Page : 267-268)

સવાલઃ – કોઈ માણસને ૧પ દિવસની ઉમરહની વીઝા મળી હોય  અને તે ઉમરહ કરીને ચોરી છૂપીથી ત્યાં રહીને હજ પઢીને આવે તો તે હજ પઢી તે કેવી છે ? શું હજ અદા થશે જો તેના ઉપર હજ ફર્ઝ થઈ હોય તો તે ચોરી છુપીથી પઢેલી હજ અદા થશે કે કેમ ? અને ન થાય તો ફરીથી પઢવી પડશે કે કેમ? અને કુર્બાનીની માફક હજ ફર્ઝ ન હોય અને પઢે જે અદા ન થાય તો ફરીથી પઢવી કે કેમ? એવી જ રીતે હુકૂમતની ચોરી વિષે શરીઅત શું કહે છે?

જવાબ :– મજકૂર માણસે જયારે માત્ર ૧પ દિવસની ઉમરહની વીઝા લીધી હતી તો સઉદી સરકાર સાથેના વીઝાના કોલ કરાર મુજબ તેણે ચાહે તે ઉમરહ કરીને મુદ્દત પૂરી થયા પછી વાપસ આવી જવું જોઈતું હતું અથવા વીઝાની મુદ્દત વધારવાની અરજી કરવી જોઈતી હતી અને સરકારે તેને હજ કરવાની પરવાનગી આપવી જોઈતી હતી કારણકે હઝરત રસુલૂલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પોતાના સમયમાં હરમે મકકહ મુર્કરમહના વ્યવસ્થાપકોથી ફરમાવ્યું હતું કે હે અબ્દે મનાફના કબીલાના લોકો ! તમો રાત દિવસની કોઈપણ ઘડીમાં આ ઘરના તવાફ કરવા ઈચ્છતા અથવા નમાઝ પઢવા ઈચ્છતા માણસને તવાફ અને નમાઝથી ન રોકશો. (તિરમિઝી શરીફ) જયારે ગમે ત્યારે હરમે મુહતરમમાં નમાઝ પઢવી અને તવાફ કરવો એ પ્રત્યેક મુસલમાનનો હકક છે જે શરીઅતથી સાબિત છે, માટે હજ કરનાર ને ચોરી કરનાર નહી કહેવાય અને તેની હજ જાઈઝ અને દુરસ્ત ગણાશે અને ફર્ઝ – નફલ કરવાની જે નિય્યતથી હજ કરી હોય તે મુજબ સહીહ અદા થયેલી ગણાશે તેની કઝા જરૂર નથી, અલબત્ત, ત્યાં રહેવાની મુદ્દત વિષે સરકારી કોલ કરારનો ભંગ કર્યો તે વિષે અલ્લાહ તઆલાથી તવબહ ઈસ્તિગફાર કરવો જોઈએ.

Log in or Register to save this content for later.