[૩૭૧] પાછળથી ભીડ થવાના કારણે ઈમામ સાથે સફ

Chapter : નમાઝ

(Page : 402-403)

સવાલ :– શું ફરમાવે છે ઉલમાએ દીન તે સફના વિશે કે જે મિમ્બરની બન્ને બાજુએ બનેલી હોય છે કે જ્યારે મસ્જિદમાં વધુ પડતી ભીડ હોય ત્યારે તે બનાવવામાં આવે છે, પરંતુ હમારા ગામના અમુક દીની ભાઈઓનુ કહેવું છે કે આ આગળની સફ ત્યારે બનાવવામાં આવે છે જ્યારે કે મસ્જિદમાં (ચિકાર–ભરપૂર) ભીડ હોય, હાલાંકે પહેલેથી સફ ન બનાવીએ તો પાછળથી આવનારાઓની નમાઝ જગ્યાના અભાવે છૂટી જવાનો સંભવ છે. તો આવા સંજોગોમાં શું પહેલેથી આગળની સફ બનાવવામાં શરઈ દ્રષ્ટિએ કંઈ વાંધો છે ? હમારી મસ્જિદ પહેલાંની બનાવેલી છે અને હાલમાં વસ્તી વધારાને લઈ જગ્યાની તંગી પડે છે તો આ સંજોગોમાં પહેલેથી સફ બનાવવામાં કંઈ વાંધો છે ?

જવાબ :– નમાઝ શરૂ થતી વખતે જો નમાઝીઓની એટલી ભીડ હોય કે જમાઅતખાનુ, સહન અને મસ્જિદથી લગોલગ બીજી જે જે જગ્યાએ ઊભા રહી ઈમામની પાછળ નમાઝ પઢી શકાય છે. તે બધી જગ્યાઓ પૂર થઈ જવા છતાં લોકોને જગ્યાની તંગી પડે–તો આવી હાલતમાં શરૂ નમાઝમાં જ તંગી હોવાથી ઈમામ સાહેબ સાથે સફ બનાવી શકાય છે.

                અને એ સિવાય બીજી સૂરત એ પણ છે કે જો મેહરાબ ઊંડો હોય તો ઈમામ સાહેબ મેહરાબમાં આગળ વધી જાય અને પહેલી સફનો સજદો કિબ્લાની દીવાલને અડીને થાય એ પ્રમાણે પહેલી સફ બનાવવામાં આવે.

                અને જો નમાઝ શરૂ થતી વખતે નમાઝીઓની એટલી ભીડ ન હોય તો ઈમામ સાહેબ સાથે સફ બનાવવી જાઈઝ નથી, જેમ કે ફક્ત એક મુક્‌તદી હોય તો હુકમ એ છે કે ઈમામની જમણી બાજુ ઈમામની સાથે ઊભો રહે–પાછળથી બીજા મુક્‌તદીઓના આવવાની શક્યતા હોય તો પણ.

                એ જ રીતે જ્યારે નમાઝ શરૂ થતી વખતે ભીડ નથી તો મુક્‌તદીઓ એ હુકમના પાબંદ છે કે ઈમામની પાછળ સફ બનાવે.

                આવી સૂરતમાં જો મેહરાબ ઊંડો હોય તો એક ઉપાય થઈ શકે છે અને તે આ પ્રમાણે કે ઈમામ સાહેબ મેહરાબ તરફ એટલા આગળ વધી જાય કે ઊભા રહેવાની હાલતમાં પગ મેહરાબથી બહાર રહે ચાહે બાકી શરીર સજદહ વખતે મેહરાબમાં રહે અને સફો વચ્ચેનું અંતર થોડું કમ કરીને એક સફ વધારી આપવામાં આવે–તો ચાહે શરૂ જમાઅત વખતે ભીડ ન હોય તો પણ વગર કરાહતે નમાઝ અદા થઈ જશે.                    (શામી : ૧/૩૮૧)

Log in or Register to save this content for later.