Chapter : નિકાહ
(Page : 107-108-109)
સવાલ :– અમારા શહેરમાં મોટા ભાગના લોકો મુહર્રમના મહિનાને ગમીનો મહિનો સમજે છે અને આ મહિનામાં શાદી અથવા બીજું કોઈ ખૂશીનું કામ કરવાને ગલત અને હરામ સમજે છે. તો શું આ મહિનામાં નિકાહ કરવા ગલત છે અથવા સુન્નત ? અગર સુન્નત હોય તો હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ આ મહિનામાં કોની સાથે નિકાહ કર્યા હતા? જો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ આ મહીનામાં કોઈ નિકાહ ન કર્યા હોય તો સહાબએ કિરામ (રદિ.) માંથી કોઈ સહાબી (રદિ.)એ નિકાહ કર્યા હોય અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તેમને મનાઈ ન ફરમાવી હોય એ જણાવશો અથવા આ મહિનામાં બીજો કોઈ ખૂશીનો ઐતિહાસિક પ્રસંગ બન્યો હોય તો તે જણાવશો.
એ વાત યાદ રહે કે આ મહિનામાં હઝરત હુસૈન(રદિ.)ની શહાદતની ઘટનાને મોટા ભાગના મુસ્લિમો નજર સમક્ષ રાખીને તેને ગમીનો મહિનો સમજે છે, અલબત્ત ઘણા હઝરાતે અંબિયાઅ (અલ.)ને આ મહિનામાં તકલીફોથી નજાત મળી તેને અને મહિનાની અસલ હકીકતને લોકો ભૂલી ચૂકયા છે. તો આપ આ બાબત સહીહ હદીષોની રોશનીમાં જવાબ આપશો. અમારે ત્યાં દીનદાર લોકો પણ સમાજના ડરથી આ મહિનામાં શાદી કરવાથી બચે છે, જયારે કે અમારા મુફતી સાહેબે તો કહયું છે કે આ મહિનામાં શાદી કરવી પણ જાઈઝ અને સુન્નત છે.
જવાબ :–માહે મુહર્રમમાં કોઈ નહૂસત અને બેબરકતી નથી. આ મહિનો તો અશ્હૂરે હુરુમ (હુર્મત અને ઈઝઝત અઝમતવાળા મહિનાઓ) માંથી છે. અનેક હઝરાત અંબિયા (અલ.)ને આ મહિનાઓમાં ઘણી મોટી મોટી આફતો અને તકલીફોથી નજાત મળી છે અને સારી સારી ઘટનાઓ બની છે. હઝરત મૂસા (અલ.) અને તેમની જમાઅતને મુહર્રમની દસમી તારીખે ફિરઔન અને તેની જમાઅતથી આ પ્રમાણે નજાત મળી કે તેઓ દરિયામાં ડૂબવાથી બચી ગયા અને ફિરઔન તેની જમાઅત સાથે હઝરત મૂસા (અલ.)નો પીછો કરતાં દરિયામાં ડૂબી ગયો. હઝરત આદમ (અલ.)ની તવબહ કબૂલ થઈ – હઝરત ઈદ્રીસ (અલ.)ને મકામે આ’લાની રફઅત મળી – હઝરત નૂહ (અલ.)ની કશ્તી તૂફાનથી નજાત પામી જૂદી પહાડ ઉપર થોભી ગઈ – હઝરત ઈબ્રાહીમ (અલ.)ની વિલાદત થઈ, તેઓને ખલીલ બનાવવામાં આવ્યા અને નારે નમરૂદથી નજાત મળી – હઝરત દાઉદ (અલ.)ની તવબહ કબૂલ થઈ. હઝરત ઈસા (અલ.)ને આસમાન પર ઉઠાવવામાં આવ્યા – હઝરત યૂનુસ (અલ.) માછલીના પેટમાંથી બહાર આવ્યા – હઝરત સુલૈમાન (અલ.)ને બાદશાહત મળી. (તન્બીહ) (ચાહે આ ઘટનાઓમાંથી ઘણી ઘટનાઓ સહીહ હદીષોથી સાબિત નથી.)
માટે આ મહિનાને ગમીનો મહિનો સમજવો અને તેમાં નિકાહ કરવાને મનહૂસ સમજવું એ બિલકૂલ ગલત અને બેબુનિયાદ ખયાલ છે. આ મહિનાને ગમી અને માતમનો મહિનો સમજવો એ શીઅહ લોકોનો ગલત અકીદહ છે. હઝરત હુસૈન (રદિ.)ના આ મહિનામાં શહીદ થવાથી તે ગમીનો મહિનો નહિ ગણાય. જો કોઈ સહાબીના કોઈ મહિનામાં શહીદ થવાથી તે મહિનો ગમીનો અને મનહૂસ ગણાતો હોય તો પછી તો મુહર્રમ સિવાય બીજા મહિનાઓમાં પણ મહાન સહાબએ કિરામ (રદિ.) શહીદ થયા છે. ખૂદ હઝરત હબીબે પાક (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના દાંત મુબારક પણ ગઝવએ ઉહૂદમાં શહીદ થયા છે. તો તે બીજા મહિનાઓને પણ ગમીના મહિના અને મનહૂસ ગણવા જોઈએ, પરંતુ તેમની શહાદતના સ્થળો અને મહિનાઓમાં કોઈ મુસલમાન મનહૂસ નથી સમજતો, માટે મજકૂર માન્યતાના ગલત અને ખોટી સાબિત થઈ ગયા પછી મજકૂર મહિનામાં નિકાહ વગેરેથી બચવું એ દુરસ્ત નથી.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ કોઈની વફાત ઉપર ત્રણ દિવસથી વધારે સોગ મનાવવાની મનાઈ ફરમાવી છે. અલબત્ત, ફકત કોઈ ઓરતનો પતિ મરી જાય તો તેના માટે ચાર મહિના દસ દિવસ સુધી ઈદ્દત અને સોગમાં રહેવાનો હુકમ ફરમાવ્યો છે અને હઝરાત સહાબિય્યાત અને સહાબએ કિરામ (રદિ.)એ પણ આ હુકમની પાબંદી કરી કાળજીપૂર્વક તેના પર અમલ કર્યો છે. (બુખારી શરીફ)
આ સહીહ હદીષ અને સ્પષ્ટ હુકમ જાણી લીધા પછી હઝરત હુસૈન (રદિ.)ની વફાતને આટલી સદીઓ વીતી ગયા પછી પણ તેમની વફાતના દિવસને કે મહિનાને ગમીનો મહિનો સમજવાને માત્ર ગુમરાહી અને અભણતા જ કહી શકાય.
Log in or Register to save this content for later.